GST રિટર્ન ભરનારાઓ માટે ખુશખબર, નહીં ભરવી પડે લેટ ફી
જીએસટી રિટર્ન ભરનારાઓ માટે ખુશખબર, લેટ ફી થશે પરત
નાણાં મંત્રી અરુણ જેટલીએ કરદાતાઓને મોટી રાહત આપી છે. તેમણે કહ્યું છે કે, જીએસટી રિટર્ન પર લગાવવામાં આવેલ લેટ ફી કરદાતાઓને પરત કરવામાં આવશે. જીએસટી-ફોર્મ 3બીની રિટર્ન સબમિશન છતાં પણ કરદાતાઓ પાસેથી પેનલ્ટી વસૂલવામાં આવી હતી. સાથે જ જેમણે હજુ સુધી પેનલ્ટી નથી ભરી, તેમણે દિવસ દીઠ રૂ.200 લેખે લેટ ફી ભરવી પડે છે. આથી નાણાં મંત્રી દ્વારા આ રાહતની જાહેરાત કરવામાં આવી છે. આ જાણકારી અરુણ જેટલીએ ટ્વીટ કરી આપી હતી.
ટ્વીટમાં અરૂણ જેટલીએ લખ્યું હતું કે, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માટે જીએસટી-ફોર્મ 3બી ફાઇલ કરનારાઓએ લેટ ફી ભરવાની નહીં રહે. જેમણે ફી ભરી દીધી છે, તેમને પૈસા પરત કરવામાં આવશે. તેમના ટેક્સ લેઝરમાં ફી ક્રેડિટ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દેશમાં જુલાઇ માસથી જીએસટી વ્યવસ્થા લાગુ થઇ છે. ત્યાર બાદ આ ત્રીજો મહિનો છે, જે માટે કંપનીઓએ જીએસટીઆર-3બી ભરવું પડે છે. આમાં તેમણે પોતાના વેચાણનો હિસાબ આપવાનો રહે છે. જુલાઇ તથા ઓગસ્ટ માટે ક્રમશઃ 55.68 લાખ તથા 50 લાખ રિટર્ન ભરવામાં આવ્યા, જેના કારણે ક્રમશઃ 95 હજાર કરોડ અને 92 હજાર કરોડ આવક થઇ છે.