મહાત્મા ગાંધીએ પોતાના ઉપદેશોથી દુનિયા બદલી : જો બિડેન
નવી દિલ્હી, 23 જુલાઇ : અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જો બિડેન સોમવારે સાંજે પોતાની ચાર દિવસની ભારત મુલાકાત માટે નવી દિલ્હી પહોંચ્યા હતા. નવી દિલ્હી પહોંચ્યા બાદ તેમણે રાજધાની દિલ્હીમાં ગાંધી સ્મૃતિની મુલાકાત સમયે ગાંધીજીના વ્યક્તિત્વ અને પ્રભાવને યાદ કર્યા હતા.
બિડેને જણાવ્યું કે મહાત્મા ગાંધીએ પોતાના ઉપદેશોથી દુનિયા બદલી નાખી છે. બિડેને 30 જાન્યુઆરી માર્ગ સ્થિત ગાંધી સ્મૃતિમાં આગંતુક પુસ્તિકામાં લખ્યું છે કે આ પવિત્ર સ્થળે હોવું કેટલા સન્માન અને મહાન સૌભાગ્યની બાબત છે એ મને સમજાય છે. અહીં એ વ્યક્તિનું સ્મરણ થાય છે જેણે દુનિયા બદલી નાખી છે.
ગાંધી સ્મૃતિ જ એ સ્થાન છે જ્યાં 30 જાન્યુઆરી, 1948ના રોજ મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. બિડેને જણાવ્યું કે ગાંધીના ઉપદેશથી મારો દેશ પણ બદલાઇ ગયો હતો. જ્યારે ડૉ કિંગ (માર્ટિન લૂથર) દ્વારા તેમનું અનુકરણ કરીને માત્ર અશ્વેત પુરુષો અને મહિલાઓ જ નહીં પણ સૌ અમેરિકનોને મુક્ત કરાવવા માટે સંઘર્ષ કર્યો. બિડનની સાથે તેમના પત્ની ડૉ જિલ અને તેમને પુત્રી એશ્લે પણ હતા.