ઝારખંડમાં રાષ્ટ્રપતિ શાસન હટાવ્યું, હેમંત સોરેન બન્યા મુખ્યમંત્રી
રાંચી, 13 જુલાઇ: ઝારખંડમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવવાની રાજ્યપાલની ભલામણને રાષ્ટ્રપતિની મંજૂરી પ્રાપ્ત થયા બાદ ઝારખંડ મુક્તિ મોરચા ધારાસભ્ય દળના નેતા હેમંત સોરેને રાજ્યના નવમા મુખ્યમંત્રીના રૂપમાં શપથ ગ્રહણ કર્યા હતા. ઝારખંડના રાજ્યપાલ સૈયદ અહેમદે કોંગ્રેસના રાજેન્દ્ર પ્રસાદ સિંહ અને આરજેડીની અન્નપૂર્ના દેવીને પણ મંત્રીઓના રૂપમાં શપથ ગ્રહણ કરાવ્યા હતા. આ સાથે જ રાજ્યમાં હેમંત સોરેનના નેતૃત્વમાં નવી સરકારની રચના થઇ ગઇ છે.
આ પહેલાં ઝારખંડના રાજ્યપાલ સૈયદ અહેમદે આજે ઝારખંડ મુક્તિ મોરચા ધારસભ્ય દળના નેતા હેમંત સોરેનને રાજ્યમાં વૈકલ્પિક સરકાર બનાવવા માટે આમંત્રિત કર્યા. રાજ્યપાલે પ્રધાન સચિવ એનએન સિન્હાએ જણાવ્યું હતું કે રાજ્યમાં કેન્દ્રિય શાસન હટાવવાની કેન્દ્રિય મંત્રીમંડળની ભલામણને ગઇકાલે મોડી રાત્રે રાષ્ટ્રપતિની મંજૂરી પ્રાપ્ત થયા બાદ હેમંત સોરેનને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
ઝારખંડમાં લગભગ છ મહિનાથી ચાલી રહેલા રાષ્ટ્રપતિ શાસન આજે હટાવી દેવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા આજે સવારે જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલિઝમાં કહેવામાં આવ્યું હતું કે પ્રણવ મુખર્જીએ ઝારખ6ડ રાજ્યના સંદર્ભમાં 18 જાન્યુઆરી 2012ના રોજ જાહેર કરેલી જાહેરાત પરત લેતાં આજે (13 જુલાઇ 2013) સંવિધાનની કલમ 356ની કલમ (2) હેઠળ ઘોષણા પર સહી કરી હતી. રાજ્યમાં 18 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું હતું.
કોંગ્રેસ પણ ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેનના નેતૃત્વમાં બનનારી ઝારખંડ સરકારમાં સામેલ થયા છે. હેમંત સોરેનના 82 સભ્યોવાળી વિધાનસભામાં 43 ધારાસભ્યોના સમર્થન સાથે 9 જુલાઇના રોજ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.