મસ્જિદ ઈસ્લામનો અભિન્ન ભાગ છે? આજે આવશે સુપ્રીમ ફેસલો
1994માં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું મસ્જિદ ઈસ્લામનો અભિન્ન ભાગ નથી, આજે આ મામલે ફાઈનલ ચુકાદો આવશે.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં આજે બાબરી મસ્જિદ સંબંધી એક કેસ પર સુનાવણી થશે, જણાવી દઈએ કે આ કેસ ટાઈટલ સૂટનો નથી, મસ્જિદ ઈસ્લામનો અભિન્ન ભાગ છે કે નહિ તે અંગે સુપ્રીમ કોર્ટે આપેલા 1994ના ચુકાદા સંબંધિત સુનાવણી થવાની છે. ઉલ્લેખનીય છે કે 1994માં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મસ્જિદ ઈસ્લામનો અભિન્ન ભાગ નથી, ત્યારે આ ચુકાદાને પડકારતી એક અરજી કરવામાં આવી હતી, જેની આજે સુનાવણી થવા જઈ રહી છે. જ્યાં સુધી આ કેસની સુનાવણી ન થાય ત્યાં સુધી અયોધ્યા વિવાદ કેસ પણ ન ઉકેલી શકાય. ત્યારે આજે આવનાર ચુકાદો દેશ માટે અતિ મહત્વનો છે.
શું હતો કેસ?
1994માં પાંચ જજની પીઠે ચુકાદો આપ્યો હતો કે મસ્જિદ ઈસ્લામનો અભિન્ન અંગ નથી અને નમાઝ પઢવા માટે મસ્જિદની જરૂર નથી, લોકો ખુલ્લામાં પણ નમાઝ પઢી શકે. પરંતુ અયોધ્યા કેસની સુનાવણી દરમિયાન પ્રશ્ન નિર્ણાયક બની ગયો. જ્યારે બીજી બાજુ અલ્હાબાદ હાઈકોર્ટના 2010ના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં અયોધ્યાની જમીનના ત્રણ ભાગ પાડ્યા હતા અને તેમાંથી રામ લલ્લા, નિર્મોહી અખાડા અને સુન્ની વક્ફ બોર્ડને એક-એક ભાગની વહેંચણી કરી હતી.
ટાઈટલ સૂટ પહેલા આ કેસ ઉકેલવો જરૂરી
હાલ આ કેસની સુનાણી દીપક મિશ્રાની આગેવાની વાળી ત્રણ જજની બેંચ દ્વારા થઈ રહી છે. ત્યારે સુન્ની વક્ફ બોર્ડ વતી વકીલે સુપ્રીમ કોર્ટની ખંડપીઠનું પુનઃરચના કરવાની માગણી કરી છે. તેમણે દલીલ કરી કે આ મામલાની સુનાવણી ત્રણ જજની પીઠ દ્વારા ન થઈ શકે. કહ્યું કે આ મામલાને સુપ્રીમ કોર્ટના પાંચ જજની ખંડપીઠ દ્વારા જ ઉકેલવો જોઈએ. જ્યારે હિંદુ તરફથી લડી રહેલા વકીલે ડૉ. ફારુકીના ચુકાદાનો હવાલો આપતા કહ્યું કે આ મામલો પહેલેથી જ ઉકેલાઈ ગયો છે, મસ્જિદ મુસ્લિમનો અભિન્ન ભાગ નથી, વધુમાં કહ્યું કે ટાઈટલ વિવાદ પર ચુકાદો ધાર્મિક આઝાદીનું ઉલ્લંખન નથી કરી રહ્યો.
મસ્જિદને ઈસ્લામથી અલગ ન કરી શકાય
ત્યારે મુસ્લિમો તરફથી લડી રહેલા વકીલે સુપ્રીમ કોર્ટે 1994ના ઈસ્માઈલ ફારુકીના ચુકાદા પર એમ કહીને ફરી વિચાર કરવા માટે વિનંતી કરી કે મસ્જિદને ઈસ્લામથી અલગ ન કરી શકાય. ડૉ. ફારુકીના ચુકાદા પર પુનઃવિચાર કરી શકાય કે નહિ તે અંગે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાનીમાં સુપ્રીમ કોર્ટની ખંડપીઠે બંને પક્ષોની દલીલો સાંભળી લીધી છે.
તો 7 જજની ખંડપીઠનું ગઠન કરાશે
જો દીપક મિશ્રાની આગેવાની વાળી 3 જજની બેંચ ફારુકીના ચુકાદા પર ફરી વિચાર કરવા માટે સહમત થઈ જાય તો 7 જજની સંવૈધાનિક પીઠનું ગઠન કરવામાં આવશે. આ ખંડપીઠ પહેલા એ નક્કી કરશે કે મસ્જિદ એ ઈસ્લામનો અભિન્ન ભાગ છે કે નહિ? સાત જજની ખંડપીઠ આ મામલે ચુકાદો આપી દે પછી જ અયોધ્યા ટાઈટલ સૂટ કેસમાં અલ્હાબાદ કોર્ટના ચુકાદાને પડકારતી અરજી પર સુનાવણી થઈ શકશે. એનો મતલબ કે દેશનો સૌથી વિવાદિત કેસ રામ મંદિર-બાબરી મસ્જિદ મુદ્દો લોકસભા 2019 સુધી ઉકેલાયા વિના જ રહેશે અને ચૂંટણીમાં રાજકીય નેતાઓ આ મુદ્દાનો ભરપૂર ઉપયોગ પણ કરી શકે છે.
ઈસ્લામ અને નમાઝ માટે મસ્જિદ જરૂરી છે? સુપ્રીમ કોર્ટમાં આવશે ફેસલો