ડિસ્કાઉન્ટેડ રેલવે ટિકિટ માટે આધાર કાર્ડ ફરજિયાત, બજેટમાં થઇ શકે છે ઘોષણા
આગામી બજેટમાં કેન્દ્ર સરકાર ડિસ્કાઉન્ટેડ રેલવે ટિકિટ માટે આધાર કાર્ડને ફરજિયાત કરે એવી શક્યતા છે. જો આમ થાય તો 1 એપ્રિલથી આધાર કાર્ડ અનિવાર્ય બનશે.
આ વખતના બજેટમાં કેન્દ્ર સરકાર રેલવે ટિકિટ બુકિંગ માટે આધાર કાર્ડને ફરજિયાત બનાવવા જઇ રહી છે. રેલવે ટિકિટ બુકિંગ સમયે છૂટ મેળવવા માટે આધાર કાર્ડ ફરજિયાત બનશે. કહેવાઇ રહ્યું છે કે, આગામી બજેટમાં કેન્દ્ર સરકાર આ ઘોષણા કરશે, જે પછી રેલવે ટિકિટ પર છૂટ મેળવવા માટે આધાર કાર્ડ બતાવવો અનિવાર્ય રહેશે.

જો આમ થયું તો, 1 એપ્રિલથી રેલવેની રિઝર્વેશન વિન્ડો પરથી ટિકિટ લેવા માટે કે ઓનલાઇન ટિકિટ બૂક કરાવતી વખતે ટિકિટ પર છૂટ મેળવવા માટે આધાર કાર્ડ નંબર આપવો ફરજિયાત બનશે. કહેવાઇ રહ્યું છે કે, ટિકિટ બૂકિંગ દરમિયાન ડિસ્કાઉન્ટને નામે થતી છેતરપિંડીને રોકવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. આ વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ દેશભરમાં આધાર કાર્ડ બનાવડાવવા વાળાઓની સંખ્યામાં વધારો થઇ શકે છે.
ઓક્ટોબર 2016ના આંકડાઓ જોઇએ તો, અત્યાર સુધીમાં કુલ 106.69 કરોડ લોકોએ આધાર કાર્ડ બનાવડાવ્યા છે. લગભગ દરેક ક્ષેત્રમાં આધાર કાર્ડ ફરજિયાત કરીને સરકાર સુનિશ્ચિત કરી રહી છે કે, દેશની 100 ટકા જનતા પાસે આધાર કાર્ડ હોય. આ માટે સરકાર એક મહિનાનું ચુનૌતિ અભિયાન પણ શરૂ કરી શકે છે, જેમાં દેશના તમામ લોકોના આધાર કાર્ડ બનાવવામાં આવશે.
આધાર કાર્ડની અનિવાર્યતા માટે રેલવે મંત્રાલયને ઉદ્દેશીને એક સૂચના પણ બહાર પાડવામાં આવી છે. આ યોજનાને બે ચરણમાં લાગુ કરવામાં આવશે. પહેલા ચરણમાં વરિષ્ઠ નાગરિક, સ્વતંત્રતા સેનાની અને વિકલાંગ લોકો માટે તથા બીજા ચરણમાં એ તમામ લોકો માટે આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવશે, જેઓ અલગ સુવિધાઓને આધારે ટ્રેન ટિકિટ પર છૂટ મેળવવા માંગતા હોય. 1 એપ્રિલ બાદ આધાર કાર્ડ વિના રેલવે ટિકિટ પર છૂટ મેળવી શકાશે નહીં.












Click it and Unblock the Notifications
