Kanjhawala case : આરોપીઓ વિરૂદ્ધ જલ્દી ચાર્જસીટ દાખલ કરવા સાથે જવાબદાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવા સૂચન
ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસ કમિશનરને ત્રણ પીસીઆર અને બે પોલીસ પિકેટ પર તૈનાત પોલીસકર્મીઓ સામે સસ્પેન્ડ કરવા અને શિસ્તભંગના પગલાં લેવાનું સૂચન કર્યું છે.
નવી દિલ્હી : દિલ્હીના ચકચારી કાંઝાવાલા અકસ્માક કેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સામે આવી રહેલી વિગતો અનુસાર, દિલ્હી પોલીસને ઝડપથી ચાર્જસીટ દાખલ કરવા સાથે જવાબધાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા સૂચન કરાયુ છે. આ કેસમાં ગૃહ મંત્રાલયને દિલ્હી પોલીસ તરફથી વિગતવાર અહેવાલ અપાયો છે. આ રિપોર્ટ બાદ હવે ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસને જલ્દી કોર્ટમાં ગુનેગારો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવા અને તમામ જરૂરી પગલાં ભરવાનું સૂચન કર્યું છે.
યુવતીના મૃત્યુ મુદ્દે રિપોર્ટની નોંધ લેતા ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસ કમિશનરને ત્રણ પીસીઆર અને બે પોલીસ પિકેટ પર તૈનાત પોલીસકર્મીઓ સામે સસ્પેન્ડ કરવા અને શિસ્તભંગના પગલાં લેવાનું સૂચન કર્યું છે. ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસ કમિશનરને તપાસના અભાવને ધ્યાનમાં રાખીને તપાસ અધિકારી સામે કારણ બતાવો નોટિસ જારી કરવાનું પણ સૂચન કર્યું છે.
અહીં તમને જણાવી દઈએ કે, નવા વર્ષે દિલ્હીના કાંઝાવાલામાં એક કારે બાઈકને ટક્કર મારીને યુવતીને 14 કિલોમીટર સુધી ઘસડી હતી. આ ઘટનામાં યુવતીનું મોત થયુ હતુ. ઘટનાને લઈને દિલ્હી પોલીસે 7 આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. કારમાં સવાર 5 લોકો સિવાય અન્ય બે આરોપીએ પર મદદગારી કરવાનો આરોપ છે. હાલ આ મુદ્દે દિલ્હી પોલીસ તથ્યો શોધી રહીછે.