વિસ્ફોટો પર અફસોસ નથી પણ ગર્વ છે: ભટકલ
મુંબઇ, 5 જુલાઇ: ઇન્ડિયન મુઝાહિદ્દીનના સહ સંસ્થાપક યાસીન ભટકલને ગર્વ છે કે તેણે ભારતમાં વિસ્ફોટ કર્યા. ભટકલની મકોકા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. પોતાના નિવેદનમાં ભટકલે જણાવ્યું છે કે જે વિસ્ફોટો તેણે કર્યા છે તેના માટે તેને કોઇ અફસોસ નથી પરંતુ તેના માટે તેને ગર્વ છે. મુંબઇમાં 2011માં કરવામાં આવેલા ત્રણ વિસ્ફોટના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી છે.
ડિપ્ટી પોલીસ કમિશ્નર કિશોર જાધવે ભટકલને જ્યારે પૂછ્યું કે તે એકરારનામુ શા માટે આપવા માગે છે, તો તેણે જણાવ્યું હતું કે જે પણ વિસ્ફોટોને તેણે અંજામ આપ્યા છે તેના માટે તેને કોઇ અફસોસ નથી, માટે તે એકરારનામુ આપવા માગે છે.
બંને આરોપીયોએ પોતાના નિવેદનમાં 2005 બાદ દેશના ઘણા ભાગોમાં કરવામાં આવેલા વિસ્ફોટોનું સંપૂર્ણ વિવરણ આપ્યું છે. આ હુમલા 2002માં થયેલા ગોધરા રમખાણોનો બદલો લેવાના ઇરાદાથી કરવામાં આવ્યા હતા. આ પહેલા મહારાષ્ટ્ર પોલીસના એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે 2011માં મુંબઇમાં કરવામાં આવેલ ત્રણ વિસ્ફોટના મામલામાં યાસીન ભટકલ અને અસદુલ્લા અખ્તરની વિરુધ્ધ 16 જૂનના રોજ 300 પાનાનું પૂરક આરોપનામુ દાખલ કર્યું હતું.