સેનાના ઓપરેશનમાં વિઘ્ન ઊભું કર્યું તો થશે કાર્યવાહી - બિપિન રાવત
ઇન્ડિયન આર્મી ચીફ જનરલ બિપિન રાવતે એન્કાઉન્ટર સમયે પથ્થરમારો કરનારા લોકોને આપી ચેતવણી. કહ્યું કે, જો આદત નહીં સુધારી તો આતંકવાદીઓના મદદગાર માનવામાં આવશે.
ઇન્ડિયન આર્મી ચીફ જનરલ બિપિન રાવતે કાશ્મીરના એ તમામ લોકોને ચેતવણી આપી છે, જેમણે એન્કાઉન્ટર સમય પથ્થરમારો કરી ભારતીય સેના ના કામમાં વિઘ્ન ઊભું કર્યું હતું. સેના પ્રમુખ જનરલ રાવતે બુધવારે એન્કાઉન્ટર દરમિયાન શહીદ થયેલાં જવાનો અંગે અફસોસ જાહેર કર્યો હતો. સાથે જ જનરલ રાવતે કહ્યું કે, જે પણ સેનાના ઓપરેશનમાં વિઘ્ન ઊભું કરશે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
જનરલ રાવતે બુધવારે શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ કાશ્મીરના ઉપદ્રવીઓને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, જે લોકો ઓપરેશન દરમિયાન વિઘ્ન ઊભું કરશે અને મદદગાર સાબિત નહીં થાય, તેમને આ જમીન પર આતંકવાદીઓ માટે કામ કરનાર માનવામાં આવશે અને સેના તેમની પર ગોળીબાર કરી શકશે.
સેના તરફથી ચારેય રેન્કના ઓફિસરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં મેજર રેન્કના ઓફિસરનો પણ સમાવેશ થતો હતો. આ સેનાનીઓ બાંદીપોર અને કુપવાડા જિલ્લામાં થયેલા બે અલગ એન્કાઉન્ટર દરમિયાન શહીદ થયા હતા. ચિનાર કૉર્પ્સના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ જે.એસ.સંધૂએ શહીદ મેજર સતીશ દહિયા, રાઇફલમેન રવિ કુમાર, પૈરાટ્રૂપર ધરમેન્દ્ર કુમાર અને ગનર આશુતોષ કુમારને શ્રીનગરના બાદામી બાગમાં કેન્ટમાં શ્રદ્ધાંજલિ આપી હતી.
અહીં વાંચો - શશિકલા કેદી નં.9934, જેલમાં કરશે આ કામ
આતંકવાદીઓનું નેટવર્ક
રક્ષા પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ કહ્યું કે, શહીદ મેજર દાહિયાના ઘરમાં તેમની પત્ની અને 2 વર્ષની પુત્રી છે. 31 વર્ષીય મેજર દાહિયાએ મંગળવારના રોજ હંદવાડામાં આતંકવાદીઓ વિરુદ્ધ ઇન્ડિયન આર્મીના ઓપરેશનનું નેતૃત્વ કર્યું હતું. આ ઓપરેશનમાં ત્રણ આતંકવાદીઓ ઠાર મર્યા હતા અના સાથે જ ઉત્તર કાશ્મીરમાં આતંકવાદીઓના એક મોટા નેટવર્કનો ભાંડો ફૂટ્યો હતો. બાંદીપોર એન્કાઉન્ટર બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર થઇ રહ્યો છે. આ વીડિયો અનુસાર, જ્યારે શહીદોના શબ લેવા માટે સેનાની ગાડીઓ પહોંચી ત્યારે એ ગાડીઓ પર પથ્થરમારો થયો હતો.