પીએમ મોદીએ ન્યૂક્લિયર ગ્રુપમાં ભારતને એન્ટ્રી મળ્યા પછી કહ્યું આ...
ભારતને મળી ઓસ્ટ્રેલિયા ગ્રુપની સદસ્યતા. શું છે આ ગ્રુપ અને કેવી રીતે આ ગ્રુપની સદસ્યતા મેળવવી ભારત માટે છે ખાસ વાત તે અંગે વિગતવાર જાણો અહીં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને ઓસ્ટ્રેલિયા ગ્રુપમાં એન્ટ્રી મળ્યા પછી મોટું નિવેદન આપતા કહ્યું છે કે ભારતની આ પ્રતિષ્ઠિત પરમાણુ ગ્રુપમાં સદસ્યતા પાક્કી થવાથી એક વાર ફરી તે વાતને પુરાવો મળ્યો છે કે ભારત પરમાણુ હથિયારોના પ્રસારને સાથ નથી આપતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે ગત બે વર્ષોમાં ભારત એમટીસીઆર, વાસેનાર અરેજમેન્ટ અને ઓસ્ટ્રેલિયા ગ્રુપનું સદસ્ય બન્યું છે. આ વાત ફરી એક વાર તે વાતની પૃષ્ઠી કરે છે કે ભારત વૈશ્વિક શાંતિનું સમર્થક છે અને પરમાણુ હથિયારોના પ્રસારની વિરુદ્ધ છે. અમે દુનિયામાં શાંતિને લઇને અમારા સંકલ્પને લઇને પ્રતિબદ્ધ છીએ. નોંધનીય છે કે ભારત જે ઓસ્ટ્રેલિયા ગ્રુપનું સભ્ય બન્યું છે તે પરમાણુ અપ્રસાર માટે દુનિયામાં ખૂબ જ મહત્વની સંસ્થા મનાય છે. આ સંસ્થા જૈવિક અને રસાયણિક હથિયારોના પ્રસારની વિરુદ્ધ કામ કરે છે. પીએમએ ટ્વિટ કરીને આ માટે ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયા ગ્રુપનો આભાર માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે એક પછી એક ભારતને આંતરાષ્ટ્રીય સંસ્થાનો સાથ અને સહકાર મળી રહ્યો છે. ભારત શાંતિદૂત તરીકે વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઊભું કરી રહ્યું છે. આ પહેલા ભારતને મિસાઇલ્સ ટેકનોલોજી કંટ્રોલ રિઝઆઇમ અને વાસેનાર અરેન્જમેન્ટની પણ સદસ્યતા મળેલી છે. જે ભારતની વિદેશ કૂટનીતિની સફળતાને પણ દર્શાવે છે. નોંધનીય છે કે ચીનના વિરોધ છતાં ભારતને આ ગ્રુપની સદસ્યતા મળી છે. વળી આ પછી ભારતની એનએસજીની દાવેદારી પણ વધુ મજબૂત થશે. નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયા ગ્રુપે આ અંગે અધિકૃત જાહેરાત કરતા કહ્યું હતું કે 19 જાન્યુઆરી 2018થી ભારત અધિકૃત રીતે ઓસ્ટ્રેલિયા ગ્રુપનું 43મું સદસ્ય બની ગયું છે. જે પછી ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પણ આ વાતની પૃષ્ઠિ કરતા કહ્યું છે કે ભારત અન્ય તમામ સાથી દેશો સાથે મળીને જૈવિક અને રસાયણિક હથિયારોનો વિસ્તારની વિરુદ્ધ કામ કરશે જેનાથી તમામ દેશોને લાભ થશે.