“આતંકી ગતિવિધિઓમાં સીઝફાયર ફોલો કરવુ મુશ્કેલ”: સેના પ્રમુખ જનરલ રાવત
સેના પ્રમુખ જનરલ બિપિન રાવત શુક્રવારે જમ્મુ કાશ્મીરમાં ત્યાંની સ્થિતિની તપાસ કરવા પહોંચ્યા હતા. જનરલ રાવતે આતંકીઓને આકરો સંદેશ આપ્યો.
સેના પ્રમુખ જનરલ બિપિન રાવત શુક્રવારે જમ્મુ કાશ્મીરમાં ત્યાંની સ્થિતિની તપાસ કરવા પહોંચ્યા હતા. જનરલ રાવતે આતંકીઓને આકરો સંદેશ આપ્યો અને સાથે જ ઘાટીમાં ચાલી રહેલ યુદ્ધવિરામની સ્થિતિ પર પર આકરુ વલણ પણ અપનાવ્યુ. જનરલ રાવતે અહીં કહ્યુ કે આતંકી ગતિવિધિઓ ચાલુ રહેવાની સ્થિતિમાં સીઝફાયર જેવા નિર્દેશનું પાલન ન કરી શકાય. તમને જણાવી દઈએ કે ગયા સપ્તાહે કેન્દ્ર સરકારે સેના અને સુરક્ષાબળોને ઘાટીમાં રમજાન માસ દરમિયાન દરેક પ્રકારના ઓપરેશન સસ્પેન્ડ કરવાના નિર્દેશ આપ્યા હતા.
શાંતિથી ખુશ છે ઘાટીના લોકો
આર્મી ચીફ જનરલ રાવતે શ્રીનગરમાં મીડિયા સાથે વાત કરતા કહ્યુ, "અમે બધા ઓપરેશન એટલા માટે સસ્પેન્ડ કર્યા હતા જેથી લોકો શાંતિના માહોલમાં રહે. મને લાગે છે કે લોકો એનાથી ખુશ છે. પરંતુ જો આ રીતે જ સ્થિતિ ચાલુ રહી તો પછી સેના નોન-ઈનીશિએશન ઓફ કોમ્બેટ ઓપરેશન્સ વિશે પણ વિચારી શકે છે." તેમણે આગળ કહ્યુ કે જો આતંકવાદી ગતિવિધિઓ ચાલુ રહી તો પછી સેના સીઝફાયર ફોલો નહિ કરી શકે. થોડા દિવસો પહેલા નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરની મહેબૂબા મુફ્તી સરકારની તે વિનંતી માની લીધી હતી જેમાં રમજાન માસમાં સુરક્ષાબળોને ઓપરેશન રોકવાની વાત કહેવામાં આવી હતી.
કેન્દ્ર સરકારે માની મહેબૂબાની વિનંતી
ગૃહરાજ્યમંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે સરકારે રાજ્યની મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની વાત માનીને રમજાન માસમાં યુદ્ધવિરામની વિનંતી માની લીધી છે. ગૃહ મંત્રાલય તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યુ હતુ કે કેન્દ્ર સરકારે સુરક્ષાબળોને આદેશ આપ્યો છે કે રમજાનના પવિત્ર માસમાં કોઈ ઓપરેશન્સ લોન્ચ ના કરે. નિવેદનમાં આગળ એમ પણ કહેવામાં આવ્યુ કે સેના અને સુરક્ષાબળો પાસે એ અધિકાર છે કે હુમલા સમયે લોકોના જીવ બચાવવા માટે આતંકવાદીઓને તેમના અંદાજમાં જ જવાબ આપી શકે છે.
વર્ષ 2000 માં થયુ હતુ સીઝફાયર
છેલ્લી વાર કેન્દ્ર સરકારે સુરક્ષાબળોને રમજાન માસમાં સીઝફાયરનો આદેશ વર્ષ 2000 માં આપ્યો હતો અને તે સમયે અટલ બિહારી વાજપેયીની સરકાર કેન્દ્રમાં હતી. ઘાટીમાં તે સમયે જ્યારે સુરક્ષાબળોએ સીઝફાયર કર્યુ તો તે પહેલા આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન તરફથી સીઝફાયરનું એલાન કરવામાં આવ્યુ હતુ. મહેબૂબાએ અમરનાથ યાત્રા માટે પણ સીઝફાયરની માંગ કરી છે. જો કે એ રસપ્રદ છે કે ભાજપે મહેબૂબાના આ નિવેદનથી તે સમયે પોતાને અલગ કરી દીધુ હતુ.