ભારતમાં આતંકવાદીઓની ઘૂસણખોરીના પ્રયાસો વધી શકે : IB
નવી દિલ્હી, 18 ઓક્ટોબર : જમ્મુ કાશ્મીરમાં લાઇન ઓફ કન્ટ્રોલ અને ઇન્ટરનેશનલ બોર્ડર પર છેલ્લા પાંચ દિવસમાં પાકિસ્તાન દ્વારા 9 વખત સીઝ ફાયરનો ભંગ કરવામાં આવ્યો છે. આ અંગે ગુપ્તચર તંત્રએ માહિતી આપવાની સાથે ચેતવણી આપતા જણાવ્યું છે કે આવા હુમલાઓનું પ્રમાણ વધી શકે એમ છે. કારણ કે આમ કરીને પાકિસ્તાન ભારતીય લશ્કરનું ધ્યાન સીઝ ફાયરના ઉલ્લંઘન તરફ ખેંચીને બીજી તરફથી આતંકવાદીઓને ભારતમાં ઘૂસણખોરી કરવામાં મદદ કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં વિદેશી આતંકવાદીઓની ધરપકડ તથા તેઓએ કરેલા સ્ફોટક નિવેદનો તથા જાસૂસી સંસ્થાએ રાજ્ય સરકારને આપેલી માહિતીને ધ્યાનમાં લેતાં હાલ રાજ્યમાં અમુક તાલિબાની ત્રાસવાદીઓ છુપાયેલા છે કે નહીં એવો ચર્ચાનો વિષય બની ગયો છે.
ધરપકડ કરાયેલા વિદેશી ભાડૂતી સૈનિકોની વાત પર વિશ્વાસ મૂકીએ તો પાછલા બે મહિનાથી તાલિબાનો સુરક્ષાદળ સામે ઝઝૂમી રહ્યા છે. જોકે સેનાએ વાતનો સ્વીકાર નથી કર્યો પરંતુ એટલો ચોક્કસ સંકેત આપ્યો છે કે તાલિબાનો સામે થતી ઝપાઝપીમાં નવીન પદ્ધતિ દેખી રહ્યા છીએ. જાસૂસી સંસ્થાએ રાજ્ય સરકારને ચેતવણી આપતાં જણાવ્યું કે તાલિબાનીઓની ઘૂસણખોરીને ધ્યાનમાં રાખતાં રાજ્ય સરકાર પોતાના સુરક્ષાચક્ર વધુ મજબૂત બનાવે.
પાકિસ્તાન ચૂંટણીઓની સફળતાથી સળવળી ઉઠ્યું છે અને તે પોતાના પરોક્ષ યુદ્ધનો બીજો ભાગ કાશ્મીરમાં લડી લેવાની પેરવી કરી રહ્યું છે. આજથી ૨૦ વર્ષ પૂર્વે જેમ વિદેશી ભાડૂતી સૈનિકો કાશ્મીરમાં ઉપસ્થિતિનો વિષય બની ગયો હતો. બાદમાં સરકારે સ્વીકાર્યું હતું કે પાકિસ્તાને પોતાના સંઘર્ષની સફળતા મેળવવા વિદેશી ભાડાનાં સૈનિકો ભારતમાં ધકેલ્યા છે.