ગુજરાતનાં પૂર્વ રાજ્યપાલ કમલા બેનિવાલને મિઝોરમનાં રાજ્યપાલ તરીકે બરતરફ કરાયાં
ઐઝવાલ, 6 ઓગસ્ટ : ગુજરાતનાં પૂર્વ રાજ્યપાલ કમલા બેનિવાલને મિઝોરમનાં રાજ્યપાલ તરીકે બરતરફ કરાયાં છે. આ અહેવાલ સમાચાર એજન્સી પીટીઆઇએ આપ્યો છે. તેમણે એક મહિના પહેલા જ મિજોરમના 12મા રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા. અંગ્રેજી ન્યુઝ ચેનલ ટાઇમ્સ નાઉના અહેવાલ પ્રમાણે મિઝોરમમાં નવા રાજ્યપાલ તરીકે વિનોદ કુમાર દુગ્ગલની નિયુક્તિ કરવામાં આવી શકે છે. કમલા બેનિવાલ નવેમ્બર, 2014માં સેવાનિવૃત્ત થઇ રહ્યા છે તે પહેલા આ તેમને માટે મોટો આંચકો છે.
નોંધનીય છે કે કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદ રાજ્યપાલોની બદલીના ભાગરૂપે એક મહિના પહેલા ગુજરાતના રાજ્યપાલ કમલા બેનીવાલને મિઝોરમ મોકલી દેવામાં આવ્યા હતા. બેનીવાલના મોદી સાથે એ સમયે સારા સંબંધ ન્હોતા જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. ગુજરાતમાં લોકાયુક્તની નિયુક્તિ અને કેટલાંક વિધેયકોને લઇને મોદી સરકાર સાથે તેમની ઘણી લાંબા સમય સુધી ખેંચતાણ રહી હતી.
રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લાના ગોરિર ગામમાં 12 જાન્યુઆરી, 1927ના રોજ જન્મેલા 87 વર્ષીય બેનીવાલનો કાર્યકાળ આ વર્ષે નવેમ્બરમાં સમાપ્ત થવાનો છે. ગુજરાતમાંથી મિઝોરમ બદલી કરાતા તેમણે વક્કોમ પુરુષોત્તમનનું સ્થાન લીધું હતું.
તાજેતરમાં એક અંગ્રેજી સમાચાર પત્રના અહેવાલમાં ઘટસ્ફોટ કરાયો હતો કે કમલા બેનિવાલે જરાતના ગવર્નર તરીકે પોતાના કાર્યકાળ દરમિયાન રાજ્યના સાધનોનો ઉપયોગ કરીને ખૂબ ઉડાનો ભરી છે. જરાતના ગવર્નર તરીકે 497 દિવસ રાજ્યની બહાર રહ્યા હતા.
ગુજરાતના રાજભવનના રિપોર્ટને ટાંકીને સમાચાર પત્રએ લખ્યું છે કે ગુજરાતના રાજ્યપાલ તરીકે કમલા બેનિવાલે વર્ષ 2011થી 2014 વચ્ચે 63 વાર સરકારી વિમાનનો ઉપયોગ કર્યો છે. તેમાંથી 53 ઉડાનો કમલા બેનિવાલે પોતાના ગૃહનગર જયપુર માટે હતી. જ્યારે 10 ઉડાનો દિલ્હી માટે હતી. તેમણે કુલ 277 કલાક ઉડાન ભરી હતી. મહત્વની બાબત એ છે તે તેમાંથી મોટા ભાગની યાત્રાઓ સત્તાવાર યાત્રા તરીકે નોંધવામાં આવી છે.