IMની બોલીવુડ સ્ટાર્સ સમૂહ પર આત્મઘાતી હુમલાની યોજના હતી
નવી દિલ્હી, 25 એપ્રિલ : ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓ બોલીવુડના કલાકારો ઉપર આત્મઘાતિ હુમલો કરવાની યોજના ઘડી હતી તેવો મહત્વપૂર્ણ ખુલાસો એક તપાસમાં થયો છે.
આ ઘટસ્ફોટ ઇન્ડિયન મુજાહિદ્દીન એટલે કે આઇએમના આતંકવાદી તહસીન અખ્તર ઉર્ફે મોનુની તપાસ દરમિયાન થયો છે. નોંધનીય છે કે ગયા વર્ષે યાસીન ભટકલની ધરપકડ બાદ તહસીન અખ્તર ઉર્ફે મોનૂ કથિત રીતે ઇન્ડિયન મુજાહિદ્દીનનો કર્તાહર્તા બન્યો હતો. તેણે બોલીવુડ સ્ટાર્સ પર હુમલાની વાત સ્વીકારી છે.
યાસીન ભટકલના નેતૃત્વમાં બોલીવુડ કલાકારો પર આત્મઘાતી હુમલો કરવાની યોજના હતી, આ હુમલો તેઓ બોલીવુડ કલાકારો એક સાથે ભેગા થાય ત્યારે કરવાના હતા. IMની વિચારધારા છે કે બોલીવૂડ ન્યૂડિટી બતાવીને યુવાનોને ગેરમાર્ગે દોરે છે. આ હુમલા દ્વારા તેઓ મનોરંજન ઉદ્યોગને મોટો ફટકો આપવા માંગતા હતા.
અગાઉ પણ બોલીવુડ કલાકારોને અંડરવર્લ્ડ માફિયા અને ગેંગસ્ટર્સ દ્વારા વ્યક્તિગત ધમકી મળ્યાના અનેક કિસ્સા બહાર આવ્યા છે, ત્યારે પહેલીવાર કોઈ આતંકવાદી સંગઠને બોલીવુડ પર હુમલો કરવાની યોજના ઘડી હોવાનું બહાર આવ્યું છે.
તહેસીને તપાસ એજન્સીની પૂછપરછમાં અન્ય ઉલ્લેખ વિના કહ્યું કે, એક દિવસ યાસીન, હું, હડ્ડી (અસહદુલ્લાહ અખ્તર) અને વિકાસ (જિયા-ઉર-રહેમાન)ને આ હુમલાની શક્યતાઓ અંગે ચર્ચા કરી હતી. યાસીન ફિલ્મ સ્ટાર્સ પર હુમલાને લઈને ઘણો ઉત્સાહી હતો.
તહેસીને કહ્યું કે આ વિશે યાસીનનો તર્ક હતો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ન્યૂડિટી બતાવીને યુવાનોને ગેરમાર્ગે દોરે છે. આથી યુવાનોના મગજ ખરાબ થાય છે. આ યોજના અંતર્ગત બોલીવુડ કલાકારો એક જગ્યાએ ભેગા થાય ત્યારે હુમલો કરવાનો પ્લાન હતો. જેથી વધુમાં વધુ કલાકારોને નુકસાન પહોંચાડી શકાય.