'સ્નૂપગેટ' : સરકાર મતગણતરી પહેલા જજની નિમણૂક કરશે
નવી દિલ્હી, 2 મે : આજે કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે ગુજરાતમાં બહુચર્ચિત 'સ્નૂપગેટ'જાસુસીકાંડની તપાસ માટે રચવામાં આવેલા પંચ માટે કોંગ્રેસ-યુપીએ સરકાર 16 મે, 2014 પહેલા જ જજની નિમણૂંક કરી દેશે. આ અંગેની જાહેરાત કરીને કેન્દ્રીય કાયદા પ્રધાન કપિલ સિબ્બલે ભાજપના નેતા અરૂણ જેટલીએ કરેલા દાવા કે કોઇ જજ નરેન્દ્ર મોદીને નિશાન બનાવતા રાજકીય બખાડામાં પડશે નહીં તેવી વાતનો છેદ ઉરાડી દીધો હતો.
કપિલ સિબ્બલના નિવેદનને સમર્થન આપતા કેન્દ્રીય ગૃહ પ્રધાન સુશીલકુમાર શિંદેએ કહ્યું કે લોકસભા ચૂંટણી માટે મતગણથરી શરૂ કરાય તે પહેલા જ સરકાર ગુજરાત જાસુસીકાંડના તપાસ પંચ માટે જજની નિમણૂંક કરશે. ગુજરાતમાં એક મહિલા પર જાસુસી કરવાની ઘટના માટે તપાસ પંચ નિમવાનો કેન્દ્રીય કેબિનેટે નિર્ણય લીધો છે. 16 મે, 2014 પહેલા જજની નિમણૂંક કરીશું.
લોકસભા ચૂંટણી 2014ના ગરમાયેલા માહોલ વચ્ચે લોકપ્રિયતાના શિખર સર કરી રહેલા નરેન્દ્ર મોદીને ભીંસમાં લેવાની તમામ તકનો લાભ લેવા માંગતી કોંગ્રેસે પોતાનો છેલ્લો દાવ અજમાવીને મહિલા જાસુસી પ્રકરણમાં તપાસ કરવાની દિશામાં કેન્દ્ર સરકાર આગળ વધી રહી છે.
જજની નિમણૂંકથી ચૂંટણી આચાર સંહિતાનો ભંગ નહીં થાય? એવા સવાલનો શિંદેએ નકારમાં ઉત્તર આપ્યો હતો. અગાઉ ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીએ દેશના તમામ જજોને અપીલ કરી હતી કે તેઓ જાસુસી પ્રકરણની તપાસ ન કરે.
કપિલ સિબ્બલનો આરોપ છે કે ભાજપ આ કેસની તપાસ થાય તેનાથી ગભરાઈ ગઈ છે. ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસ મોદી પર છેલ્લો પ્રહાર કરવા માંગે છે. આથી અંદરખાને કેન્દ્ર સરકારે આ કેસની તપાસ જલ્દી શરૂ થાય તે માટેની તૈયારીઓ કરવા માંડી છે.
મહિલા આક્રિટેક્ટની જાસુસી કરવવાના પ્રકરણમાં કોંગ્રેસ અલ્હાબાદ હાઇકોર્ટના જજને નિયૂક્ત કરી શકે છે. કેન્દ્ર સરકાર અલ્હાબાદ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ધનંજય યશવંત ચંદ્રચૂડને તપાસ માટે કોઈ જજની અપોઇન્ટ કરવા અપીલ કરશે. નવા નિમાયેલી જજ તપાસ સમિતિના અધ્યક્ષ બનશે.