'ભાજપની ડબલ એન્જિનવાળી સરકાર જલ્દી ઉતરશે પાટા પરથી', હિમાચલમાં સચિન પાયલટે સાધ્યુ નિશાન
રાજા રઘુબીર સ્ટેડિયમમાં કોંગ્રેસ નેતા સચિન પાયલટે એક જનસભાને સંબોધિત કરીને ભાજપ પર જોરદાર નિશાન સાધ્યુ.
હિમાચલ પ્રદેશની આવનારી વિધાનસભા ચૂંટણીને લઈને દરેક પક્ષોનો પ્રચાર-પ્રસાર જોરશોરમાં ચાલી રહ્યો છે. આ ક્રમમાં આનીના રાજા રઘુબીર સ્ટેડિયમમાં કોંગ્રેસ નેતા સચિન પાયલટે એક જનસભાને સંબોધિત કરીને ભાજપ પર જોરદાર નિશાન સાધ્યુ. તેમણે કહ્યુ કે ભાજપની ડબલ એન્જિનની સરકારનુ એક એન્જિન જનતા 12 નવેમ્બરે ફેલ કરી દેશે. બીજા એન્જિનનો વારો 2024માં આવશે. 2024માં જામીન પણ જપ્ત થઈ જશે.
પાયલટે કહ્યુ કે રાજ્યમાં ભાજપમાં આંતરિક વિખવાદ છે. તેથી હિમાચલમાં પરિવર્તનની લહેર સ્પષ્ટ દેખાઈ રહી છે. પ્રચાર દરમિયાન કોંગ્રેસ પાર્ટીને હિમાચલ પ્રદેશમાં અપાર સ્નેહ મળી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે. તેમણે કહ્યુ કે કેન્દ્ર સરકારે પહેલા તાનાશાહી વલણ અપનાવીને બળજબરીથી કૃષિ કાયદા લાગુ કર્યા. લગભગ દોઢ વર્ષમાં સેંકડો ખેડૂતોએ આત્મહત્યા કરી. જે બાદ ખેડૂતો સાથે વાત કર્યા વિના તેમને પરત લઈ જવામાં આવ્યા હતા. લોકો પૂછી રહ્યા છે કે જ્યારે કાયદો પાછો ખેંચવો હતો તો તેનો અમલ કેમ કરવામાં આવ્યો? રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં માત્ર ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપ્યુ. ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે પરંતુ તેઓએ તેમના પાંચ વર્ષના કાર્યકાળનું રિપોર્ટ કાર્ડ જનતાની સામે રાખવું જોઈતુ હતુ. પાયલોટે કહ્યુ કે દેશમાં જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં ઓપીએસ લાગુ કરવામાં આવી રહી છે. હિમાચલમાં પણ સરકાર બન્યા બાદ પ્રથમ કેબિનેટમાં ઓપીએસ લાગુ કરવામાં આવશે.
સચિન પાયલટે કહ્યુ કે મોંઘવારીએ આજે સામાન્ય લોકોનુ જીવન મુશ્કેલ બનાવી દીધુ છે પરંતુ ભાજપના કોઈ મોટા નેતા તેના માટે કોઈ યોજના બનાવવા અને બોલવા માટે તૈયાર નથી. છેલ્લા પાંચ વર્ષનો રિપોર્ટ કોઈ આપવા માંગતા નથી. હવે પછીના પાંચ વર્ષની જ વાત કરે છે. જનતા વિકાસ ઈચ્છે છે તેથી આ વખતે હિમાચલમાં લોકો પરિવર્તનના મૂડમાં છે. તેમણે કહ્યુ કે ભાજપ હંમેશા ટકરાવની રાજનીતિ કરે છે. જ્યારે કોંગ્રેસ ભાઈચારા અને બધાને સાથે લઈને ચાલવાની વાત કરે છે. કોંગ્રેસ એકતા જાળવી રાખવા માંગે છે. જનતા જુમલાબાજી અને ખોટા વચનોથી કંટાળી ગયા છે અને કોંગ્રેસ તરફ મીટ માંડી રહ્યા છે. તેમણે કહ્યુ કે મતદારોનો ઝૂકાવ કોંગ્રેસ તરફી છે કારણકે સત્તાધારી પાર્ટી ભાજપે છેલ્લા પાંચ વર્ષોમાં કોઈ કામ નથી કર્યુ. આ જ કારણ છે કે ભાજપ પીએમ સહિત તમામ મોટા નેતાઓને પ્રચાર માટે મોકલી રહી છે. તમને જણાવી દઈએ કે 5 નવેમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ હિમાચલમાં ભાજપ માટે પ્રચાર કર્યો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ રાજ્યમાં ઘણી રેલીઓ કરી છે. જેમાં તેમણે અનેક મુદ્દાઓ પર કોંગ્રેસને આડે હાથ લીધી છે.