પાર્ટીનો આદેશ હશે તો ગુજરાતનો મુખ્યમંત્રી બનવા તૈયાર : નીતિન પટેલ
ગાંધીનગર, 5 મે : લોકસભા ચૂંટણી 2014ના અંતિમ બે તબક્કાનું મતદાન બાકી છે. ત્યાર બાદ 16 મે, 2014ના રોજ આગામી પાંચ વર્ષ માટે દેશનું સુકાન કોના હાથમાં હશે તેનો જવાબ સમગ્ર દેશને મળી જશે. જનાદેશ જે પણ આવે, ચૂંટણીની ભવિષ્યવાણી એ જ દર્શાવે છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હવે ભારતના પ્રધાનમંત્રી બનવાના છે. આ આગાહીને પગલે છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે ચર્ચા શરૂ થઇ ગઇ છે.
આ મુદ્દે ભાજપના નેતા અને ગુજરાત સરકારમાં કેબિનેટ મિનિસ્ટર નીતિન પટેલનું નામ સીએમ પદના દાવેદારોમાં આવે છે. તેમનું કહેવું છે કે પાર્ટીનો આદેશ હશે તો હું ગુજરાતનો મુખ્યમંત્રી બનવા માટે તૈયાર છું.
ગુજરાતના નવા મુખ્યમંત્રીની દોડમાં હાલ આનંદી પટેલ, પૂર્વ ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય એક પ્રધાન સૌરભ પટેલનું નામ ચર્ચામાં છે. જો કે કેટલાક સૂત્રો એમ પણ જણાવે છે કે નરેન્દ્ર મોદીના વિચારો અકળ છે. ગુજરાતમાં નવા મુખ્યમંત્રી તરીકે પાર્ટી ઓછો જાણીતો ચહેરો પણ મૂકી શકે છે.
જો કે નીતિન પટેલ જણાવે છે કે જો પાર્ટી મને મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપશે તો હું તેના માટે તૈયાર છું. આપ ગુજરાતમાં કોઇ પણ ધારાસભ્યને પૂછશો કે આપ મુખ્યમંત્રી બનવા માટે તૈયાર છો તો તેમની પાસેથી તમને સકારાત્મક જવાબ જ મળશે. જો આપ વિરાટ કોહલીને પૂછશો કે શું આપ ભારતીય ટીમના કેપ્ટન બનશો તો તેઓ પણ આ વાતનો ઇનકાર નહીં કરે.
નરેન્દ્ર મોદી સરકારના મંત્રીમંડળમાં નાણા મંત્રી નીતિન પટેલે ભારપૂર્વક જણાવ્યું કે પાર્ટી જે પણ નિર્ણય કરશે, તેને તેઓ અન્ય અન્યો પણ સ્વીકાર કરશે. રાજ્યમાં શિસ્તભંગ કરવામાં આવશે નહીં.
નોંધનીય છે કે નરેન્દ્ર મોદી વર્ષ 2001થી ગુજરાતના મુખ્યમંત્રી છે. તમામ ચૂંટણી સર્વેક્ષણોમાં તેમનું નામ વડાપ્રધાન પદની દોડમાં સૌથી આગળ દર્શાવવામાં આવી રહ્યું છે. જેના કારણે ગુજરાતમાં નવા મુખ્યમંત્રી કોણ હશે તેના નામની ચર્ચા શરૂ થઇ ગઇ છે.