5 ઓગસ્ટના રોજ યોજાશે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી
ભારતના ચૂંટણી પંચ દ્વારા દેશના ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેની તારીખોની જાહેરાત કરવામાં આવી છે.
ગુરૂવારના રોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા દેશના ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. વર્તમાન ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીનો કાર્યકાળ 10 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે, એ પહેલાં આ પદ માટેની ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. ચૂંટણી કમિશનર નસીમ જૈદીએ જાણકારી આપી હતી કે, જો જરૂર પડશે તો 5 ઓગસ્ટ, શનિવારના રોજ સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધીમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવશે અને એ દિવસે જ મતગણતરી પણ કરવામાં આવશે.
તેમણે આગળ કહ્યું કે, આ ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભામાં ચૂંટાયેલા અને નામાંકિત સભ્યોનો સમાવેશ થાય છે. મતદાન કરનાર સભ્યોની કુલ સંખ્યા છે 790. આ ચૂંટણીમાં મતદાન માટે વિશેષ પેનનો ઉપયોગ કરવામાં આવશે, જે માત્ર મતદાન સમયે જ ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવશે. આ ચૂંટણી બેલેટ પેપરના ઉપયોગ વડે કરવામાં આવશે અને એક વ્યક્તિ દીઠ એક જ મત માન્ય રખાશે. જૈદીએ જણાવ્યું હતું કે, રાજકીય પક્ષો પોતાના સાંસદો માટે વ્હિપ જાહેર નહીં કરી શકે.
દિલ્હી સ્થિત કાર્યાલયમાં યોજવામાં આવેલ એક પત્રકાર પરિષદમાં આ અંગે વાત કરતાં નસીમ જૈદીએ આગળ કહ્યું કે, રાજ્યસભાના સચિવ શમસેર શરીફને આ ચૂંટણીમાં રિટર્નિંગ અધિકારી નિયુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, એક ઉમેદવાર માટે 20 હિમાયતી હશે અને સાથે રૂ.15 હજારની રકમ પણ જમા કરાવવામાં આવશે. 4 જુલાઇ, 2017 ને મંગળવારના રોજ અધિકૃત સૂચના બહાર પાડવામાં આવશે. 18 જુલાઇ, 2017 ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ છે. 19 જુલાઇના રોજ નામાંકન પત્રકોની સમીક્ષા કરવામાં આવશે. ઉમેદવારી પરત લેવાની તારીખ છે, 21 જુલાઇ.
હામિદ અંસારી 11 ઓગસ્ટ, 2007ના રોજ 13મા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા, ત્યાર બાદ વર્ષ 2012માં પણ હામિદ અંસારી જ 14મા ઉપરાષ્ટ્રપતિ ચૂંટાયા હતા.