રામલીલા મેદાન પહોંચીને બોલ્યા દેવગૌડા- ખેડૂતો સરકારને સજા આપશે
રામલીલા મેદાનમાં બોલ્યા દેવગૌડા- ખેડૂતો સરકારને સજા આપશે
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારને ઘેરવા માટે દેશના વિવિધ ભાગમાં ખેડૂતો રાજધાની દિલ્હી સ્થિત રામલીલા મેદાનમાં એકઠા થઈ રહ્યા છે. આની વચ્ચે પૂર્વ વડાપ્રધાન અને જેડીએસના નેતા એડી દેવગૌડા ખેડૂતોનું સમર્થન કરવા માટે દિલ્હીના રામલીલા મેદાન પહોંચ્યા હતા. જણાવી દઈએ કે ખેડૂતો પોતાના દેવાં માફી અને અન્ય લઘુત્તમ ટેકાના ભાવમાં યોગ્ય ભાવ મળે તેવી માગણીઓને લઈ દિલ્હીમાં એકઠા થયા છે. બે દિવસ માટે દિલ્હી આવેલા ખેડૂતોમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ જબરદસ્ત ગુસ્સો જોવા મળી રહ્યો છે.
રામલીલા મેદાન પહોંચી દેવગૌડાએ કહ્યું, 'વડાપ્રધાનને વ્યક્તિગત રૂપે આ મુદ્દે ધ્યાન આપવું જોઈએ. હું કેન્દ્રને અપીલ કરવા માગું છું કે એમની સમસ્યાનું સમાધાન કરે.' દેવગૌડાએ કહ્યું કે ખેડૂતો હવે જાગી ચૂક્યા છે. તેઓ જાણે છે કે સજા કેવી રીતે દેવી છે. દેવગૌડાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ખેડૂતો વિના કોઈપણ સરકાર જીવી ન શકે.
દેશના લગભગ તમામ રાજ્યોમાંથી ખેડૂતો આવી રહ્યા છે. દિલ્હીના રામલીલા મેદાનમાં ઓછામાં ઓછા 1 લાખ ખેડૂતો એકઠા થાય તેવી સંભાવના છે. ખેડૂતોની આ વિશાળ સભાને અખિલ ભારતીય ખેડૂત સભા અને લેફ્ટની પાર્ટીઓનું સમર્થન મળી રહ્યું છે. આ ઉપરાંત રામલીલા મેદાનમાં ખેડૂતોનો સાથ આપવા માટે વિદ્યાર્થીઓથી લઈને દરેક વર્ગના લોકોને જોઈ શકાય છે.
આ પણ વાંચો- મહારાષ્ટ્ર વિધાનસભામાં પાસ થયુ 16 ટકા મરાઠા અનામત બિલ