મધરાતના GST લોન્ચ કાર્યક્રમ પહેલાં જાણી લો આ 5 વાતો
30 જૂન, 2017ના રોજ મધરાતે સંસદના વિશેષ સત્રમાં જીએસટી લાગુ કરવામાં આવશે. આ કાર્યક્રમ અંગેની પાંચ વાતો જાણો અહીં..
30 જૂન, 2017 ને શુક્રવારની મધરાતે ભારત દેશના ઇતિહાસના ચોપડે વધુ એક ઘટના નોંધાવા જઇ રહી છે. દેશની આઝાદી પછી અત્યાર સુધી ચાલી આવતી કરવેરાની પ્રણાલીમાં મોટું પરિવર્તન આવવા જઇ રહ્યું છે. શુક્રવારની મધરાતથી જીએસટી(વસ્તુ અને સેવા કર) લાગુ થનાર છે.
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આજે મધરાતે ઘંટ વગાડી જીએસટી લાગુ થયાની ઘોષણા કરશે. મધરાતે યોજાનાર સંસદના વિશેષ સત્ર અંગેની 5 ખાસ વાતો જાણો અહીં..
જીએસટી લોન્ચ કાર્યક્રમની તૈયારી
સંસદીય કાર્ય મંત્રાલયના એક અધિકારીએ વન ઇન્ડિયાને જણાવ્યું કે, જીએસટીના આ ભવ્ય લોન્ચ કાર્યક્રમ માટે સંપૂર્ણ સંસદ ભવનની સફાઇ કરાવવામાં આવી છે. સાઉન્ટ સિસ્ટમ બદલવામાં આવ્યા છે. આ કાર્યક્રમ માટે ખાસ નવા માઇક્રોફોન અને હેડસેટ લગાવવામાં આવ્યા છે. સંસદનો સેન્ટ્રલ હોલ જ્યાં જીએસટી લોન્ચ કાર્યક્રમ યોજાનાર છે, તે સંપૂર્ણ રીતે સિમ્યૂલેંટેનિયસ ઇન્ટપ્રિટેશન સિસ્ટમ સાથે જોડાયેલ છે. જેથી અલગ-અલગ દેશના અધિકારીઓ અહીં થનાર સંબોધન પોતાની ભાષામાં સાંભળી શકે છે.
સરકાર ઉજવી રહી છે તહેવાર
સરકાર જાણે મધરાતે જીએસટીનો તહેવાર ઉજવવાની તૈયારી કરી રહી છે. 100 દિગ્ગજ હસતીઓ સાથે આ કાર્યક્રમમાં લગભગ 800 લોકો હાજર રહેશે. આ માટે સંસદ ભવનની એલઇડી લાઇટ્સથી સજાવવામાં આવ્યું છે. જીએસટી લોન્ચ કાર્યક્રમ બાદ આ વિષય પર 1-2 મિનિટની ફિલ્મ પણ બતાવવામાં આવશે.
80 મિનિટનો કાર્યક્રમ, 100 દિગ્ગજ હસતીઓ
80 મિનિટના આ કાર્યક્રમમાં દેશભરની લોકપ્રિય હસતીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ઉપલબ્ધ જાણકારી અનુસાર, મોદી સરકારે આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે દેશની 100 હસતીઓને આમંત્રણ મોકલ્યું છે. ફિલ્મ જગતના લોકપ્રિય સિતારાઓ અમિતાભ બચ્ચન અને લતા મંગેશકર, ઉદ્યોગપતિ રતન ટાટા, કાયદાશાસ્ત્રી સોલી સોરાબજી, કે.કે.વેણુગોપાલ અને હરિશ સાલ્વે, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલ, પૂર્વ ગવર્નર સી.રંગરાજન, બિમલ જાલાન, વ્હાઇ.વી રેડ્ડી અને ડી.સુબ્બારાવ, જીએસટી પરિષદના સભ્યો અને સીઆઇઆઇના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે. જીએસટી લોન્ચના સમયે મંચ પર રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સિવાય ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી, લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન પણ હાજર રહેશે એમ કહેવાઇ રહ્યું છે.
જદયૂ આપશે લોન્ચમાં હાજરી
બિહારના સત્તાધારી પક્ષ જનતા દળ યુનાઇટેડ(જદયુ)એ કહ્યું છે કે, તેઓ જીએસટીના લોન્ચ કાર્યક્રમમાં હાજર રહેશે. બિહારમાં જદયુ, રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસ(રાજદ)નું મહાગઠબંધન છે, આ સરકારના પ્રતિનિધિ તરીકે મંત્રી બિજેન્દ્ર પ્રસાદ યાદવ આ લોન્ચમાં હાજર રહેશે. એક અઠવાડિયાની અંદર આ બીજીવાર જદયુએ મહાગઠબંધનથી અલગ જઇ પોતાનો નિર્ણય લીધો છે. આ પહેલાં જદયુએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન(એનડીએ)ના ઉમેદવાર રામ નાથ કોવિંદનું સમર્થન કર્યું હતું.
5મી વાર મધરાતે ખુલશે સંસદ
જીએસટી અર્થે મધરાતે સંસદ સત્ર બોલાવવામાં આવ્યું છે. આ પહેલાં માત્ર ચાર વાર મધરાતે સંસદનું વિશેષ સત્ર યોજાયું છે. પહેલી વાર 14 ઓગસ્ટ, 1947ના રોજ રાત્રે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું, જેમાં આઝાદીની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ 14 ઓગસ્ટ, 1972ના રોજ આઝાદીના 25 વર્ષ પૂર્ણ થયા ત્યારે મધરાતે સંસદનું સત્ર બોલાવવામાં આવ્યું હતું. ત્રીજીવાર 14 ઓગસ્ટ, 1997ના રોજ આઝાદીના 50 વર્ષો પૂર્ણ થયા નમિત્તે મધરાતે સંસદ સત્ર યોજાયું હતું. તે સમયે ભારતના રાષ્ટ્રપતિ હતા કે.આર.નારાયણ અને વડાપ્રધાન હતા ઇન્દ્ર કુમાર ગુજરાલ.