નવી દિલ્હી, 8 એપ્રિલ: પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ચૂંટણી પંચની વચ્ચેના ટકરાવનો કોઇ હલ નહી આવે તો રાજ્યમાં લોકસભા ચૂંટણી રદ્દ પણ થઇ શકે છે. ચૂંટણી પંચના સૂત્રોનું કહેવું છે કે રાજ્ય સરકારને અધિકારીઓના ટ્રાન્સફરના નિર્દેશનું પાલન કરવા માટે 24 કલાકની નોટિસ આપવામાં આવી છે. જો રાજ્ય સરકાર આ નિર્દેશને નહીં માને તો પંચ કડક પગલા ભરવામાં પાછી પાની કરશે નહીં.
અત્રે નોંધનીય છે કે મમતા બેનર્જીએ 5 એસપી, એક ડીએમ અને બે એડીએમની ટ્રાન્સફરના ચૂંટણી પંચના નિર્દેશને માનવાનો ઇનકાર કરી દીધો છે. મમતાએ પંચને ખુલ્લો પડકાર આપતા જણાવ્યું છે કે મારા હોવા સુધી ચૂંટણી પંચ કોઇની ટ્રાન્સફર કરીને બતાવે. ચૂંટણી પંચના સૂત્રોનું કહેવું છે, કે 'અમે અધિકારીઓની ટ્રાન્સફરના નિર્દેશનું પાલન હોવાની રાહ જોઇશું, જો અધિકારીઓ નહીં હટાવવામાં આવે તો ચૂંટણી રદ્દ કરવામાં આવી શકે છે.'
મુખ્યમંત્રીએ ભલે અધિકારીઓની ટ્રાન્સફરના નિર્દેશને નહીં માનવાની જાહેરાત કરી હોય, પરંતુ તેની સામે આના સિવાય કોઇ વિકલ્પ નથી. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સુનીલ ગુપ્તાએ જણાવ્યું કે તે મુખ્યમંત્રીના નિવેદન પર કઇપણ નહીં કહે. તેમણે જણાવ્યું કે 'કાયદા અનુસાર ચૂંટણી સંબંધી અધિકારી ચૂંટણી પંચ અંતર્ગત થાય છે. ચૂંટણીની જાહેરાત બાદ જ રિપ્રેજેન્ટેશન ઓફ પીપલ્સ એક્ટની ધારા 28(એ) હેઠળ રાજ્ય સરકારને નોટીસ મોકલવામાં આવી હતી. જે અનુસાર પોલીસ અને પ્રશાસનિક અધિકારી પંચના તાબામાં કામ કરે છે.'
સુનીલ ગુપ્તા અનુસાર, અધિકારીઓના ટ્રાન્સફર ઓર્ડર સોમવારે બપોરે અઢી વાગે રાજ્યના મુખ્ય સચિવને મોકલી દેવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે રવિવારે મુખ્ય ચૂંટણી અધિકારી વીએસ સંપતના નેતૃત્વમાં કોલકાતા આવેલી ટીમે અન્ય દળોની ફરિયાદ બાદ દિલ્હી પહોંચ્યાના 24 કલાકની અંદર બંગાળના 8 અધિકારીઓના ટ્રાન્સરના આદેશ જારી કરી દીધા. પંચે બંગાળના મુખ્ય સચિવ સંજય મિત્રા અને મુખ્ય ચૂંટણી અધિકારી સુનીલ ગુપ્તાને ફેક્સ કરીને આદેશનું તાત્કાલિક ધોરણે પાલન કરવા જણાવ્યું છે.
જોકે ટ્રાન્સફરના આદેશથી સ્તબ્ધ મુખ્યમંત્રીએ જણાવ્યું કે 'ચૂંટણી પંચ રાજ્ય સરકાર સાથે કોઇ વાતચીત કર્યા વગર અધિકારીઓનું સ્થાનાંતરણ અને નવા અધિકારીઓની નિયુક્તિ કેવી રીતે કરી શકે છે? આપ માત્ર કોંગ્રેસનું જ સાંભળશો. કોગ્રેસ અને ભાજપને ચૂંટણી જીતાડવા માટે આપે મારું રાજીનામું લેવું પડશે, હું કોઇને પણ નહીં હટાઉ.' તેમણે ચેતાવણી આપી છે કે અધિકારીઓને જબરદસ્તી હટાવ્યા બાદ રાજ્યમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ બગડશે તો તેની જવાબદારી ચૂંટણી પંચની રહેશે.
જો ખરેખર પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી નહીં યોજાય તો કેન્દ્રીય રાજનીતિમાં તેની શું અસર પડી શકે છે તે જોઇએ...
બહુમતીનો આંકડો બદલાશે
જો પશ્ચિમ બંગાળમાં ચૂંટણી નહી યોજાય તો, કેન્દ્રમાં સરકાર બનાવવા માટેનો બહુમતીનો આંકડો બદલાઇ જશે. જે ભાજપને ફાયદો કરશે.
તો ભાજપને ફાયદો થશે
મમતા પહેલા જ જાહેરાત કરી ચૂકી છે કે તે ભાજપને સમર્થન નહીં આપે, જો તે ચૂંટણી બાદ ભાજપને સમર્થન ના આપવાના હોય તો ભાજપને ચોખ્ખો ફાયદો થશે કારણ કે તેને બહુમતીનું લક્ષ્ય ઓછું થશે અને કેન્દ્રમાં સરળાથી સરકાર બનાવી શકશે.
તો ભાજપને નુકસાન થશે
જો એવું માનીને ચાલીએ કે લોકસભાની ચૂંટણી બાદ મમતા ભાજપને સમર્થન આપવાની હતી તો ભાજપને 42 બેઠકોનું નુકસાન થશે.
ત્રીજો મોર્ચો મુશ્કેલીમાં
ત્રીજા મોર્ચાની સરકાર બનવી વધુ મુશ્કેલ થઇ જશે, કારણ કે તેમાં પશ્ચિમ બંગાળની લોકસભા બેઠકો ઓછી થઇ જશે.
મમતાને ફાયદો
ચૂંટણી રદ્દ થયા બાદ જ્યારે પણ બંગાળમાં ચૂંટણી યોજાશે ત્યારે મમતાને ફાયદો થશે, કારણ કે તે ત્યાના અધિકારીઓની ટ્રાન્સફર રોકવા માટે અડી ગઇ હતી. તેને ચોખ્ખી લોકોની સહાનુભૂતી મળશે.