લદ્દાખમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ
ભારત અને ચીનના સૈનિકો થયા સામ-સામે, લગભગ અડધો કલાક ચાલ્યો પથ્થર મારો.
ડોકલામ વિવાદ બાદથી ભારત અને ચીનના સંબંધોમાં ખારાશ આવી છે. આ વિવાદ શમવાનું નામ નથી લેતો એવામાં પૂર્વ લદ્દાખના પશ્ચિમ સેક્ટરમાં લાઇન ઓફ એક્ચ્યુએલ કંટ્રોલ(LAC) પર ચીની અને ભારતીય સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતુ. આ દરમિયાન પથ્થરમારો પણ થયો. સૂત્રો અનુસાર, ચીનના સૈનિકો દ્વારા ભારતીય સીમામાં ઘુસણખોરીનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જો કે, સીમા પર ફરજ બજાવતા સૈનિકોએ તેમના આ પ્રયત્નને નિષ્ફળ બનાવ્યો હતો અને ચીની સૈનિકોને પાછા ફરવાની ફરજ પાડી હતી.
ચીનના સૈનિકોએ કર્યો પથ્થરમારો
ઉપલબ્ધ જાણકારી અનુસાર, ઘુસણખોરીના પ્રયત્નમાં નિષ્ફળ રહેલ ચીનના સૈનિકો દ્વારા પથ્થરમારો શરૂ કરવામાં આવ્યો હતો, ભારતીય જવાનોએ પણ સામે આનો જવાબ આપ્યો હતો. આ ઘટનામાં બે સૈનિકો ઇજાગ્રસ્ત થયા હોવાના પણ સમાચાર છે. બંન્ને સેના વચ્ચેનું આ ઘર્ષણ લગભગ અડધો કલાક ચાલ્યુ હતુ.
15 ઓગસ્ટની સવારે થયો ઘુસણખોરીનો પ્રયાસ
અધિકારીઓ પાસેથી મળેલ જાણકારી અનુસાર, મંગળવાર(15 ઓગસ્ટ)ની સવારે 6થી 9ની વચ્ચે ચીની સેના પીપુલ લિબરેશન આર્મીના સૈનિકો ફિંગર 4 અને ફિંગર 5માં ભારતની સીમામાં ઘુસવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા, આ બંન્ને સ્થળઓ હાજર ભારતીય જવાનોએ તેમના પ્રયત્નોને નિષ્ફળ બનાવ્યા હતા. ચીની સૈનિકો ફિંગર 4ના વિસ્તારમાં ઘુસવામાં સફળ થયા, પરંતુ ભારતીય સૈનિકોએ તેમને ભગાડી મુક્યા હતા.
ટિપ્પણી કરવાની મનાઇ
ચીની સૈનિકોને ભાગવાની ફરજ પાડવામાં આવતા તેમણે પથ્થરમારો શરૂ કરી દીધો હતો, સામે ભારતીય સેના તરફથી પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં બંન્ને જૂથ તરફના 2-2 સૈનિકો ઇજાગ્રસ્ત થયા છે. નોંધનીય છે કે, આ વિસ્તાર પર ભારત અને ચીન પોતાનો દાવો કરે છે. સમાચાર એજન્સિ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા(PTI) અનુસાર આ આખી ઘટના અંગે ભારતીય સેનાના પ્રવક્તાએ કોઇ પણ ટિપ્પણી કરવાની ના પાડી દીધી હતી.
આ છે એ તળાવ
નોંધનીય છે કે, વર્ષ 1990ની છેલ્લી વાતચીત દરમિયાન જ્યારે ભારતે આ વિસ્તાર પર પોતાનો દાવો મુક્યો હતો, ત્યારે ચીની સેનાએ અહીં રસ્તો બનાવી તેને અક્સાઈ ચીનનો વિસ્તાર કહ્યો હતો. ચીની સેના આ તળાવની ઉત્તર અને દક્ષિણ ક્ષેત્રમાં આવેલ છે. હાલ ભારતીય સેના આ વિસ્તારની રખેવાળી કરે છે. આ તળાવનો 45 કિમી જેટલો વિસ્તાર ભારતમાં છે, જ્યારે 90 કિલોમીટર વિસ્તાર ચીનમાં છે.
ડોકલામ વિવાદ
નોંધનીય છે કે, ડોકલામમાં પણ ચીન રસ્તાનું નિર્માણ કરી રહ્યું હતું, ભારતીય સૈનિકો દ્વારા ચીનની આ કામગીરી રોકવામાં આવી હતી. આ મામલે 16 જૂનના રોજથી બંન્ને દેશોમાં વિવાદ ચાલી રહ્યો છે. ભારત આ મામલે વાત-ચીત કરી ઉકેલ લાવવાની વાત કરી રહ્યું છે, ત્યારે બીજી બાજુ ચીન મીડિયા તરફથી સતત યુદ્ધની ધમકી આપવામાં આવી રહી છે.