ફ્લેશબેક 2016: 2016 માં વાઇરલ થયેલી ટોપ 16 અફવાઓ
વર્ષ 2016 માં ઘણી વસ્તુઓ સોશિયલ મીડિયા દ્વારા સામે આવી જેમાં કેટલીક સાચી હતી. તો કેટલાક જૂઠ પણ જોરદાર વાયરલ થયા...
વર્ષ 2016 વીતવામાં બસ બે જ દિવસ બાકી છે. વર્ષ વીતી રહ્યુ છે અને પોતાની પાછળ ઘણી સારી અને કેટલીક ખરાબ યાદો પણ છોડીને જઇ રહ્યુ છે. 2016 માં ઘણી વસ્તુઓ સોશિયલ મીડિયા દ્વારા સામે આવી જેમાં કેટલીક સાચી હતી તો કેટલાક જૂઠ પણ જોરદાર વાઇરલ થયા. વાંચો 2016 ની એવી વાતો જે ખૂબ જ વાઇરલ થઇ પરંતુ હકીકતમાં અફવા હતી.
2000 ની નોટમાં ચિપ લાગી હોવાનું સત્ય
8 નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી મોદીએ 500 રુપિયા અને 1000 રુપિયાની નોટો પર પ્રતિબંધ લગાવવાની ઘોષણા કરી અને સાથે 2000 રુપિયા અને 500 રુપિયાની નવી નોટો જારી કરવાનું એલાન પણ કર્યુ. આ ઘોષણા સાથે જ સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારની અફવાઓ ફેલાવા લાગી અને 2000 રુપિયાની નોટ વિશે વિવિધ પ્રકારની વાતો થવા લાગી. નોટ અંગે જે વાત સૌથી વધુ ચર્ચામાં રહી તે એ હતી જેમાં જીપીએસ ચિપ લગાઇ હોવાની વાત હતી. નોટ જારી થયા બાદ છેવટે આરબીઆઇએ સ્પષ્ટતા કરવી પડી કે નોટમાં કોઇ પણ પ્રકારની ચિપ કે ટ્રેકિંગ ડિવાઇસ નથી.
શું 2000 ની નોટ જાતે જ ઉડી જશે?
બે હજારની નોટમાં ચિપ હોવાની વાત ખોટી સાબિત થયા બાદ તેના ગાયબ થવા અને રંગ વિશે પણ અફવાઓ ઉડી. સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થવા લાગ્યા કે 2000 ની નોટ ત્રણ વર્ષમાં જાતે જ ગાયબ થઇ જશે. જો કે આને સરકારની રણનીતિ ગણવામાં આવી હતી. વાયરલ થયેલા મેસેજમાં કહેવામાં આવ્યુ કે નોટનો રંગ ધીરે ધીરે ઉડી જશે અને લગભગ ત્રણ વર્ષમાં નોટનો ગુલાબી રંગ પૂરેપૂરો ઉડી જશે અને આ માત્ર સફેદ કાગળ જ રહી જશે. જેને નોટ માનવામાં નહિ આવે. આ મોદી સરકારનું ષડયંત્ર છે. આ વાયરલ મેસેજની તપાસ કરવામાં આવી તો તે ખોટો સાબિત થયો. ભારત સહિત દુનિયાભરના દેશોમાં નોટોના છાપકામ માટે intaglio સહી ઉપયોગમાં લેવાય છે. તેને ટિશ્યૂ કે રુ થી થોડુક રગડવાથી થોડો રંગ નીકળી શકે છે પરંતુ તેનો મતલબ એ નહિ કે નોટ ગાયબ થઇ જશે.
