"અત્યારે લોકસભા ચૂંટણી થાય તો 2014 કરતા વધુ બેઠકો જીતે BJP"
અમિત શાહને છે પૂરો વિશ્વાસ, લોકસભાની ચૂંટણીમાં ભાજપ પહેલા કરતા સારું પ્રદર્શન કરશેકર્ણાટક અને ઉત્તર પૂર્વ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં સારા પ્રદર્શનનો દાવો
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દાવો કર્યો છે કે, જો આજે લોકસભાની ચૂંટણી યોજાય તો ભાજપને 2014 કરતા વધુ બેઠકો મળે. હિંદુસ્તાન ટાઇમ્સને આપેલ ઇન્ટરવ્યુમાં અમિત શાહે કર્ણાટકની વિધાનસભા ચૂંટણીથી માંડીને આગામી લોકસભા ચૂંટણી સુધી તમામ મુદ્દાઓ પર ખુલીને વાત કરતી હતી. તેમણે કહ્યું કે, કર્ણાટકમાં ચૂંટણીના મેદાનમાં ભાજપ એકલું પોતાના દમ પર ઉતરશે અને કોંગ્રેસે હારનો સામનો કરવાનો વારો આવશે. જો દેશમાં અત્યારે જ લોકસભા ચૂંટણી યોજાય તો ભાજપ 2014 કરતાં વધુ સારું પ્રદર્શન કરશે. સાથે જ તેમણે મોદી સરકારના વિકાસના કાર્યોના વખાણ કર્યા હતા.
'મોદી સરકારે આણ્યા પરિવર્તન'
અમિત શાહે કહ્યું હતું કે, જ્યારથી દેશમાં મોદી સરકાર આવી છે, ત્યારથી દેશમાં ઘણા પરિવર્તનો થયા છે. વર્ષ 2014 પહેલાં મહિલાઓ સુરક્ષિત નહોતી અને ના તો સીમા પર સુરક્ષા હતી. વૈશ્વિક સ્તરે પણ દેશ પાછો પડતો હતો, પરંતુ ભાજપની સરકાર આવ્યા બાદ ઘણા પરિવર્તનો આવ્યા છે. ગુજરાતમાં મળેલ વિજયને તેમણે મોટી સિદ્ધિ ગણાવી હતી. તેમણે આગળ કહ્યું હતું કે, જ્યારે વર્ષ 2014માં અમે સત્તા પર આવ્યા ત્યારે માત્ર 4 રાજ્યોમાં અમારી સરકાર હતી, પરંતુ આજે 19 રાજ્યોમાં ભાજપના મુખ્યમંત્રી છે. આના પરથી પાર્ટીની મજબૂત સ્થિતિનું આંકલન કરી શકાય છે.
'દરેક રાજ્યમાં BJPનો વોટ શેર વધ્યો'
અમિત શાહે ઉત્તર પૂર્વ રાજ્યોમાં ચૂંટણીના એંધાણ સાથે રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ અંગદે અમિત શાહે કહ્યું કે, ભાજપ ઉત્તર પૂર્વમાં જ નહીં, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં પણ આશા કરતાં વધુ સારું પ્રદર્શન કરશે. દરેક રાજ્યમાં ભાજપનો વોટ શેર વધ્યો છે. દલિતો અને અલ્પસંખ્યકો વિરુદ્ધ હિંસા પર તેમણે કહ્યું કે, કોંગ્રેસ એ સરકાર છે, જે ભીમરાવ આંબેડકર સાહેબનો વિરોધ કરતી હતી. તેમના મર્યા બાદ કોંગ્રેસે સંસદમાં ભીમરાવ આંબેડકરનો ફોટો પણ નહોતો લગાવડાવ્યો.
'પદ્માવત' મુદ્દે અમિત શાહે કહ્યું...
રામ મંદિરના મુદ્દે વાત કરતા અમિત શાહે કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરનો મામલો કોર્ટમાં છે અને કોર્ટનો નિર્ણય સૌએ માનવાનો રહેશે. 'પદ્માવત' અંગે દેશમાં ચાલી રહેલ વિવાદ પર તેમણે કહ્યું કે, આ મામલે સુપ્રીમ કોર્ટે પોતાનો આદેશ આપ્યો છે, જે તમામ રાજ્યોએ માનવો જોઇએ. ન્યાયપાલિકાના વિવાદ અંગે તેમણે કહ્યું કે, આનો ઉકેલ ન્યાયપાલિકાએ જાતે જ શોધવાનો રહેશે. આમ આદમી પાર્ટી અને દિલ્હીની પેટા ચૂંટણી અંગેના સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, અમારી પાર્ટી ચૂંટણી માટે હંમેશા તૈયાર રહે છે.