ભારતમાં બાળ મૃત્યુદર સૌથી ઊંચો : યુએન રિપોર્ટ
ભારત સરકારે બાળકો અને મહિલાઓના સારા સ્વાસ્થ્ય માટે અનેક યોજનાઓ બનાવી છે. છતાં બાળ મૃત્યુદર ઘટાડવામાં ખાસ સફળતા મળી નથી. નવા રિપોર્ટ અનુસાર બાળ મૃત્યુદરમાં ભારત વિશ્વભરમાં પ્રથમ ક્રમે છે.
યુનિસેફે જાહેર કરેલા 'બાળ મૃત્યુદર રિપોર્ટ 2012' અનુસાર વિશ્વમાં 50 ટકા બાળ મૃત્યુ ભારત, પાકિસ્તાન, કોંગો, નાઇજિરિયા અને ચીનમાં થાય છે. વર્ષ 2011ના આંકડા અનુસાર ભારતમાં 16.55 લાખ, નાઇજિરિયામાં 7.56 લાખ, કોંગોમાં 4.65 લાખ, પાકિસ્તાનમાં 3.52 લાખ અને ચીનમાં 2.49 લાખ બાળકો એકથી પાંચ વર્ષની વયમાં મૃત્યુ પામ્યા હતા.
વિશ્વમાં સિંગાપોરમા બાળ મૃત્યુદર સૌથી નીચો છે. વિશ્વભરમાં બાળ મૃત્યુ માટે જવાબદાર મુખ્ય કારણોમાં નિમોનિયા, મેલેરિયા, ઝાડા, સારી સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ નહીં હોવી અને કુપોષણ છે. યુએનના અગાઉ જાહેર થયેલા એક રિપોર્ટ અનુસાર કુપોષણથી થતા બાળ મૃત્યુમાં પણ ભારત આગળ છે.