નવી દિલ્હી, 5 એપ્રિલ: ઉત્તર પ્રદેશના ભાજપ પ્રભારી અમિત શાહના નિવેદન પર વિવાદ વધી રહ્યો છે. અમિત શાહે શુક્રવારે લોકોને બટન દબાવીને લોકોને 'બદલો' લેવાનું કહ્યું હતું. અમિત શાહના આ નિવેદન પર કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે અમિત શાહના નિવેદનની ફરિયાદ ચૂંટણી કમિશનને કરવાની સાથે તેમની ધરપકડની માંગ પણ કરી છે.
અમિત શાહે મુજફ્ફરનગરના શામલીમાં લોકોને સંબોધિત કરતાં કહ્યું હતું કે 'સન્માન માટે યોગ્ય બટન દબાવવું પડશે. આખા ઉત્તર પ્રદેશમાં જનતાનું અપમાન થયું છે. અપમાન બદલો લેવાનો સમય આવી ગયો છે અને બદલો લેવા માટે બટન દબાવવાનો સમય આવી ગયો છે.
અમિત શાહના આ નિવેદન પર વાંધો ઉઠાવતાં કોંગ્રેસે તેની ફરિયાદ ચૂંટણી કમિશનને કરી છે. કોંગ્રેસે ચૂંટણી કમિશનને ભાજપની માન્યતા રદ કરવાની અને અમિત શાહની ધરપકડ કરવાની માંગ કરી છે. કોંગ્રેસ ઉપરાંત જેડી-યૂ અને બસપાએ અમિત શાહના આ નિવેદનની ટીકા કરી છે.
આ પહેલાં બિજનૌરમાં અમિત શાહે કહ્યું હતું કે કેન્દ્રમાં જો ભાજપની સરકાર આવે છે તો યુપીમાં સપાની સરકાર પડી જશે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પ્રો. રામગોપાલ યાદવે અમિત શાહ લોકસભા ચૂંટણી બાદ ઉત્તર પ્રદેશની સરકાર ભંગ કરવાની કથિત ધમકીની આકરા શબ્દોમાં નિંદા કરી છે.
પ્રો.રામગોપાલ યાદવ દ્વારા શુક્રવારે મોડી રાત્રે જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ફાસિસ્ટવાદી મનોવૃત્તિના લોકો ચૂંટણી બાદ ઉત્તર પ્રદેશ સરકારને ભંગ કરવાની ધમકી આપી રહ્યાં છે, આ સમાજવાદી પાર્ટીની વધતી જતી લોકપ્રિયતાથી ગભરાઇ ગયા છે. તેમણે કહ્યું કે ફાસ્ટિવાદી શક્તિઓ ક્યારેય પણ આ સ્થિતીમાં પહોંચી શકશે નહી કે ઉત્તર પ્રદેશ સરકારને ભંગ કરી શકે.