સર્જીકલ સ્ટ્રાઇક કરનાર જવાનોની ટીમની વાયરલ તસવીર
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) માં ઘૂસીને આતંકવાદી સંગઠનોનો નાશ કરતી ભારતીય કમાંડોની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. તસવીરને શેર કરતા કહેવામાં આવ્યુ હતુ કે જે સૈનિક તેમાં દેખાઇ રહ્યા છે તે સર્જીકલ સ્ટ્રાઇકમાં સામેલ હતા અને પાકિસ્તાનને વળતો જવાબ આપનાર શૂરવીર છે. જવાનોની સુરક્ષા ખતરામાં નાખીને શેર કરવામાં આવેલી આ તસવીર ખોટી હતી. સર્જીકલ સ્ટ્રાઇકને અંજામ આપનારી ટીમ વિશે જાણકારી સર્વજનિક કરવામાં આવી નહોતી અને તેની તસવીર પણ ક્યારેય જારી કરવામાં આવી નહોતી. તસવીરને વાયુસેનાએ ખોટી જણાવી. વાયુસેનાએ કહ્યુ કે તસવીરમાં જે વિમાનમાં સૈનિકો બેઠેલા દેખાય છે તે એક ટ્રાંસપોર્ટ વિમાન છે. કોઇ પણ ઓપરેશનમાં આવા વિમાનનો ઉપયોગ થતો નથી. ભારતીય સૈનિક સર્જીકલ સ્ટ્રાઇકને અંજામ આપવા હેલીકોપ્ટરથી ગયા હતા.
સૈનિકના કંકાલનો ખોટો મેસેજ
સર્જીકલ સ્ટ્રાઇકના સરકારના દાવા બાદ તેના સમર્થન અને વિરોધમાં વિવિધ પ્રકારના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા. આ દરમિયાન એક તસવીર સામે આવી જેમાં એક સૈનિકનું કંકાલ અને તેની હેલમેટ મળવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. દાવો કરવામાં આવી રહ્યો હતો કે પાકિસ્તાન સાથે ઘર્ષણ વખતે સૈનિક શહીદ થયો છે. જો કે તસવીરની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યુ કે જે હેલમેટ અને ગન તેમાં દેખાઇ રહ્યા છે તે ભારતીય સેનામાં ઉપયોગમાં જ નથી લેવાતા કે પહેલા પણ નહોતા લેવાતા. તસવીર બીજા વિશ્વ યુદ્ધના સમયની હતી જેને અત્યારે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી હતી. આવી હેલમેટ અને ગન તે સમયે પશ્ચિમી દેશોની સેનાઓ ઉપયોગ કરતી હતી.
બાંગ્લાદેશમાં લોહીની નદી
આ વર્ષે બકરી ઇદ બાદ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં રસ્તા લોહીથી રંગાયેલા હતા. વરસાદને કારણે રસ્તા પર લોહીથી લાલ પાણી વહી રહ્યુ હતુ પરંતુ આ અંગે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઇ. લોકોએ આને સમુદાય વિશેષ સામે વિરોધ બતાવતા કહ્યુ કે ગંદા પાણીને એડિટીંગ સોફ્ટવેરથી લાલ કરવામાં આવ્યુ છે. જો કે સ્થાનિક મીડિયાએ આ અંગે ઘણા સમાચાર ચલાવ્યા અને બતાવ્યુ કે લોહીથી રંગાયેલી જે તસવીર વાયરલ થઇ હતી તે સાચી હતી અને જે તસવીરોને ગંદી કરીને બતાવવામાં આવી હતી તે ખોટી હતી. તસવીર અંગે સોશિયલ મીડિયા પર એટલી મજાક થઇ કે ઘણા રંગોની તસવીર વાયરલ થઇ અને લોકો કટાક્ષ કરવા લાગ્યા.
કતરની રાજકુમારીના સેક્સ સ્કેંડલમાં ફસાવાની કહાની
સોશિયલ મીડિયામાં એક તસવીર વાયરલ થઇ જેમાં દાવો કરવામાં આવ્યો કે કતરની રાજકુમારી શેખ સલવા લંડનમાં એક હોટલમાં સાત લોકો સાથે આપત્તિજનક સ્થિતિમાં જોવા મળી. આ સમાચાર અને તસવીર પર અંગ્રેજી અખબાર ફાઇનાંસિયલ ટાઇમ્સનો હવાલો પણ આપવામાં આવી રહ્યો હતો અને તેના પર કતર વિદેશી મંત્રાલયનું નિવેદન પણ હતુ. પરંતુ આગલા જ દિવસે એ વાતનો ખુલાસો થયો કે જેને રાજકુમારીની તસવીર કહેવામાં આવી રહી છે તે એક મહિલા કારોબારીની તસવીર હતી. તેનું નામ આલિયા અબ્દુલ્લા છે અને તે મજરુઇ હોલ્ડિગ્સ એલએલસીની સીઓઓ છે. તપાસમાં એ પણ જાણવા મળ્યુ કે અખબારે આવા કોઇ સમાચાર છાપ્યા જ નથી.
