ગુજરાતના રાજ્યપાલ કમલા બેનીવાલની બદલી, બનશે મિઝોરમના રાજ્યપાલ
નવી દિલ્હી, 7 જુલાઇ: રાજ્યપાલોની બદલીના ભાગરૂપે રવિવારે ગુજરાતના રાજ્યપાલ કમલા બેનીવાલને મિઝોરમ મોકલી દેવામાં આવ્યા છે. બેનીવાલના મોદી સાથે એ સમયે સારા સંબંધ ન્હોતા જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. ગુજરાતમાં નવા રાજ્યપાલની નિમણૂંક થવા સુધી રાજસ્થાનની રાજ્યપાલ માર્ગરેટ અલ્વાને વધારાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે.
87 વર્ષીય બેનીવાલનો કાર્યકાળ આ વર્ષે નવેમ્બરમાં સમાપ્ત થશે. તેઓ મિઝોરમમાં વક્કોમ પુરુષોત્તમનનું સ્થાન લેશે. ગુજરાતમાં લોકાયુક્તની નિયુક્તિ અને કેટલાંક વિધેયકોને લઇને મોદી સરકાર સાથે તેમની ઘણી લાંબા સમય સુધી ખેંચતાણ રહી હતી. રાજસ્થાનના રાજ્યપાલ માર્ગરેટ અલ્વાને ગુજરાતનો વધારાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. તે એક માસમાં સેવાનિવૃત્ત થઇ રહ્યા છે.
પહેલા એવી અટકળો તોળાઇ રહી હતી કે સોમવારથી શરૂ થઇ રહેલા સંસદ બજેટ સત્ર પહેલા કેટલાંક નવા રાજ્યપાલોની નિમણૂંક થશે. પાછલા મહીને સરકારે કોંગ્રેસ નેતૃત્વ યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન નિમણૂંક થયેલા કેટલાંક રાજ્યપાલોને પદ છોડવાનો સંકેત મોકલ્યો હતો.
સરકારના ઇશારા બાદ જે રાજ્યપાલોએ રાજીનામુ આપ્યું હતું, તેમાં બીએલ જોશી (ઉત્તર પ્રદેશ), એમકે નારાયણન (પશ્ચિમ બંગાળ), શેખર દત્તા (છત્તીસગઢ), અશ્વની કુમાર (નાગાલેન્ડ) અને બીવી વાંચૂ (ગોવા)નો સમાવેશ થાય છે. બે રાજ્યપાલ હંસરાજ ભારદ્વાજ(કર્ણાટક) અને દેવાનંદ કુંવર (ત્રિપુરા) ગયા મહિનાના અંતે જ સેવાનિવૃત્ત થયા છે.