કોરોનાની ત્રીજી લહેરની સંભાવના ટળી? શું કહ્યું AIIMS ડિરેક્ટર રણદિપ ગુલેરીયાએ?
દેશમાં કોરોના વાયરસના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ફરી એકવાર 10,000 થી ઓછા નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 9,283 નવા કેસ મળી આવ્યા છે, જ્યારે 10,949 લોકો સ્વસ્થ થયા છે.
દેશમાં કોરોના વાયરસના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ફરી એકવાર 10,000 થી ઓછા નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 9,283 નવા કેસ મળી આવ્યા છે, જ્યારે 10,949 લોકો સ્વસ્થ થયા છે. આના કારણે સક્રિય કેસોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે અને હવે આ આંકડો ઘટીને માત્ર 1,11,481 પર આવી ગયો છે. આ આંકડો છેલ્લા 537 દિવસમાં એટલે કે લગભગ દોઢ વર્ષમાં સૌથી ઓછો છે. આટલું જ નહીં, રિકવરી રેટ પણ વધીને 98.33 ટકા થઈ ગયો છે, જે ગયા વર્ષના માર્ચ પછી સૌથી ઊંચો છે. આ દરમિયાન, કોરોના રસીકરણમાં પણ તેજી જોવા મળી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં 1118 કરોડથી વધુ કોરોના રસી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં આ આંકડો 120 કરોડને પાર થવાની આશા છે.
આ દરમિયાન AIIMSના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે કદાચ હવે દેશમાં કોરોનાની ત્રીજી લહેર નહીં આવે. તેમણે કહ્યું કે દેશમાં પહેલી અને બીજીની જેમ કોરોનાની ત્રીજી લહેર આવે તેવી શક્યતા બહુ ઓછી છે. એટલું જ નહીં, તેમણે કહ્યું કે જે રીતે કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, તે સ્પષ્ટ છે કે લોકોને રસી દ્વારા સુરક્ષિત કરવામાં આવી રહ્યા છે અને હાલમાં કોરોનાના બૂસ્ટર ડોઝની જરૂર નથી. તેમણે ICMRના ડાયરેક્ટર ડૉ. બલરામ ભાર્ગવના પુસ્તક 'ગોઇંગ વાયરલઃ મેકિંગ ઓફ કોવેક્સિન - ધ ઇનસાઇડ સ્ટોરી'ના વિમોચન સમયે આ વાત કહી.
ડો. ગુલેરિયાએ કહ્યું કે જે રીતે વેક્સીનની અસરથી ચેપની ગતિ અટકી ગઈ છે અને હોસ્પિટલો પરનું દબાણ ઘટ્યું છે તે જોતાં ત્રીજી લહેરનો ભય ખતમ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે જો આવું થાય તો પણ તે પહેલી અને બીજી લહેર જેટલી ખતરનાક નહીં હોય. તેમણે કહ્યું કે સમય વીતવાની સાથે આ મહામારી બીમારીમાં ફેરવાઈ જશે અને ઘાતકતા ઓછી થશે. બૂસ્ટર ડોઝના પ્રશ્ન પર તેમણે કહ્યું કે હાલમાં જે રીતે કેસ સતત ઘટી રહ્યા છે, તે જોતા એવું લાગતું નથી કે દેશમાં કોરોના રસીના બૂસ્ટર ડોઝ કે ત્રીજા ડોઝની જરૂર છે.