બ્રિટિશ પ્રધાનમંત્રીની સામાન ઉપાડવાની તસવીર
બ્રિટનમાં છ વર્ષ સુધી સત્તા ચલાવનાર પ્રધાનમંત્રી ડેવિડ કેમરુને રાજીનામુ આપ્યુ અને સરકારી નિવાસસ્થાન છોડી દીધુ. કેમરુનના પ્રધાનમંત્રી નિવાસ સ્થાન છોડવાના સમાચાર પર એક તસવીર વાયરલ થઇ જેમાં તેમને સામાન ઉપાડતા બતાવવામાં આવ્યા. કેમરુનની પ્રશંસામાં લોકો અલગ-અલગ પ્રકારની વાતો કરવા લાગ્યા અને ભારતીય નેતાઓને કોસી રહ્યા હતા. જો કે તસવીરની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યુ કે કેમરુનની આ તસવીર 2007 ની છે. તે સમયે તે વિપક્ષના નેતા હતા. આ તસવીર ત્યારની છે જ્યારે કેમરુન પોતાના પરિવાર સાથે લંડનમાં નવા ઘરમાં શિફ્ટ થઇ રહ્યા હતા.
બિહારના રસ્તા વિશે વાયરલ થયુ જૂઠ
જુલાઇમાં વરિષ્ઠ પત્રકાર મધુ કિશ્વરે એક તસવીર ટ્વીટ કરી અને લખ્યુ કે આ તસવીરથી બિહારમાં માર્ગ નિર્માણમાં થઇ રહેલ ગોટાળાની પોલ ખુલી રહી છે. કિશ્વરે જે તસવીર શેર કરી હતી તેમાં રસ્તાને જાજમની જેમ વાળીને ઉખડતુ બતાવવામાં આવ્યુ હતુ. તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઇ. પરંતુ જ્યારે તપાસ કરવામાં આવી તો કહાની કંઇક અલગ જ નીકળી. તસવીર બિહારની નહિ બાંગ્લાદેશની હતી. બિહારના ડેપ્યૂટી સીએમ તેજસ્વી યાદવે તસવીર પર જવાબ આપતા ટ્વીટ કર્યુ કે આ બિહારને બદનામા કરવાની કોશિશ છે. આ બિહારની તસવીર નથી.
યોગ દિવસ પર રેલ મંત્રીની ઝપકી
21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગનો કાર્યક્રમ ખતમ થયા બાદ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થવા લાગ્યો. દાવો કરવામાં આવ્યો કે યોગ દિવસ કાર્યક્રમ દરમિયાન રેલવેમંત્રી સુરેશ પ્રભુ સૂઇ ગયા. યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રેલવેમંત્રી આંધ્રપ્રદેશના વિજયવાડામાં હતા. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે શવાસન કરતી વખતે રેલવે મંત્રીને ઉંઘ આવી ગઇ. લગભગ એક મિનિટ 12 સેકંડના વીડિયોમાં બતાવવામાં આવ્યુ કે રેલવે મંત્રી જ્યારે સૂઇ જાય છે ત્યારે એક વ્યક્તિ તેમના પગ હલાવીને તેમને જગાડે છે. વીડિયોની તપાસમાં માલૂમ પડ્યુ કે તે આ વર્ષનો નહિ પરંતુ 2015 નો વીડિયો છે. રેલવેમંત્રી ત્યારે કોચ્ચિમાં એક યોગ શિબિરમાં ભાગ લેવા પહોંચ્યા હતા. તે કાર્યક્રમમાં રેલવેમંત્રી વિશેષ અતિથિ હતા. 2016 ના યોગ દિવસ પર વીડિયોને વાયરલ કરીને જૂઠ ફેલાવવાની કોશિશ કરવામાં આવી હતી.
