જાલોર નેશનલ હાઈવે પર સુખોઈ વિમાનનું લેન્ડિંગ, ઈમરજન્સીમાં રનવે તરીકે ઉપયોગ કરી શકાશે!
રાજસ્થાનના જાલોરમાં નેશનલ હાઈવે પર બનેલા ઇમરજન્સી લેન્ડિંગ ફિલ્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
રાજસ્થાનના જાલોરમાં નેશનલ હાઈવે પર બનેલા ઇમરજન્સી લેન્ડિંગ ફિલ્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, એર ચીફ માર્શલ RKS ભદૌરિયા અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. પ્રથમ વખત સુખોઈ Su-30 MKI ફાઇટર જેટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઉતર્યું છે.
C-130J સુપર હર્ક્યુલસ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી અને એર ચીફ માર્શલ RKS ભદૌરિયાને લઈને જાલોર નેશનલ હાઈવે પર ઈમરજન્સી ફિલ્ડ પર લેન્ડિંગ કર્યુ હતું.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી અને સેના પ્રમુખે આજે રાજસ્થાનમાં પાકિસ્તાન સરહદથી 40 કિમી પહેલા નેશનલ હાઈવે 225 પર ઉતરીને નવો ઈતિહાસ સર્જ્યો છે. આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ, જે વ્યૂહાત્મક રીતે મહત્વનો છે તે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવ્યો છે. આ અંતર્ગત 39.95 કરોડના ખર્ચે બકાસર ગામ પાસે હવાઈ પટ્ટી બનાવવામાં આવી છે. સરહદ નજીક એરપોર્ટ ન હોવાને કારણે એર સ્ટ્રાઈક બનાવવામાં આવી છે, જે યુદ્ધના સમયમાં ઉપયોગી થઈ શકે છે. સુખોઈ અને જગુઆર વિમાનોએ પણ અહીં ટચ ડાઉન કર્યુ હતુ. એક સુખોઈ વિમાન પણ રનવે પર પાર્ક કરવામાં આવ્યું હતું.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, આર્મીની ઓપરેશનલ ક્ષમતા વધારવા માટે દેશમાં ઘણા સ્થળોએ ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણ દ્વારા આ પ્રકારના ઈમરજન્સી લેન્ડિંગ ફિલ્ડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ કુદરતી આફતના સમયમાં લોકોને વહેલી તકે રાહત આપવામાં પણ મદદ કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સરહદથી થોડે દૂર આ પ્રકારના ઈમરજન્સી લેન્ડિંગ ફિલ્ડની તૈયારી સાબિત કરે છે કે ભારત તેની એકતા, સાર્વભૌમત્વ અને અખંડિતતાની સુરક્ષા માટે હંમેશા તૈયાર છે. ભારત કોઈપણ પડકારનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ સભાને સંબોધી હતી. તેમણે કહ્યું કે, આપણે દરરોજ 2 કિલોમીટર રસ્તાના નિર્માણ સુધી હતા. કોરોના હોવા છતાં અમે દરરોજ 38 કિમી રોડ બનાવ્યો છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. અમે મુંબઈ અને દિલ્હી વચ્ચે એક્સપ્રેસ હાઈવે બનાવી રહ્યા છીએ, જેનું 60-65 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.
આ પ્રોજેક્ટમાં ઇમરજન્સી લેન્ડિંગ સ્ટ્રીપ ઉપરાંત કુંદનપુરા, સિંઘાનિયા અને બખાસર ગામમાં એર ફોર્સ/ઇન્ડિયન આર્મીની જરૂરિયાત મુજબ ત્રણ હેલિપેડનું નિર્માણ થયુ છે, જે ભારતીય સેના માટે પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદ નેટવર્કને મજબૂત કરવા માટેનો આધાર બનશે. આ એરફિલ્ડનું કામ 19 મહિનામાં પૂર્ણ થયું છે. તે જુલાઈ 2019 માં શરૂ કરવામાં આવ્યું હતું અને જાન્યુઆરી 2021 માં પૂર્ણ થયું હતું. તે IH અને NHAI ની દેખરેખ હેઠળ GHV ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું છે.
આ પટ્ટી ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત ગાગરીયા-બખ્સર અને સત્તા-ગાંધવ વિભાગના નવા વિકસિત ટુ-લેન પેવ્ડ સોલ્ડરનો એક ભાગ છે. જેની કુલ લંબાઈ 196.97 કિમી છે અને 765.52 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયુ છે. આ એ ભાગ છે જે હાઇવેના તે ભાગની નજીક છે, જેના પરથી વાહનો નિયમિતપણે પસાર થાય છે.
એક સત્તાવાર નિવેદન મુજબ, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ભારતીય હવાઈ દળ માટે ઈમરજન્સી લેન્ડિંગ માટે NH-925A ના સટ્ટા-ગાંધવ વિભાગના ત્રણ કિલોમીટરના પટ્ટા પર આ ઈમરજન્સી સ્ટ્રીપ બનાવી છે. અગાઉ ઓક્ટોબર 2017 માં, ભારતીય વાયુસેનાના લડાયક અને પરિવહન વિમાનોએ લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર મોક લેન્ડિંગ કર્યું હતું. જેથી એ દેખાડી શકાય કે આઇએએફ વિમાનો દ્વારા ઇમરજન્સી લેન્ડિંગ માટે આવા હાઇવેનો ઉપયોગ કરી શકાય છે. લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નથી, તે ઉત્તર પ્રદેશ સરકાર હેઠળ આવે છે.
ઉલ્લેખનિય છે કે, યુદ્ધના સમયગાળામાં દુશ્મન દેશ દ્વારા એરપોર્ટ પર હુમલા કરીને લેન્ડિંગ સ્ટ્રીંપનો નાસ કરવામાં આવતો હોય છે. આ સ્થિતીમાં આ સ્ટ્રીપ સેનાને મદદ કરશે.