શું આ મોફાટ રાજનેતાઓ ભારતને બનાવી શકશે મહાસત્તા?
એક તરફ આપણા દરેક રાજનેતાઓ જ્યારે સામાન્ય જનમેદનીને સંબોધિત કરતા હોય છે ત્યારે એવા બણગા ફુંકતા હોય છે કે, આજે ભારત વિકાસના પથ પર ઘણો આગળ વધી ગયો છે અને જે રીતે ભારત દેશ વિકાસ કરી રહ્યો છે તેને જોતા એ સમય દૂર નથી કે અમેરિકા કે અન્ય દેશ પાસે વિશ્વની સત્તા નહીં હોય પરંતુ ભારતના હાથમાં વિશ્વની આ મહાસત્તા હશે, પરંતુ છેલ્લા એકાદ બે વર્ષથી જે હદે આપણા આ જ રાજનેતાઓની જીભ લપસી છે, તેઓ દેશના મુખ્ય મુદ્દાઓને ભૂલી ગયા છે.
આજે દેશને સતાવી રહ્યો હોય તેવો મુદ્દો કોઇ હોય તો તે છે મોંધવારી, ભ્રષ્ટાચાર અને આતંકવાદ. એક તરફ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને મોંધવારી આમ આદમીને નીચોવી રહી છે, દેશને વામણી પૂરવાર કરી રહી છે, પરંતુ દેશના રાજનેતાઓને આ સમસ્યા દેખાતી નથી. બીજી તરફ ભ્રષ્ટાચારથી ખરડાઇ ગયેલું ભારતનું રાજકારણ. નેતાઓ કરોડોના કૌભાંડ કરીને દેશને વધું ગરીબ બનાવી રહ્યાં છે, છતાં નેતાઓ એક બીજા અંગે નિમ્ન કક્ષાના સંબોધનો કરવામાંથી ઉંચા આવી રહ્યાં નથી અને ભ્રષ્ટ નેતાઓને પાલવી રહ્યાં છે. આજે સૌથી ખતરનાક કોઇ વાત હોય તો તે આતંકવાદ છે.
દેશને આતંકવાદ એ હદે ખાઇ રહ્યું છે કે આવનારા સમયમાં જો તેને રોકવામાં નહીં આવે તો જે દેશના નાગરીકો મહાસત્તા બનવાના સપનાં જોઇ રહ્યાં છે, તેઓ આતંકવાદના ઓછાયામાંથી બહાર નહીં આવી શકે. ત્યારે આ સમયે એક થઇને દેશને આતંકવાદના ખતરામાંથી ઉગારવાની જરૂર છે, ત્યારે નેતા એક બીજાને વાનર, ઉંદર કે પછી દાઉદ સાથે સરખાવી રહ્યાં છે. એક સામાન્ય નાગરીક તરીકે વિચારીએ તો શું આ નેતાઓ કે જે એકબીજાનું ખણખોદ કરવામાંથી ઉંચા નથી આવતા તે ભારતને આવનારા વર્ષોમાં મહાસત્તા બનાવી શકશે?
નેતાઓના વિવાદાસ્પદ નિવેદનો
અહીં કેટલાક ચર્ચામા રહેલા વિવાદાસ્પદ નિવેદનો રજૂ કરવામાં આવ્યાં છે......
નિતિન ગડકરીઃ ભોપાલમાં એક કાર્યક્રમ દરમિયાન નિતિન ગડકરીએ કહ્યું કે સ્વામી વિવેકાનંદ અને દાઉદ ઇબ્રાહિમનો આઇક્યુ સમાન હતો. તેમના આ નિવેદનથી મોટો વિવાદ ઉભો થયો હતો.
શ્રીપ્રકાશ જયસ્વાલઃ શ્રી પ્રકાશ જયસ્વાલે એક કાર્યક્રમ દરમિયાન એવું કહ્યું હતું કે, નવા લગ્ન અને વિજયની મજા જ કંઇક અલગ છે, જૂની પત્નીઓમાં એ મજા રહેતી નથી. તેનો પણ ઘણો વિવાદ થયો હતો.
જયરામ રમેશઃ જયરામ રમેશે કહ્યું હતું કે મંદિરથી પવિત્ર જગ્યા શૌચાલય છે. મંદિર સૌથી ગંદી જગ્યા છે, જ્યાં નાક બંધ કરીને જવું પડે છે, આજે દેશમાં શૌચાલયો કરતા મંદિરોની સંખ્યા વધારે છે.
નરેન્દ્ર મોદીઃ નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશમાં એક ચૂંટણી સભા દરમિયાન શશી થરૂરની પત્ની અંગે ટિપ્પણી કરી હતી, તેમણે લોકોને પ્રશ્ન પૂછ્યો હતો કે શું તમે ક્યારેય 50 કરોડની ગર્લફ્રેન્ડ જોઇ છે.
અર્જૂન મોઢવાડિયાઃ જૂનાગઢમાં એક ચૂંટણી સભાને સંબોધતા તેમણે નરેન્દ્ર મોદીની સરખામણી વાનર સાથે કરી હતી અને મનમોહન સિંહને સિંહ ગણાવ્યા હતા, આ નિવેદનને પણ સારો એવો વિવાદ જગાવ્યો છે.
મણીશંકર અયૈરઃ કોંગ્રેસી નેતાએ ગુજરાતમાં એક ચૂંટણી રેલી દરમિયાન નરેન્દ્ર મોદીને લોહી પુરુષ, દાઉદ ઇબ્રાહિમ તરીકે ગણાવ્યા છે. તેમજ મોદીને રાવણ ગણાવી તેમને સત્તા પરથી હટાવા લોકોને આહવાન કર્યું હતું.
હુસૈન દલવાઇઃ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ હુસૈન દલવાઇએ એક ચૂંટણી રેલીમાં નરેન્દ્ર મોદીને ઉંદર ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, સરદાર પટેલની સામે મોદી ઉંદર છે. સરદારે દેશને એક કર્યો જ્યારે મોદી ધર્મના આધારે દેશના ભાગલા પાડી રહ્યાં છે.
મુલાયમ સિંહ યાદવઃ મુલાયમ સિંહે લાંબા સમયથી અટકેલા મહિલા આરક્ષણ બિલ પર પોતાના સંભવતઃ વિરોધને સ્પષ્ટ કરવા માટે આ ટિપ્પણી કરી છે. તેમણે બારાબંકીમાં એક રેલી દરમિયાન કહ્યું છે, મોટા ઘરની મહિલાઓ અને છોકરીઓ જ માત્ર ઉપર જઇ શકે છે, યાદ રાખો, તેમને તક નહીં મળે, આપણા ગામની મહિલાઓ એટલી આકર્ષક નથી.
રામ જેઠમલાણીઃ જાણીતા વકિલ અને વરિષ્ઠ સાંસદ રામ જેઠમલાણીએ કહ્યું હતું કે ભગવાન રામ ખરાબ પતિ હતા. રામ જેઠમલાણીએ આ વાત સ્ત્રી-પુરૂષના સંબંધો પર લખેલા પુસ્તકના વિમોચન સમયે કહી હતી.