ફેસબુક વપરાશ અંગે વાયરલ થયો મેસેજ
ફેસબુક આજકાલ દરેકના જીવનનો હિસ્સો બની રહ્યુ છે. ઘણા બધા લોકો માટે તે કોઇ રોજમદારથી કમ નથી. ફેસબુક પર આ વર્ષે એક મેસેજ ઝડપથી વાયરલ થયો જેમાં કહેવામાં આવી રહ્યુ હતુ કે ફેસબુક તમારી બધી અપડેટ પર નજર રાખે છે અને તમારા પર્સનલ મેસેજ અને ફોટા પણ જોઇ શકે છે. એ પણ દાવો કરવામાં આવી રહ્યો હતો કે ફેસબુક ટીમ તે ફોટા અને મેસેજ પણ જોઇ શકે છે જેને ડિલીટ કરી દીધા હોય. આ મેસેજ સાથે બીજો એક મેસેજ હતો જેમાં લખ્યુ હતુ કે ફેસબુકને કોઇ પણ જાણકારી સાર્વજનિક કરવાની અનુમતિ નથી આપવામાં આવતી. પરંતુ જ્યારે આ દાવાની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યુ કે આવુ કંઇ નથી. ફેસબુક ટીમે આ અંગે નિવેદન જારી કર્યુ અને જણાવ્યુ કે તે આવુ કોઇ પગલુ ઉઠાવવાના નથી.
ભાજપ સાંસદની હોટ તસવીરનું રહસ્ય
આસામ વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપની ઐતિહાસિક જીતથી વિરોધી પક્ષોમાં ખળભળાટ મચી ગયો. આ સાથે જ એક સાંસદની સૌથી વધુ ચર્ચા થઇ તે અંગુરલતા ડેકા. મોડલ અને અભિનેત્રી રહી ચૂકેલી અંગુરલતા સૌથી નાની ઉંમરની સાંસદ બની. ચૂંટણી જીત્યા બાદ ચર્ચામાં આવેલી અંગુરલતાના નામ પર અમુક ફોટા વયરલ થવા લાગ્યા અને તે ફોટા પર લોકો અભદ્ર કોમેંટ કરવા લાગ્યા. દાવો કરવામાં આવી રહ્યો હતો કે જે ફોટા વાયરલ થઇ રહ્યા છે તે 30 વર્ષની અંગુરલતાના છે. જ્યારે એવુ હતુ જ નહિ. જે ફોટા વાયરલ થયા હતા તે અમદાવાદની જાણીતી ફિટનેસ એક્સપર્ટ સપના વ્યાસના હતા. આ સમગ્ર ઘટનાક્રમથી તે ખૂબ નારાજ હતી. સપના વ્યાસ ફિટનેસની દુનિયાનું જાણીતુ નામ છે. એક સમયે 86 કિલો વજન ધરાવતી સપનાએ 33 કિલો વજન ઉતારીને દુનિયા સામે ઉત્તમ દ્રષ્ટાંત પૂરુ પાડ્યુ હતુ.
તેંડુલકરના દીકરા અર્જુન અંગે વાયરલ થયા મેસેજ
સચિન તેંડુલકરના દીકરા અર્જુન તેંડુલકર અંગે વાયરલ થયેલા એક મેસેજે સોશિયલ મીડિયામાં જબરદસ્ત ચર્ચા શરુ કરી. મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે 1000 થી વધુ રનનો વિશ્વ રેકોર્ડ બનાવનાર પ્રણવ ધનાવડેની જગ્યાએ સચિનના દીકરાને અંડર-16 ટીમમાં જગ્યા આપી દેવાઇ છે. એવુ પણ કહેવામાં આવ્યુ કે આવુ માત્ર સચિનના પ્રભાવને કારણે થયુ છે. જો કે સત્ય એ હતુ કે પ્રણવના રેકોર્ડ પહેલા જ અંડર-16 ટીમની પસંદગી થઇ ગઇ હતી અને તેમાં અર્જુનને જ્ગ્યા મળી ચૂકી હતી. આ વિશે પ્રણવના પિતાએ પણ જણાવ્યુ કે સોશિયલ મીડિયામાં ખોટી જાણકારી શેર થઇ રહી છે. વેસ્ટ ઝોન અંડર-16 ટીમમાં અર્જુનની પસંદગી બોલિંગ ઓલરાઉંડર તરીકે થઇ હતી.
બાબા રામદેવની પતંજલિ બિયર
વાત જ્યારે સ્વદેશીની થાય ત્યારે સૌથી પહેલા બાબા રામદેવ અને પતંજલિના પ્રોડક્ટ નિશાના પર આવે છે. આ વર્ષે એક મેસેજ વાયરલ થયો કે બાબા રામદેવ પતંજલિ એરલાઇંસ લોંચ કરવા જઇ રહ્યા છે. એટલુ જ નહિ દવાઓ સાથે બાબા રામદેવ સ્વદેશી બિયર પણ વેચશે. મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે બાબા રામદેવ વિજય માલ્યાની કંપની કિંગફિશરને ટક્કર આપવા માટે સ્વદેશી બિયર લાવી રહ્યા છે. જો કે આ વિશે જ્યારે બાબા રામદેવ સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે આ વાત નકારી દીધી. તેમણે કહ્યુ કે આ માત્ર એક અફવા છે.
