પાક કટ્ટરપંથીઓના નાણાકિય નેટવર્કને ટાર્ગેટ કરશે ભારત-યુએસ
ભારતના આર્થિક મામલાના સચિવ અરવિંદ માયારામે અમેરિકામાં કહ્યું છે કે, બન્ને દેશોએ કટ્ટરપંથીઓના નાણાકિય નેટવર્ક અને તેમને પૈસા પહોંચાડનારા વિરુદ્ધ સાથે મળીને કામ કરવાનો નિર્ણય કર્યો છે. રવિવારે અરવિંદ માયારામે એક નિવદેનમાં કહ્યું કે, લશ્કર એ તૈયબા અને તેની સાથે જોડાયેલા જમાત ઉદ દાવા જેવા આતંકવાદી સંગઠનોને નિશાન બનાવવામાં આવશે. અનેક ભારતીય એજન્સીઓ લશ્કર એ તૈયબાને વર્ષ 2008માં મુંબઇમાં થયેલા હુમલા માટે જવાબદાર માને છે. આ હુમલામાં 160 લોકોના મોત નીપજ્યાં હતા.
નિવેદનમાં એ જાણકારી આપવામાં આવી નતી કે, બન્ને દેશો કેવા પ્રકારના પગલાં ઉઠાવશે. અરવિંદ માયારામે પાકિસ્તાનમાં સક્રિય વધુ એક કટ્ટરપંથી સમુહ હુક્કાની નેટવર્ક વિરુદ્ધ કાર્યવાહીનો પણ ઉલ્લેખ કર્યો છે. હુક્કાની નેટવર્ક પર અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસ અને નાટો સેનાઓ પર હુમલો કરવાનો આરોપ છે. ગત વર્ષે અમેરિકાએ હુક્કાની નેટવર્કને આતંકી સંગઠન ગણાવ્યું હતું. આ ઉપરાંત ગત વર્ષે અમેરિકાએ પ્રતિબંધિત સંગઠન લશ્કર એ તૈયબા અને જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિઝ સઇદ પર એક કરોડ ડોલરનું ઇનામ ઘોષિત કર્યું હતું.
પાકિસ્તાન અને ભારતના સંબંધ વર્ષ 2008માં મુંબઇ હુમલા બાદ ઘણા તણાવપૂર્ણ થઇ ગયા હતા. છેલ્લા બે વર્ષ દરમિયાન સંબંધો સુધરી રહ્યાં હોવાનું જોવા મળી રહ્યું હતું, પરતં આ વર્ષના પ્રારંભમાં કાશ્મિરમાં નિયંત્રણ રેખા પરના સંઘર્ષના કારણે બન્ને દેશોના સંબંધો ફરી તણાવપૂર્ણ થઇ ગયા છે. આ વર્ષે નિયંત્રણ રેખા પર ફાયરિંગની ઘટનાઓમાં અનેક નાગરિક અને સેન્ય અધિકારી માર્યા ગયા છે. શનિવારે પાકિસ્તાનના થલ સેનાધ્યક્ષ જનરલ પરવેઝ કિયાનીએ ભારતીય સેનાના આરોપોને અપમાનજનક ગણાવ્યા હતા. ભારતીય સેનાએ કહ્યું હતું કે પાકિસ્તાની સેના અને જાસૂસી એજન્સી આઇએસઆઇ ભારત પ્રશાસિત કાશ્મિરમાં કટ્ટરપંથીઓને બઢાવો આપી રહી છે.