કુમારસ્વામી આજે લેશે સીએમ પદના શપથ, સમારંભમાં મોદી વિરોધીઓનો જમાવડો
આજે કર્ણાટક માટે મોટો દિવસ છે કારણકે આજે જેડીએસના એચડી કુમારસ્વામી સાંજે 4.30 કલાકે રાજ્યના સીએમ પદની શપથ લેશે.
લાંબા રાજકીય ઘમાસાણ બાદ છેવટે એ દિવસ આવી ગયો જેની રાહ કોંગ્રેસ અને જેડીએસ 12 મે બાદ દરેક પળે કરી રહ્યા હતા. આજે કર્ણાટક માટે મોટો દિવસ છે કારણકે આજે જેડીએસના એચડી કુમારસ્વામી સાંજે 4.30 કલાકે રાજ્યના સીએમ પદની શપથ લેશે. આજે તેમની સાથે ઉપમુખ્યમંત્રી તરીકે કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ જી પરમેશ્વર પણ શપથ લેશે અને આ રીતે આજે કોંગ્રેસ અને જેડીએસ રાજ્યમાં એક નવો ઈતિહાસ રચવા જઈ રહ્યા છે.
24 મે ના રોજ વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો છે
કોંગ્રેસ તરફથી જારી કરવામાં આવેલ વિજ્ઞપ્તિમાં કહેવામાં આવ્યુ છે કે ગુરુવારે કેઆર રમેશ કુમારને સ્પીકર બનાવવામાં આવશે. કુમારસ્વામી આજે સીએમ પદના શપથ લેશે અને ત્યારબાદ 24 મે ના રોજ વિધાનસભામાં બહુમત સાબિત કરશે. વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ બાદ કેબિનેટ વિસ્તરણ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ અનુસાર કોંગ્રેસના 22 અને જેડીએસના 12 ધારાસભ્યોને કેબિનેટમાં જગ્યા મળી શકે છે.
કર્ણાટક ચૂંટણીમાં કોઈને બહુમત નથી મળ્યો
તમને જણાવી દઈએ કે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 12 મે ના રોજ મતદાન થયુ હતુ. જ્યારે 15 મે ના રોજ પરિણામ આવ્યા હતા. આમાં 104 સીટો જીતીને ભાજપ સૌથી મોટો પક્ષ બન્યુ હતુ. જ્યારે કોંગ્રેસ 78 સીટો અને જેડીએશ 37 સીટો પર જીત મળી હતી. આ ચૂંટણીમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમત મળ્યુ નહોતુ જેના કારણે ભાજપે સૌથી મોટો પક્ષ હોવાનો દાવો કરીને સરકાર બનાવી લીધી પરંતુ સીએમ યેદુરપ્પાએ બહુમત ના હોવાને કારણે ફ્લોર ટેસ્ટ પહેલા જ સીએમ પદેથી રાજીનામુ આપી દીધુ હતુ. ત્યારબાદ હવે જેડીએસ અને કોંગ્રેસ મળીને સરકાર બનાવવા જઈ રહ્યા છે.
શપથગ્રહણ સમારંભ
ઉલ્લેખનીય છે કે એચડી કુમારસ્વામીના શપથ ગ્રહણ સમારંભમા વિપક્ષી પક્ષોના ઘણા નેતા શામેલ થશે. કુમારસ્વામીએ પોતે બધાને આમંત્રણ આપ્યુ છે. સોમવારે તે નવી દિલ્હીમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને પણ આમંત્રણ આપવા પહોંચ્યા હતા.
ઘણા દિગ્ગજ નેતાને આમંત્રણ
શપથગ્રહણ સમારંભમાં અખિલેશ-માયા ઉપરાંત રાજદના તેજસ્વી યાદવ, અભિનેતામાંથી નેતા બનેલા કમલ હાસન, ડીએમકેના એમકે સ્ટાલિન, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રાબાબુ નાયડુ, તેલંગાના સીએમ ચંદ્રશેખર રાવ પણ પહોંચવાની આશા છે.