નવી દિલ્હી, 8 એપ્રિલ : લોકસભા ચૂંટણી 2014ના પરિણામ આવ્યા બાદ વિપક્ષ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ સાથી પક્ષોના બનેલા એનડીએ સંગઠનની સરકાર સત્તા પર આવે એવી ધારણા રાખવામાં આવી રહી છે. આ સંજોગોને જોતા ભાજપે વચન આપ્યું છે કે જો પોતે સત્તા પર આવશે તો દેશની અણુ નીતિમાં ફેરફાર કરશે. વર્તમાન નીતિમાં ભારતનો કેન્દ્રીય સિદ્ધાંત એવો છે કે દુશ્મન દેશ સાથે ઘર્ષણ થાય તો પોતે પહેલો અણુ હુમલો નહીં કરે.
સોમવારે 7 એપ્રિલે નરેન્દ્ર મોદીની સાથે ભાજપના અગ્રણી નેતાઓના હાજરીમાં દિલ્હીમાં પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડીને ભાજપે અણુનીતિ વિશે કોઈ વિગતો આપી નથી. પણ આ ઘોષણાપત્ર તૈયાર કરનાર સૂત્રોનું કહેવું છે કે ભારતે 1998માં શ્રેણીબદ્ધ ભૂગર્ભ અણુધડાકાઓ કરતી વખતે અણુબોમ્બનો પહેલો હુમલો ન કરવાની જે નીતિ અપનાવી હતી તે વિશે ફેરવિચારણા કરવામાં આવશે.
1998માં ભારતે અણુધડાકાઓ કર્યાના અમુક સપ્તાહમાં જ પાકિસ્તાને પણ ભૂગર્ભ અણુધડાકાઓ કર્યા હતા, પણ તેણે ‘પહેલો અણુ હુમલો નહીં' નીતિ અપનાવી નથી.
નોંધનીય છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા સમયે કહ્યં કે અમે માત્ર ઔપચારિકતા પૂર્ણ કરવા માટે આ જાહેર નથી કર્યું. આ ઢંઢેરો અમારું સંકલ્પપત્ર છે. પૂર્વ સરકારે જે વચનો કર્યા છે તે પૂર્ણ કર્યાન થી. જો યુપીએ સરકાર પોતાના વચનો આંશિક રીતે પૂર્ણ કર્યા હોત તો આજે ભારત મહાશક્તિ બની ગયું હોત. તેથી યુપીએ વિશ્વસનિયતા ગુમાવી દીધી છે.
તેમણે જણાવ્યું હતું કે અમે એ જ બિંદુઓ રજૂ કર્યા છે, જેને અમે પૂર્ણ કરી શકીએ છીએ. તેનો અર્થ એ નથી કે અમે માત્ર એ જ કરીશું જે ઢંઢેરામાં લખ્યું છે. આ ઉપરાંત પણ અમારી સામે ઘણા પડકારો છે. ભારતનું સમગ્ર અને સમેકિક વિકાસ થવો જોઇએ. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, તેથી એ અહીં સૌથી વધુ રોજગારની સંભાવના કૃષિ ક્ષેત્રમાં છે. અલગ-અલગ પ્રોફેશન્સમાં ભાજપ શું કરવા ઇચ્છે છે, તેનો ઉલ્લેખ તેના ઢંઢેરામાં કરવામાં આવ્યો છે.
રાજનાથે કહ્યું કે તેનું અક્ષરસઃ પાલન કરવામાં આવશે. ભાજપ માટે માહોલ અંગા જાણવાની જરૂર નથી. દેશ ઇચ્છે છે કે પરિવર્તન થવું જોઇએ. જે વ્યક્તિને અમે અમારા વડાપ્રધાન તરીકે દેશની સામે રજૂ કર્યા છે, તેમને તમામ રાજકીય પાર્ટીઓ અછૂત માનવા લાગી હતી. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સર્વાધિક રાજકીય આક્રમણ જો કોઇના પર થયા છે તો તે નરેન્દ્ર મોદી છે. તેમના નેતૃત્વમા અમે ઢંઢેરામાં આપવામાં આવેલા તમામ વાયદાઓ પૂર્ણ કરીશું.