લો, ચૂલામાં ગયું ઘર, મતદારો બન્યાં ઇન્ટેલિજન્ટ!
ગુજરાતમાં ભાજપનો વિજય થયો જે અપેક્ષિત હતું. હિમાચલમાં કોંગ્રેસનો વિજય થયો એ પણ અપેક્ષિત હતું. પણ ગુજરાતમાં કોંગ્રેસની હારનું અને હિમાચલ પ્રદેશમાં ભાજપની હારના કારણમાં થોડી સમાનતા જોવા મળે છે. આ હારનું મૂળ પાર્ટીઓના ચૂંટણી ઢંઢેરામાં પડેલું છે. જનતાને જનાર્દન કહીને માથે ચડાવ્યા બાદ લોકોને ખબર નહીં પડે એમ સમજી ઠાલા વચનો આપનારી રાજકીય પાર્ટીઓ માટે હવે વહેલીતકે સમજીને મગજમાં ઉતારી લેવા જેવું છે કે હવે મતદારો મૂર્ખ નથી.
મતદારો બુધ્ધિમાન બન્યા છે. નિરક્ષરતાને બુધ્ધિમત્તા સાથે કોઇ લેવા દેવા નથી. લોકો સમજી ગયા છે કે લાલચનું ગાજર લટકાવી મતો લઇ જતી પાર્ટીઓ માટે મતદારોની વિશેષ કિંમત નથી. આથી તેમણે લાળ ટપકાવતી જાહેરાતો કરતી પાર્ટીઓને જાકારો આપી લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખ્યા ના મરેની કહેવતનો છેદ ઉડાવી દીધો છે.
ગુજરાતમાં કોંગ્રેસે પછાત અને ગરીબ મહિલાઓને ઘર આપવા માટે 'ઘરનું ઘર' યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના માટે અરજીઓ મંગાવવામાં આવી, લાખોની સંખ્યામાં ફોર્મ ભરવામાં આવ્યા. પણ પરિણામ. પરિણામ એ જ આવ્યું જે જનતા ચાહે છે. લોકોએ લાલચ ફગાવીને કોંગ્રેસને જાકારો આપ્યો. બીજી તરફ ભાજપે હિમાચલમાં ગેસ સિલિન્ડરના વધેલા ભાવોનો મુદ્દો ઉઠાવી ઇલેક્ટ્રિક ચૂલા આપવાની લાલચ આપી અને પોતાના હાથ બાળી બેઠા.
હિમાચલ પ્રદેશમાં એન્ટિ ઇન્કમ્બન્સી પણ કામ કરી ગઇ છે. મતદારોએ આ વખતની ચૂંટણીમાં વિકાસ, દેખીતા વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. પક્ષોના ચૂંટણી ઢંઢેરામાં તેમણે તારવ્યું છે કે કયો પક્ષ કયા વાયદા વાસ્તવિક રીતે પૂરા કરી શકવાની શક્યતા ધરાવે છે. જેમ પક્ષો વિકાસના મુદ્દે ચૂંટણી લડી રહ્યા છે. તેમ મતદારો પણ હવે વિકાસના મુદ્દાઓને જ ધ્યાનમાં રાખીને મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 182 બેઠકોમાંથી ભાજપે 115 અને કોંગ્રેસે 61 બેઠકો મેળવી છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં 68 બેઠકોમાંથી ભાજપે 26 અને કોંગ્રેસે 36 બેઠકો મેળવી છે.