કેન્દ્ર સરકારે પહેલી વાર માન્યુ, નોટબંધી દરમિયાન 4 લોકોએ ગુમાવ્યા જીવ
કેન્દ્ર સરકારે પહેલી વાર માન્યુ છે કે નોટબંધી દરમિયાન ચાર લોકોના મોત થયા હતા.
કેન્દ્ર સરકારે પહેલી વાર માન્યુ છે કે નોટબંધી દરમિયાન ચાર લોકોના મોત થયા હતા. 8 નવેમ્બરે નોટબંધીના એલાનના બે વર્ષ બાદ સરકારે રાજ્યસભામાં આ અંગે સવાલનો જવાબ આપતા કહ્યુ કે અચાનક લેવાયેલા નિર્ણયથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સરકારે કહ્યુ કે નોટબંધી દરમિયાન નોટ બદલવા માટે બેંકોની લાઈનમાં ઉભા રહેલા લોકોના મોતની જાણકારી માત્ર એસબીઆઈએ આપી છે. આમાં બેંક તરફથી જણાવવામાં આવ્યુ છે કે લાઈનમાં ઉભેલા એક ગ્રાહકની અને બેંકના ત્રણ સ્ટાફના મોત નીપજ્યા હતા.
નોટબંધી પર સરકારે સંસદમાં આપ્યુ નિવેદન
રાજ્યસભામાં સીપીઆઈ (એમ)ના સાંસદ એલામારમ કરીમે સરકારને પૂછ્યુ હતુ કે નોટબંધી દરમિયાન નોટ બદલવા માટે લાઈનમાં ઉભેલા લોકો, બેંક કર્મચારીઓ સહિત કેટલા લોકોના જીવ ગયા હતા. આ સવાલનો જવાબ આપતા નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યુ કે આ અંગે એસબીઆઈ સિવાય કોઈ પણ સરકારી ક્ષેત્રની બેંકે કોઈ સૂચના આપી નથી. એસબીઆઈની જાણકારી મુજબ નોટબંધી દરમિયાન લાઈનમાં ઉભેલા એક ગ્રાહકની અને બેંકના ત્રણ કર્મચારીએ જીવ ગુમાવવો પડ્યો હતો.
2016-17માં નોટોની પ્રિંટિંગની પડતર કિંમત પણ વધીને લગભ 8 કરોડ સુધી પહોંચી
નાણામંત્રીએ જણાવ્યુ કે એસબીઆઈએ મૃતકોના પરિવારજનોને વળતર રૂપે 44 લાખ રૂપિયા આપ્યા. જેમાં 3 લાખ રૂપિયા મૃત ગ્રાહકના પરિજનોને આપવામાં આવ્યા. તેમણે આગળ જણાવ્યુ કે નોટબંધીવાળા વર્ષ 2016-17માં નોટોની પ્રિંટિંગની પડતર પણ વધીને 7,965 કરોડ રૂપિયા સુધી થઈ ગઈ હતી. જેટલીએ જણાવ્યુ કે 2015-16માં નોટોની પ્રિંટિંગ પર 3,421 કરોડ રૂપિયાનો ખર્ચ થયો. વળી, 2016-17માં 7,965 કરોડ રૂપિયા અને 2017-18માં 4,912 રૂપિયાનો ખર્ચ થયો.
500, 1000 રૂપિયાની જૂની નોટ પાછી લેવાનો કોઈ ઈરાદો નથીઃ સરકાર
વધુ એક સવાલના જવાબમાં સરકારે કહ્યુ કે લોકો પાસે હજુ પણ 500 અને 1000 રૂપિયાની જૂની નોટ હાજર છે તો સરકાર તેમને પાછા લેવાનો કોઈ વિચાર નથી કરી રહી. આ ઉપરાંત નોટબંધીથી ઉદ્યોગ અને રોજગાર પર શું કોઈ અસર પડી, તેનું અધ્યયન કરાવવાના સવાલ પર સરકાર તરફથી જણાવાયુ કે આ અંગે કોઈ વિશેષ અભ્યાસ કરાવવામાં આવ્યો નથી.