ચારા કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવ દોષી, 3 જાન્યુઆરીએ મળશે સજા
આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવને રાંચીની સ્પેશ્યલ કોર્ટે ચારા કૌભાંડ કેસમાં દોષી જાહેર કર્યા છે. જાણો આ સમાચાર અંગે વિગતવાર માહિતી અહીં.
ચારા કૌભાંડમાં રાંચીની સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટે બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ સમેત 15 લોકોને દોષી જાહેર કર્યા છે. જો કે આ કેસમાં બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રા સમેત સાત લોકોને નિર્દોષ જાહેર કરીને મુક્ત પણ કર્યા છે. નોંધનીય છે કે આરજેડીના પ્રમુખ લાલુ યાદવે આજે સવારે જ કોર્ટમાં જતા પહેલા પોતે નિર્દોષ હોવાની વાત કરી હતી. પણ કોર્ટે તેમને આ કેસમાં દોષી જાહેર કર્યા છે. અને મોટા ચુકાદો આપ્યો છે. બિહારના આ બહુચર્ચિત ચારા કૌભાંડમાં લાલુ યાદવ પર આરોપ છે કે તેમણે કુલ 950 કરોડ રૂપિયાનું આ કૌભાંડ આચર્યું છે. બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવ પર 6 અલગ અલગ કેસ ચાલી રહ્યા છે. જેમાં તે દોષી જાહેર કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે રાંચી કોર્ટની બહાર લાલુ યાદવના સમર્થકોની મોટી ભીડ પણ જામી છે તો બીજી તરફ પોલીસે પણ સુરક્ષા વ્યવસ્થાનો ચાંપતો બંદોવસ્ત કરી રખ્યો છે. નોંધનીય છે કે આ કેસમાં 2003માં લાલુ યાદવને 5 વર્ષની સજા પણ સંભળાવવામાં આવી હતી. અને ચૂંટણી પંચે લાલુ યાદવને ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો. જો કે જેલ ગયા પછી લાલુ યાદવને આ મામલે સુપ્રીમ કોર્ટથી જમાનત મળી હતી. ત્યારે હાલ તો આ કેસમાં તેમને દોષી જાહેર કર્યા છે. વધુમાં ચુકાદા પછી આરજેડીના નેતાઓએ એક પ્રેસવાર્તા કરીને કહ્યું હતું કે લાલુજીને રાજકીય ષડયંત્ર હેઠળ ફસાવવામાં આવ્યા છે. અને આ અંગે ઉચ્ચ અદાલતમાં જઇશું. સાથે જ કોર્ટે જાહેરાત કરી હતી કે આ કેસના આરોપીઓને 3 જાન્યુઆરીના રોજ સજા જણાવવામાં આવશે.