યુપીમાં મુશળધાર વરસાદ, 300 ગામ પર મંડરાયો ખતરો
કેરળ બાદ કુદરતે ઉત્તર પ્રદેશમાં કહેર મચાવ્યો છે. ભારે વરસાદને પગલે ઉત્તર પ્રદેશમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.
કેરળ બાદ કુદરતે ઉત્તર પ્રદેશમાં કહેર મચાવ્યો છે. ભારે વરસાદને પગલે ઉત્તર પ્રદેશમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેને પગલે રાજ્યનાં 300 જેટલાં ગામ પર ખતરો મંડરાયો છે. જનજીવન સંપૂર્ણપણે અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. મરાદાબાદ, સંભલ, અમરોહા, રામપુર, પીલીભીત અને લખીમપુર ખીરી વિસ્તારના તથા નેપાળની સીમા પર આવેલાં કેટલાંક ગામોમાં રહેતા લોકોની મુશ્કેલીઓ વધી છે.
મુરાદાબાદના 53 ગામ પર સંકટ
અમરોહા ગામમાં રહેતા મંસૂર ખાનનું કહેવું છે કે 'મારું ઘર 9 ફીટ પાણીમાં ડૂબી ગયું છે, અમારો બધો જ સામાન બરબાદ થઈ ગયો છે, જેમતેમ કરીને અમે ગામ છોડવામાં સફળ થઈ શક્યા છીએ. અમારા સંબંધીને ત્યાં અત્યારે રહી રહ્યા છીએ.' જણાવી દઈએ કે મુરાદાબાદના 53 ગામ પાણીમાં ડૂબી ગયાં છે, આ ગામો સંપર્ક વિહોણાં બની ગયાં છે, જેને કારણે ખાદ્ય પદાર્થો ગામ સુધી નથી પહોંચાડી શકાતો.
9 લોકોનાં મોત
મુરાદાબાદના ડીએમ રાકેશ કુમારે જણાવ્યું કે કેટલાંક ગામ ઠાકુરદ્વાર, કાંથ અને બિલારી રામ ગંગામાં વધી રહેલા પાણીથી પ્રભાવિત થયાં છે. આવી રીતે જ પીલીભીત અને લખીમપુર ખીરીમાં શારદા નદીમાં વધતા પાણીના કારણે અહીંના 40 ગામ ડૂબવાની તૈયારીમાં છે અને આ ગામોનો જિલ્લા મુખ્યાલયોથી સંપર્ક તૂટી ગયો છે. પૂરને કારણે સર્જાયેલી ઘટનાઓમાં વિવિધ જગ્યા પર 9 લોકો મૃત્યુ પામ્યા છે.
રાહત અને બચાવકાર્ય
પીલીભીતના ડીએમ અખિલેશ મિશ્રાએ જણાવ્યું કે "અમે 14 પૂર રાહત પોસ્ટની સ્થાપના કરી છે, આ પોસ્ટ પર લોકોને શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે, જેનાથી ગ્રામજનોને તમામ પ્રકારની મદદ પહોંચાડી શકાય. સાથે જ અહીં કેમ્પ પણ બનાવવામાં આવ્યા છે, જ્યાં લોકોના સ્વાસ્થ્ય સેવા અને ખોરાકની વ્યવસ્થા કરવામાં આવી રહી છે." ડીએમએ જણાવ્યું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમને પણ રાહત અને બચાવકાર્યમાં લગાવી દેવામાં આવી છે.
ખતરનાક સપાટી પર વહી રહી છે આ નદીઓ
ગંગા, રામ ગંગા, શારદા, ઘાઘરા, કુવાનો સહિતની નદીઓ ખતરનાક સપાટી પર વહી રહી છે. પલિયાની શારદા નદીમાં પણ પાણી ભયાનક સપાટીએ વહી રહ્યું છે. બારાબંકીમાં ઘાઘરા નદી, મુરાદાબાદમાં રામ ગંગા નદીનું પાણી પણ ખતરનાક સપાટીએ વહી રહ્યું છે. ત્યારે આ તમામ નદીઓ આસપાસના વિસ્તારોમાં તબાહી મચાવી શકે છે. આ પણ વાંચો-નાસાએ કેરળ પૂર પહેલાની અને પછીની તસવીરો જાહેર કરી