ભગવો ધારણ કરતા જ બિન્ની બોલ્યા, 'આપમાં છે છળ-કપટની રાજનીતિ'
નવી દિલ્હી, 18 જાન્યુઆરી: આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે તેમના પૂર્વ સહયોગીઓને ઘેરવાની ભાજપના અભિયાનમાં વધુ એક નામ લક્ષ્મીનગરના પૂર્વ વિધાયક વિનોદ કુમાર બિન્નીનું જોડાઇ ગયું છે. આપની પૂર્વ સભ્ય શાજિયા ઇલ્મી બાદ હવે બિન્નીએ પણ ભાજપનો છેડો પકડી લીધો છે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેમને કેજરીવાલના વિશ્વસ્ત સહયોગી મનીષ સિસોદિયાની વિરુદ્ધ ઊભા કરવામાં આવશે. ગઇ ચૂંટણીમાં બિન્નીએ લક્ષ્મીનગરથી કિરણ વાલિયા જેવા કદ્દાવર કોંગ્રેસી નેતાને આપની ટિકિટ પરથી માત આપી હતી.
ભાજપમાં જોડાતા જ બિન્નીની બોલી બદલાઇ ગઇ અને તેમણે આપ અને કોંગ્રેસ પર પ્રહારો કરવાનું તેજ કરી દીધું. તેમણે જણાવ્યું કે આપમાં માત્ર છળ-કપટની રાજનીતિ થાય છે. તેમણે ભાજપમાં આવીને દિલ્હીમાં નવી રાજનીતિનો ઉદય થવાની આશા વ્યક્ત કરી છે.
અત્રે નોંધનીય છે કે આપની ટિકિટ પર બિન્ની લક્ષ્મીનગર વિધાનસભા બેઠકથી ચૂંટણી જીત્યા હતા. પરંતુ કેજરીવાલ સાથે મતભેદ થવાના કારણે તેમણે પાર્ટી છોડી દીધી હતી. ત્યારબાદથી તેમના ભાજપમાં સામેલ થવાની અટકળો લગાવવામાં આવી રહી હતી. તેમણે આ વખતે લક્ષ્મીનગરના સ્થાને નવી દિલ્હી વિધાનસભા વિસ્તારથી કેજરીવાલને પડકાર આપવાની જાહેરાત કરી દીધી છે. જોકે અત્યાર સુધી એ નક્કી નથી થઇ શક્યું કે તેઓ ભાજપમાં સામેલ થશે તો તેમને પાર્ટી નવી દિલ્હી વિધાનસભા વિસ્તારથી ચૂંટણી સમરમાં ઉતારશે.
બિન્ની આ અંગે પાર્ટી પાસે પાક્કુ આશ્વાસન ઇચ્છે છે. અત્યાર સુધી ભાજપમાં આપના બે પૂર્વ વિધાયક એમએસ ધીર અને અશોક ચૌહાણ સામેલ થઇ ચૂક્યા છે. જ્યારે, આપની ટિકિટ પર આરકેપુરમથી ચૂંટણી લડી ચૂકેલી શાજિયા ઇલ્મીએ પણ શુક્રવારે ભાજપનું સભ્યપદ લઇ લીધું. આ જ પ્રકારે આફની ટિકિટ પર ચૂંટણી લડી ચૂકેલા ત્રણ મુસ્લિમ નેતાઓને પણ ભાજપ પોતાની સાથે જોડી ચૂકી છે. જ્યારે પૂર્વ વિધાયક ધર્મેન્દ્ર કોલી પણ ભાજપમાં આવવાની કોશીશ કરી રહ્યા છે.