ભારતીય સંસદ પર હુમલાની આજે 11મી તિથિ, અફઝલને ફાંસી અપાશે?
આ પ્રસંગને યાદ કરીને હૂમલામાં માર્યા ગયેલો શહીદોના પરિવારજનોની આંખમાં આજે પણ આંસૂ આવી જાય છે. તેઓ સરકારને પૂછી રહ્યા છે કે છેવટે અફઝલ ગુરૂને ફાંસી ક્યારે આપશો? આજ પ્રશ્ન દેશના નાગરિકો અને રાજકીય પક્ષોના મોઢે પણ ચર્ચાઇ રહ્યો છે.
આ મુદ્દે ગઇકાલે સંસદમાં વિરોધ પક્ષે પોતાની રજૂઆતમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. પક્ષોએ જણાવ્યું હતું કે અફઝલ ગુરુને 13 ડિસેમ્બરે જ ફાંસીએ ચઢાવી દેવો જોઇએ. છેલ્લા 11 વર્ષથી તિહાર જેલમાં બંધ અફઝલ ગુરૂને રાખવા પાછળ અત્યાર સુધીમાં લાખો રૂપિયા ખર્ચ થઇ ગયા છે. જેના કારણે લોકોએ અવારનવાર પ્રશ્નો ઉઠાવ્યા છે કે સરકાર શા માટે તેને જેલમાં રાખી રહી છે.
ઉલ્લેખનીય છે કે જે દિવસે મુંબઇ આચંકવાદી હૂમલો 2008ના મુખ્ય આરોપી અને આતંકવાદી અજમલ કસાબને ફાંસી આપવામાં આવી હતી, તે જ દિવસે લોકોએ સરકાર માટે ટિ્વટ કર્યું હતું કે હવે અફઝલ ગુરૂનો વારો છે.
સંસદ પર હૂમલો કરવાનું કાવતરું રચીને તેને અંજામ આપવાના આરોપમાં સુપ્રીમ કોર્ટે 4 ઑગસ્ટ, 2005ના રોજ અફઝલ ગુરૂને ફાંસીની સજા ફરમાવી હતી. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે 20 ઑક્ટોબર, 2006ના રોજ ફાંસી આપી દેવામાં આવે. આ પહેલા 3 ઑક્ટોબર 2006ના રોજ અફઝલ ગુરૂની પત્ની તબસ્સુમે રાષ્ટ્રપતિ પાસે દયા અરજી મોકલી હતી. આ બાબતને પાંચ વર્ષ કરતા વધારે સમય પસાર થઇ ગયો હોવા છતાં કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. રાષ્ટ્રપતિએ દયા અરજી મુદ્દે ગૃહ મંત્રાલયની સલાહ માંગી છે.