ધારા 377 વિરુદ્ધ સરકારે દાખલ કરી પુનર્વિચાર અરજી
નવી દિલ્હી, 20 ડિસેમ્બર: કેન્દ્ર સરકારે સજાતીય સંબંધોને અયોગ્ય ઠેરવનારી ધારા 377ને યોગ્ય ગણવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરી છે. ખુદ કેન્દ્રીય કાનૂન મંત્રી કપિલ સિબ્બલે આ અંગેની જાણકારી આપી.
નિર્ણય આપનાર જજ રિટાયર થઇ ચૂક્યા છે માટે આ પુનર્વિચાર અરજી પર વિચાર માટે નવી ખંડપીઠનું ગઠન કરવામાં આવશે. હાલમાં કોર્ટની રજાઓ ચાલી રહી છે અને આ મામલામાં હવે બે જાન્યુઆરીના રોજ સુનાવણી થઇ શકશે.
બીજી બાજું મહિલા સજાતીય, પુરુષ સમલૈંગિક, દ્વિલિંગી અને કિન્નર સમુદાયના સભ્યો અને તેમના અધિકારોનું સમર્થન કાર્યકર્તા સર્વોચ્ચ અદાલતના નિર્ણયના વિરોધમાં ઠેર ઠેર પ્રદર્શન કરી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટે 11 ડિસેમ્બરના રોજ પોતાના મહત્વના ચૂકાદામાં ભારતીય દંડ સંહિતાની ધારા 377ને યથાવત રાખ્યો હતો. આ ધારા સમલૈંગિક સંબંધો પર પાબંદી લગાવે છે. સર્વોચ્ચ ન્યાયાલયે દિલ્હી હાઇકોર્ટના 2009ના એ નિર્ણયને રદીઓ આપી દીધો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ધારા એલજીબીટી સમુદાયના અધિકારનું ઉલ્લંઘન કરે છે.