હનીપ્રીતને ભાગવામાં પંજાબના IPSએ કરી હતી મદદ?
હનીપ્રીત ઇંસા પોલીસના હાથે ઝડપાયા બાદ હવે એવી વાતો બાહર આવી રહી છે કે, પંજાબનો એક આઇપીએસ અધિકારી હનીપ્રીતને ભાગવામાં મદદ કરતો હતો.
ગુરમીત રામ રહીમની દત્તક પુત્રી હનીપ્રીત ઇંસા 38 દિવસો સુધી ફરાર રહ્યા બાદ મંગળવારે ઝડપાઇ ગઇ હતી. આટલા દિવસો દરમિયાન હનીપ્રીત ક્યાં-ક્યાં ગઇ, કોને-કોને મળી તથા કોણે એની મદદ કરી વગેરે જેવા સવાલો અંગે તપાસ થઇ રહી છે. આ દરમિયાન એવી વાતો સામે આવી છે કે, હનીપ્રીત ફરાર હતી ત્યારે પણ પંજાબ પોલીસ અધિકારીઓના સંપર્કમાં હતી તથા કેટલાક અધિકારીઓને હનીપ્રીત અંગે પૂરી જાણકારી હતી. નોંધનીય છે કે, હનીપ્રીત પકડાઇ એ પહેલાં તેનો એક ઇન્ટરવ્યુ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો, જેને કારણે રાજ્ય સરકાર તથા પોલીસ પર અનેક પ્રશ્નો કરવામાં આવ્યા હતા.
પંજાબ પોલીસની ભૂમિકા
કહેવાઇ રહ્યું છે કે, પંજાબના એક આઇપીએસ અધિકારી હનીપ્રીતને બચવાના રસ્તા સૂચવી રહ્યા હતા અને પંજાબ પોલીસ તરફથી આ અંગે કોઇ લીડ હરિયાણા પોલીસને આપવામાં નહોતી આવી. આ મુદ્દે હવે બંને રાજ્યોની પોલીસ સામ-સામે થઇ છે. હરિયાણાના ડીજીપીએ પોતે આ વાત તરફ ઇશારો કર્યો હતો.
IPS, નેતા અને ધારાસભ્યની મદદ
જે વાતો સામે આવી રહી છે, એ અનુસાર, હનીપ્રીતને બચવામાં પંજાબના એક યુવા આઇપીએસ અધિકારીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેની સલાહ લઇને જ હનીપ્રીત થોડા દિવસ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં રહી હતી. આ સાથે જ રાજસ્થાન પોલીસની ભૂમિકા અંગે પણ સવાલો થઇ રહ્યાં છે. હરિયાણાના ડીજીપી બી.એસ.સંધુએ આ અંગે ખુલાસો કર્યો છે કે, રાજસ્થાન પોલીસે હનીપ્રીતની મદદ કરી હતી. કેહવાઇ રહ્યું છે કે, હનીપ્રીત 2 દિવસ પંજાબમાં રહી હતી. તેની લિંકમાં જીરકપુર અને ડેરાબસ્સીના ઘણા નેતા ધારાસભ્યો હતા, જેમણે હનીપ્રીતને મદદ કરી હતી.
પોલીસની થિયરીમાં પણ ગુંચવાડો
પોલીસ રેકોર્ડ અનુસાર, હનીપ્રીતની ધરપકડ જીરકપુર-પટિયાલા રોડ પાસેથી હરિયાણા પોલીસ દ્વારા કરવામાં આવી હતી. પંચકુલાના પોલીસ કમિશ્નર એ.એસ.ચાવલાએ ધરપકડમાં પંજાબ પોલીસની ભૂમિકા અંગે સવાલ કરતાં ઘણી ટાળમટોળ કરી હતી. તેમણે આ અંગે કહ્યું હતું કે, ટૂંક સમયમાં જ સાચી વાત સામે આવશે. હનીપ્રીત ફરાર થયા બાદ જ્યાં-જ્યાં રહી, ત્યાં જે લોકોએ તેની મદદ કરી એ સૌ વિરુદ્ધ કડક પગલાં લેવાશે. પંચકુલા કમિશ્નર અનુસાર, ઇનોવા ગાડીમાંથી હનીપ્રીત સાથે ધરપકડ કરવામાં આવેલ મહિલા મૂળ બઠિંડાની છે, પરંતુ બઠિંડાના એસએસપી એ આ વાત નકારી છે.
દેશદ્રોહના આરોપીની પંજાબ પોલીસે ધરપકડ કેમ ન કરી?
પત્રકાર પરિષદમાં પંચકુલા કમિશ્નરે જણાવ્યું કે, હનીપ્રીતના મામલે પંજાબ પોલીસની ભૂમિકા અંગે તપાસ કાર્યવાહી કરવામાં આવશે. હનીપ્રીત પર દેશદ્રોહનો આરોપ હતો અને તે દેશમાં વોન્ટેડ હતી, આમ છતાં પંજાબ પોલીસ દ્વારા તેની ધરપકડ શા માટે કરવામાં ન આવી એ અંગે પણ સવાલો થઇ રહ્યાં છે.