મનિષ તિવારીના ટ્વીટમાં PM માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ
પીએમના જન્મદિવસે જ મનિષ તિવારીએ પીએમ અંગે અપમાનજનક શબ્દો વાપરતું ટ્વીટ કર્યું હતું.
17 સપ્ટેમ્બર, 2017 ને રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હતો. દેશભરના લોકોએ ઉત્સાહભેર તેમનો જન્મદિવસ ઉજવ્યો હતો. એવામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનિષ તિવારીએ કંઇક એવું કર્યું છે, જેને કારણે તેઓ નિંદાપાત્ર બન્યા છે. તેમણે પ્રથમ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભકામના પાઠવતું ટ્વીટ કર્યું હતું. ત્યાર બાદ મનિષ તિવારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેઓ રાષ્ટ્રગાન દરમિયાન ચાલતા નજરે પડે છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, પીએમ ત્યાર બાદ તરત જ પોતાની ભૂલ સુધારી લે છે.
The Hon'ble Prime Minister of India & the National Anthem of India - Must watch pic.twitter.com/PMVgVw7CYY
— Manish Tewari (@ManishTewari) September 17, 2017
આ વીડિયો પર એક યૂઝરે વડપ્રધાન નરેન્દ્ર મોદીનો પક્ષ લેતું ટ્વીટ કર્યું હતું. યૂઝરે લખ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીને કોઇએ દેશભક્તિ શીખવાડવાની જરૂર નથી. તેમને ગાંધીજી પણ દેશભક્તિ ન શીખવાડી શકે, કારણ કે દેશભક્તિ તો પીએમ મોદીના ડીએનએમાં જ છે.
આ ટ્વીટનો જવાબ આપતાં મનિષ તિવારીએ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. પીએમને જન્મદિવસની શુભકામના પાઠવ્યાના લગભગ એક કલાકની અંદર જ તેમણે આ ટ્વીટ કર્યું હતું. થોડા સમય પહેલાં દિગ્વિજય સિંહે પણ પીએમ મોદી માટે આવા જ શબ્દોનો ઉપયોગ કરતી તસવીર પોસ્ટ કરી હતી.
મનિષ તિવારીએ પીએમ નરેન્દ્ર મોદી માટે લખેલ આ અપમાનજનક શબ્દોને કારણે સોશિયલ મીડિયા પર તેમની નિંદા થઇ રહી છે અને અનેક લોકોએ તેમના પ્રત્યે રોષ પણ વ્યક્ત કર્યો છે.