ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા થયો GSTમાં ઘટાડો?
શુક્રવારે સાંજે નાણાં મંત્રી અરુણ જેટલીએ પત્રકાર પરિષદમાં જીએસટી દરમાં ઘટાડાની જાહેરાત કરી હતીવિપક્ષનો આરોપ છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છેઆ અંગે વધુ વાંચો
ગુરૂવારે એટલે કે 9 નવેમ્બરના રોજ આસામના ગુવાહાટીમાં નાણાં મંત્રી અરુણ જેટલી અધ્યક્ષતા હેઠળ જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી. ત્યાર બાદ ગુરૂવારે મળેલ જીએસટી કાઉન્સિલની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેતાં જીએસટીના દરોમાં નોંધપાત્ર ઘટાડાનો નિર્ણય લેવાયો હતો, જેની જાહેરાત અરુણ જેટલીએ પત્રકાર પરિષદ દ્વારા કરી હતી. આ મામલે હવે વિપક્ષ દ્વારા કેન્દ્ર સરકાર પર આરોપ લગાવવામાં આવ્યો છે, આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં આ ઘટાડો કરવામાં આવ્યો છે.
15 નવેમ્બરથી લાગુ થશે નવા દર
શુક્રવારે સાંજે યોજાયેલ પત્રકાર પરિષદમાં અરુણ જેટલીએ જણાવ્યું હતું કે, કુલ 227 વસ્તુઓ પર 28 ટકા જીએસટી લાગતો હતો, એની જગ્યાએ હવે માત્ર 50 વસ્તુઓ પર 28 ટકા જીએસટી ચૂકવવાનો રહેશે. કુલ 178 વસ્તુઓ પરનો જીએસટી દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે. 15 નવેમ્બરથી જીએસટીના નવા દર લાગુ થશે. 13 વસ્તુઓ પરનો જીએસટી દર 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવામાં આવ્યો છે. 6 વસ્તુઓ 18 ટકાના સ્લેબમાંથી 5 ટકાના સ્લેબમાં મુકવામાં આવી છે અને 12 ટકા જીએસટી દર ધરાવતી 8 વસ્તુઓ પર હવે માત્ર 5 ટકા જીએસટી ચૂકવવાનો રહેશે. 5 ટકાના દર હેઠળ આવતી 6 વસ્તુઓ પર હવે કોઇ જીએસટી ચૂકવવાનો નહીં રહે.
6 ઓક્ટોબરે પણ થઇ હતી બેઠક
6 ઓક્ટોબરના રોજ જ જીએસટી પરિષદની 22મી બેઠક મળી હતી. અરુણ જેટલીની આગેવાનીમાં મળેલ આ બેઠકમાં પણ કાઉન્સિલ દ્વારા 27 કેટેગરીમાં આવતી વસ્તુઓ સસ્તી કરવામાં આવી હતી. કારની ખરીદી, ઘરનું નિર્માણ પણ સસ્તુ કરવામાં આવ્યું હતું અને સાથે જ વિવિધ જોબ વર્ક પરથી વસ્તુ અને સેવા કર(જીએસટી) ખસેડી લેવામાં આવ્યો હતો. આ સિવાય જીએસટીને કારણે મંદ પડેલ વેપારને ફરી જીવંત કરવા માટે વાર્ષિક 1.5 કરોડનું ટર્નઓવર ધરાવતા વેપારીઓને માસિકની જગ્યાએ ત્રણ માસે રિટર્ન ફાઇલ કરવાની સુવિધા આપવામાં આવી હતી. કંપોઝિશન યોજના અપાવનારી કંપનીઓ માટે પણ વેપારની સીમા 75 લાખથી વધારીને એક કરોડ કરી હતી.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
એ પછી એક મહિના બાદ જીએસટી કાઉન્સિલની આ 23મી બેઠકમાં અન્ય મહત્વનો નિર્ણય લેવાયો છે, જે હેઠળ 211 વસ્તુઓ સસ્તી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ખૂબ નજીક છે. ગુજરાતના વેપારીઓ અને તેમાં પણ ખાસ કરીને સુરત અને અમદાવાદના વેપારીઓએ જીએસટી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. થોડા દિવસ પહેલાં જ કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની સુરતના વેપારીઓને મળ્યા હતા અને તે પછી યોજાયેલ પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું હતું કે, વેપારીઓના પ્રશ્નો જીએસટી કાઉન્સિલને મોકલી આપવામાં આવ્યા છે તથા ટૂંક સમયમાં જ એનો ઉકેલ લાવવામાં આવશે. એ પહેલાં સુરતની મુલાકાતે આવેલ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સુરતમાં નાના અને મધ્યમ કક્ષાના વેપારીઓ સાથે બેઠક કરી હતી અને જીએસટી મામલે સરકાર પર અનેક પ્રહારો કર્યા હતા.
કોંગ્રેસના CM અને નાણાં મંત્રીનો આરોપ
હવે પુડુચેરી સહિત બે અન્ય રાજ્યોના નાણાં મંત્રીઓએ કેન્દ્ર સરકાર પર આરોપ મુક્યો છે કે, તેઓ ગુજરાત ચૂંટણીને ધ્યાનમાં રાખીને જીએસટીમાં પરિવર્તન કરી રહ્યાં છે. કોંગ્રેસ શાસિત રાજ્યોના નાણાં મંત્રી તથા મુખ્યમંત્રીએ અરુણ જેટલીને પત્ર લખીને જણાવ્યું છે કે, મોટો ટેક્સ લાગુ કરવાનો નિર્ણય ખોટો હતો અને હવે સરકાર જે પરિવર્તન કરી રહી છે, એ ગુજરાત ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરી છે. અંગ્રેજી સમાચાર ચેનલ ઇન્ડિયા ટુડે અનુસાર, પુડુચેરીના મુખ્યમંત્રી વી.નારાયણ સામીએ કહ્યું છે કે, કેન્દ્ર સરકારની નજર હાલ ગુજરાત ચૂંટણી પર છે અને આથી આ નિર્ણયો લેવાઇ રહ્યાં છે. તો પંજાબના નાણાં મંત્રીએ કહ્યું છે કે, જીએસટી પર કોંગ્રેસના સૂચનો અંગે સરકારનું વલણ સારું નથી.
શું કહ્યું ચિદમ્બરમે?
યુપીએ સરકારમાં નાણાં મંત્રી રહેલ પી.ચિદમ્બરમે શુક્રવારે સવારે કહ્યું કે, કોંગ્રેસ શાસિત રાજ્યોના નાણાં મંત્રીઓ તરફથી સતત પત્રો લખાયા બાદ હવે એના એજન્ડા પર વાતો થશે. આ પત્રોમાં જીએસટી લાગુ કર્યા બાદ કયા પ્રકારની તકલીફો સામે આવી છે, એની પર ધ્યાન આપવામાં આવ્યું હતું. સરકાર આ મુદ્દાઓ અવગણી ન શકે.