ગડકરીનો ફુગ્ગો ફૂટ્યો : આઇટી અધિકારીઓની માફી માંગી
હવે નીતિન ગડકરીએ પોતાના વલણ પરથી પલટી મારતા સમગ્ર બાબત માટે મીડિયાને જવાબદાર ઠેરવ્યું છે. વર્તમાન સમયમાં નીતિન ગડકરીનો ખરાબ સમય ચાલી રહ્યો છે. પહેલા તેમની કંપની પૂર્તિ પાવર એન્ડ સુગર લિમિટેડ પર ગોટાળા કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જેના કારણે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે શોધખોળ આદરી હતી. ઇન્કમ ટેક્સ અધિકારીઓએ આદરેલી તપાસને કારણે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની તેમની ખુરશીનો ભોગ લેવાયો હતો. આ કારણે સમસમી ગયેલા ગડકરીએ સમય-સ્થળનું ભાન રાખ્યા વિના આવકવેરા અધિકારીઓને ધમકી આપી દીધી હતી.
તેમનો ગુસ્સો જ્યારે શાંત થયો ત્યારે પોતાની ભૂલ સમજાતા તેમણે અધિકારીઓની માફી માંગી છે. આ માટે ગડકરીએ જણાવ્યું કે "ઇન્કમ ટેક્સ વિભાગ કોઇ પણ વ્યક્તિ કે કંપનીની વિરુદ્ધ તપાસ કરવા માટે સ્વતંત્ર છે. તેમણે કોઇની કાન ભંભેરણીમાં આવવું જોઇએ નહીં. સરકારના ઇશારે ચાલવાને બદલે અધિકારીઓએ પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરવું જોઇએ. કારણ કે સરકાર તો આવતી જતી રહે છે."
ઉલ્લેખનીય છે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ગડકરીની પૂર્તિ ગ્રુપના ગોટાળાની તપાસ માટે ગડકરીને 1 ફેબ્રુઆરીએ હાજર રહેવાનું ફરમાન મોકલવામાં આવ્યું છે.