કિડનેપ થવા પર એટીએમ પિન ઉલટો નાખવાની સલાહ
સોશિયલ મીડિયામાં એક મેસેજ ઝડપથી વાયરલ થયો જેમાં દાવો કરવામાં આવ્યો કે જો કોઇ બદમાશ તમને કિડનેપ કર્યા બાદ તમને એટીએમમાંથી પૈસા કાઢવાનું કહે તો વિરોધ ના કરો. મેસેજમાં કહેવામાં આવ્યુ કે જો તમે એટીએમ પિન ઉલટો નાખશો તો કંટ્રોલ રુમને એલર્ટ પહોંચી જશે કે તમે મુસીબતમાં છો અને તમને લૂટવામાં આવી રહ્યા છે. એટલે કે જો તમારો પિન 5678 છે તો તેની જગ્યાએ 8765 નાખો. જો કે તપાસમાં આ મેસેજ નકલી જણાયો. પોલિસના જણાવ્યા અનુસાર એવી કોઇ સિસ્ટમ નથી બનાવવામાં આવી જેનાથી પોલિસને આવી કોઇ સૂચના મળી શકે.
કન્હૈયાની વાઇરલ તસવીર
જેઅએનયુ કેમ્પસમાં દેશ વિરોધી સૂત્રો પોકારવાની ઘટના બાદ ઘણી એવી તસવીરો અને વીડિયો વાયરલ થયા જેમાં છાત્રોને સૂત્રોચ્ચાર કરતા બતાવવામાં આવ્યા. આ દરમિયાન એક તસવીર સોશિયલ મીડિયામાં ફેલાઇ જેમાં કન્હૈયા સોફા પર બેઠો હોય છે અને તેની સાથે દેખાઇ રહેલી મહિલાને કન્હૈયાની શિક્ષક બતાવવામાં આવી. સાથે લખવામાં આવ્યુ કે કન્હૈયાને ખોળામાં બેસાડીને શિક્ષક ભણાવી રહી છે. તસવીરનું સત્ય જાણવા માટે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યુ કે જે મહિલાને કન્હૈયાની શિક્ષક બતાવવામાં આવી રહી હતી તે જેએનયુમાં એમફીલ કરતી એક છાત્રા છે. તેણે પોતે જ એ તસવીર ફેસબુક પર મૂકી હતી. બે તસવીરોમાં એકમાં કન્હૈયા સાથે હતો તો બીજામાં મનોજ વાજપેયી. પરંતુ તોફાની તત્વોએ કન્હૈયાની શિક્ષક કહીને છાત્રાની તસવીર વાયરલ કરી દીધી.
જેએનયુમાં 3000 કોંડોમના ઉપયોગની કહાની
જેએનયુ અલગ-અલગ કારણોથી સતત વિવાદોથી સતત ચર્ચામાં રહ્યુ. દેશ વિરોધી ગતિવિધિ થતી હોવાની વાત સામે આવવા પર ભાજપના એક સાંસદે કહ્યુ કે અહીં રોજના 3000 કોંડોમનો ઉપયોગ થાય છે. ત્યારબાદ સોશિયલ મીડિયામાં જેએનયુ અંગે વિવિધ પ્રકારના મેસેજ વાયરલ થવા લાગ્યા. વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો કે જેએનયુના કર્મચારીઓને રોજના 3000 બિયર કેન, 2000 દારુની બોટલો અને 10 હજારથી વધુ સિગરેટના ટુકડા મળે છે. આ ઉપરાંત બીડીના ચાર હજાર ટુકડા અને 3000 ઉપયોગ કરેલા કોંડોમ પણ મળે છે. સાથે એબોશન માટે ઉપયોગ કરેલા 500 ઇંજેક્શન પણ મળે છે. જો કે તપાસ કરવામાં આવી તો આ બધા દાવા નકલી સાબિત થયા. આનો કોઇ સ્ત્રોત નહોતો. આ વાતો પાયાવિહોણી સાબિત થઇ.