ગૌરી લંકેશ હત્યાકાંડ: પોલીસને નક્સલીઓનો હાથ હોવાની શંકા
કર્ણાટક પોલીસ ગૌરી લંકેશની હત્યાનો કેસ ઉકેલવા માટે તેલંગણા ઇન્ટેલિજન્સ બ્યૂરો સુધી પહોંચી છે. પોલીસ આ મામલે નક્સલીઓની સંડોવણી હોવાના સંભાવના પર તપાસ કરી રહી છે.
કર્ણાટક પોલીસ ગૌરી લંકેશની હત્યાનો કેસ ઉકેલવા માટે તેલંગણા ઇન્ટેલિજન્સ બ્યૂરો સુધી પહોંચી છે. પોલીસ આ મામલે નક્સલીઓની સંડોવણી હોવાની સંભાવના પર તપાસ કરી રહી છે. આ વિષય પર તેલંગણા ઇન્ટેલિજન્સ બ્યૂરો પાસેથી જાણકારી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, ઇન્ટેલિજન્સ બ્યૂરો પાસે પણ હાલ આ અંગે કોઇ જાણકારી નથી.
ઇન્ટેલિજન્સ બ્યૂરોના અધિકારીઓએ કહ્યું કે, નક્સલીઓ જે રીતે કામ કરે છે, એના પરથી સ્પષ્ટ છે કે, તેઓ આ રીતે કોઇ શહેરી વિસ્તારમાં આવી કોઇ હુમલો ન કરી શકે. તેઓ ક્યારેય કોન્ટ્રાક્ટ કીલરને પણ હાયર નથી કરતા. તેઓ પોતાનું કામ જાતે જ કરે છે. ઇન્ટેલિજન્સ બ્યૂરોએ બેંગલુરુ પોલીસને જણાવ્યું કે, બેંગલુરુમાં કોઇ નક્સલી મોડ્યુલ પણ સક્રિય નથી. ઇન્ટેલિજન્સ બ્યૂરોએ પોલીસને કહ્યું હતું કે, હજુ સુધી એવી કોઇ જાણકારી નથી મળી, જેના પરથી લાગે કે ગૌરી લંકેશની હત્યામાં નક્સલીઓનો હાથ હોઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે, 5 સપ્ટેમ્બરની સાંજે બેંગલુરુ ખાતે ગૌરી લંકેશના ઘરની બહાર તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગૌરી લંકેશની હત્યા કરનારા ત્રણ શખ્સો બાઇક પર આવ્યા હતા અને તેમણે ગૌરી પર 7 રાઉન્ડનો ગોળીબાર કર્યો હતો. 7માંથી ત્રણ ગોળીઓ ગૌરીને ગળા પર, માથે અને છાતી પર વાગી હતી, જ્યારે બાકીની 4 ગોળીઓ દિવાલ પર લાગી હતી. ગૌરી લંકેશની હત્યા કરી તેઓ તુરંત ફરાર થઇ ગયા હતા. પત્રકાર ગૌરી લંકેશની છાપ એન્ટિ-હિંદુ તરીકેની હતી અને તેઓ નક્સલવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ દાખવતા હતા. તેઓ દરેક મુદ્દે ખૂબ હિંમતભેર પોતાનો મંતવ્ય રજૂ કરતા હોતા. આ કારણોસર તેમના અનેક વિરોધીઓ હતા.