મોદી છે IM, દાઉદ ઇબ્રાહિમના ટાર્ગેટ પર : સુરક્ષા વધારવા વિહિપની માંગ
નવી દિલ્હી, 29 એપ્રિલ : વિશ્વ હિન્દુ પરિષદે દાવો કર્યો છે કે ભાજપના વડાપ્રધાન પદના દાવેદાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડિયન મુજાહિદ્દીન અને અંડરવર્લ્ડ ડોન દાઉદના મુખ્ય ટાર્ગેટ છે. તેમની સુરક્ષા વધારવામાં આવે.
ઇન્ટેલિજન્સ બ્યુરોના રિપોર્ટને ટાંકીને વિશ્વ હિન્દુ પરિષદે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને પત્ર લખીને નરેન્દ્ર મોદીની સુરક્ષામાં વધારો કરવાની માંગણી કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વિહિપના અધ્યક્ષ અશોક સિંઘલે આ સંદર્ભમાં સોમવારે રાષ્ટ્રપતિને પત્ર લખ્યો હતો. સિંઘલે પોતાના પત્રમાં ખાસ ટાંક્યું હતું કે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા માટે એલટીટીએ જે રીતે આત્મઘાતી બોમ્બર્સને મોકલ્યા હતા, તેવીજ પદ્ધતિ ઇન્ડિયન મુજાહિદ્દીન કે દાઉદ ઇબ્રાહિમ અપનાવી શકે છે. જે અત્યંત ચિંતાની બાબત છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં નરેન્દ્ર મોદીએ દાઉદ ઇબ્રાહિમ મુદ્દે પોતાનું મૌન તોડ્યું હતું અને કહ્યું હતું કે દાઉદ ઇબ્રાહિમને ભારત લાવવાનો મુદ્દો જાહેરમાં ચર્ચવા જેવો નથી.
વર્તમાન સમયમાં નરેન્દ્ર મોદીને નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી)ની ઝેડ પ્લસ સિક્યુરિટી અને ગુજરાતના પોલીસની સુરક્ષા પુરી પાડવામાં આવી રહી છે.