હનીપ્રીત ઇંસાએ કરી આગોતરા જામીનની અરજી
બે સાધ્વીઓ સાથે બળાત્કારના કેસમાં રામ રહીમને સજા થયા બાદ નાસી છૂટેલી હનીપ્રીત ઇંસા તરફથી આગોતરા જામીનની અરજી કરવામાં આવી છે.
બે સાધ્વીઓ સાથે બળાત્કારના કેસમાં ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહને જેલ થયા બાદથી હનીપ્રીત ઇંસા નાસી છૂટી છે. હનીપ્રીત ઇંસા દ્વારા સોમવારે દિલ્હી હાઇકોર્ટમાં આગોતરા જામીનની અરજી દાખલ કરવામાં આવી હતી. હનીપ્રીતના વકીલ પ્રદીપ કુમાર આર્યએ આ અંગે માહિતી આપી હતી. આર્યએ સાથે એ પણ જણાવ્યું હતું કે, મંગળવારે મામલાની સુનવણી માટે કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ ગીતા મિત્તલના નેતૃત્વવાળી બેંચ સામે હાજર થશે. સાથે જ વકીલે કહ્યું હતું કે, જો કોર્ટ હનીપ્રીતની અરજી મંજૂર કરે તો તે શરણાગતિ સ્વીકારવા પણ તૈયાર છે. જો દિલ્હી હાઇકોર્ટ અરજી સ્વીકારે તો હનીપ્રીતને થોડા દિવસો માટે ટ્રાંઝિટ બેલ મળી શકે છે અને ત્યાર બાદ આ અરજી પંજાબ હાઇકોર્ટમાં ટ્રાન્સફર થઇ શકે છે. હનીપ્રીતની અરજી પર મંગળવારે બપોરે 2 વાગે સુનવણી થશે.
હનીપ્રીતે પોતાના આગોતરા જામીનની અરજીમાં મુખ્ય 3 વાતોનો ઉલ્લેખ કર્યો છે. તેણે લ્ખયું છે કે, હું નાનપણથી ડેરા સચ્ચા સૌદા સાથે જોડાયેલી છું. મારા માથે જીવનું જોખમ છે. ગુરમીત રામ રહીમની પુત્રી હોવું એ મારા માટે સૌભાગ્યની વાત છે. મંગળવારે સવારે 9.20 કલાકે હરિયાણાની પંચકુલા પોલીસ દ્વારા એ-9 ગ્રેટર કૈલાશ ખાતે હનીપ્રીતની ધરપકડ માટે છાપો મારવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ હનીપ્રીતને પકડવામાં નિષ્ફળ રહી. તો બીજી બાજુ હનીપ્રીતના વકીલે કહ્યું હતું કે, રામ રહીમની ધરપકડ બાદ પિતા-પુત્રીના સંબંધોને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે. હનીપ્રીત ગાયબ થઇ હોવાની વાતે વકીલે જણાવ્યું હતું કે, તે સુરક્ષાના કારણોસર સામે નહોતી આવી રહી.
બળાત્કારના કેસમાં રામ રહીમ દોષી સાબિત થયા બાદ હરિયાણા અને પંજાબમાં ફાટી નીકળેલ હિંસાના મામલે પોલીસ 43 લોકોને શોધી રહી છે, જેમાં હનીપ્રીતનું નામ સૌથી ઉપર છે. હનીપ્રીત પર હિંસા ભડકાવવા ઉપરાંત દેશદ્રોહનો પણ આરોપ છે. હનીપ્રીત વિરુદ્ઘ ઘણા સમયથી પોલીસે લૂકઆઉટ નોટિસ પણ જાહેર કરી હતી.