યુપીઃ ગાયત્રી પ્રજાપતિ સહિત 5 લોકો વિરુદ્ધ દુષ્કર્મનો કેસ દાખલ
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી ગાયત્રી પ્રજાપતિ સહિત પાંચ લોકો વિરુદ્ધ લખનઉના ગૌતમપલ્લી થાણામાં એફઆઇઆર નોંધવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી ગાયત્રી પ્રજાપતિ સહિત પાંચ લોકો વિરુદ્ધ લખનઉના ગૌતમપલ્લી થાણામાં એફઆઇઆર નોંધવામાં આવી છે. ગાયત્રી પ્રજાપતિ સહિત અન્ય પાંચ લોકો વિરુદ્ધ આઇપીસીની કલમ 511, 376 ડી પૉક્સો એક્ટ 3/4માં મામલો નોંધવામાં આવ્યો છે.

મહિલા સાથે દુષ્કર્મ અને મહિલાની સગીર પુત્રી સાથે છેડખાની
ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટી સરકારમાં મંત્રી ગાયત્રી પ્રસાદ પ્રજાપતિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે એક મહિલા સાથે બળાત્કાર અને એ મહિલાની સગીર પુત્રી સાથે છેડખાની કરવાના મામલે એફઆઇઆર નોંધવાનો આદેશ આપ્યો હતો. ગાયત્રી પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવનાર મહિલા ચિત્રકૂટની રહેવાસી છે. મહિલાએ આરોપ મૂક્યો છે કે, મંત્રીએ તેને પાર્ટીમાં ઊંચુ પદ આપવાની લાલચ આપી છેલ્લા 2 વર્ષોમાં અનેક વાર તેની સાથે બળાત્કાર કર્યો હતો અને તેની સગીર પુત્રી સાથે પણ મંત્રી છેડછાડ કરતો હતો.
પોલીસે કાર્યવાહી ન કરતાં કોર્ટમાં ગઇ મહિલા
મહિલાનું કહેવું છે કે, આ મામલે જ્યારે તેમણે પોલીસમાં ફરિયાદ કરી તો તેમની ફરિયાદ પર કોઇ કાર્યવાહી કરવામાં ન આવી. જે પછી મહિલાએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. આ પહેલાં ઇલાહાબાદ હાઇકોર્ટ આ મહિલાની અરજી બરતરફ કરી ચૂકી છે, પરંતુ સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ પોલીસને એફઆઇઆર નોંધી ફાઇનલ રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. કાર્ટે રાજ્ય સરકારને તપાસનો રિપોર્ટ દાખલ કરવા માટે બે મહિનાનો સમય આપ્યો છે.
આરોપ લગાડનાર મહિલાને નથી જાણતા ગાયત્રી પ્રજાપતિ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આરોપી પ્રભાવશાળી છે, એનો અર્થ એ નથી કે પોલીસ એફઆઇઆર પણ ન નોંધે. આ પહેલાં રાજ્ય સરકારે પોતાની રિપોર્ટમાં કહ્યું હતું કે, આ મામલે તપાસ કરતાં મંત્રીનો કોઇ અપરાધ સામે નથી આવ્યો. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ ગાયત્રી પ્રજાપતિએ કહ્યું કે, તેઓ પોતાની પર આરોપ લગાડનાર મહિલાને નથી જાણતા, આ તેમની વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટી એ રચેલું ષડયંત્ર છે. તેઓ સુપ્રીમ કોર્ટનું સન્માન કરતાં દરેક તપાસ માટે તૈયાર છે. ગાયત્રી પ્રજાપતિ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર અમેઠીથી વિધાનસભા ચૂંટણી લડી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
