ભારત-પાક સંબંધોમાં ભળી મા-દીકરી-દાદીની સુવાસ!
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 13 વર્ષનો વિવાદો વચ્ચે સફળ અને વિકાસશીલ ભૂમિકા અદા કર્યા બાદ નરેન્દ્ર મોદી દેશના 15માં વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સામે અનેક પડકારો છે. દેશની જનતાએ મોદી પર અપાર વિશ્વાસ મુકીને તેમને બહુમતિ સાથે સત્તા પર મોકલ્યા જેથી, જે પ્રકારની આશા અને આકાંક્ષા જનતા મોદી પાસેથી રાખે છે, તેને પૂર્ણ કરવામાં તેમને જરા પણ ખલેલ ના પહોંચે. આંતરીક સમસ્યાઓની સાથોસાથ મોદી સામે સરહદ પારની સમસ્યાઓ પણ ઘણી જ છે, જેમાં ચીન અને પાકિસ્તાન અગ્રેસર છે.
નરેન્દ્ર મોદી ચીન અને પાકિસ્તાન વિરુદ્ધની પોતાની રણનીતિને અનેકવાર પોતાની જનસભાઓ થકી વ્યક્ત કરી ચૂક્યા છે, આ સાથે જ તેમણે પાડોસી દેશો સાથે લાગણીસભર અને સૌહાર્દપૂર્ણ સંબંધો રાખવાની પણ વાત કરી હતી. તેઓ એમ પણ અવાર નવાર બોલતા રહ્યાં છેકે ભારતની સાથે તેના પાડોસી દેશોનો પણ વિકાસ થવો જોઇએ. આ વાતમાં તેમણે ખાસ પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જો પાકિસ્તાને વિકાસ કરવો હશે તો આતંકવાદથી છૂટાકરો મેળવવો પડશે.
જે પ્રકારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આતંકવાદનો ખાતમો બોલાવવાની વાત કરે છે, તો તેવી જ રીતે પાકિસ્તાનના વડાપ્રધાન પણ ક્યાંકને ક્યાંક પોતાના દેશને સ્થાયી વિકાસ આપવા માટે આતંકવાદથી છૂટકારો મેળવવા માગે છે. મોદી પોતાની રણનીતિઓ માટે જાણીતા છે અને મોદીએ પાડોસી દેશો સાથે જે પ્રકારે લાગણીસભર સંબંધો બાંધવાની વાતો કરી છે, એ દિશામાં તેઓ આગળ પણ વધી રહ્યાં છે, તેનું તાજું ઉદાહરણ તેમના શપથવિધિ સમારોહમાં પાકિસ્તાન સહિત સાર્કના તમામ દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને આમંત્રણ હતું. મોદીએ સાર્ક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે મુલાકાતો કરી, જે ક્યાંકને ક્યાંક મોદીની ભારતને સાર્ક દેશોમાં પ્રભુત્વ અપાવવાની વાતો છે, પરંતુ આ બધાની વચ્ચે જો કોઇ ખાસ અને અત્યંત મહત્વની વાત હોય તો એ પાકિસ્તાન પ્રત્યે મોદીનું વલણ છે.
મોદીના નેતૃત્વ હેઠળ ભાજપ બહુમતિથી જીત્યું ત્યારથી લઇને મોદીએ વડાપ્રધાન પદનો કાર્યભાર સંભાળ્યો ત્યાં સુધીના અંતરાલમાં મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથે લાગણીભર્યા સંબંધો પ્રસ્થાપિત કરી દીધા હોય તેમ લાગી રહ્યું છે, મોદી દ્વારા આપવામા આવેલા આમંત્રણનો શરીફ દ્વારા સ્વીકાર, મોદીની માતા સાથેની તસવીર સાથે પોતાની માતાની ભાવુકતાને જોડતું શરીફનું નિવેદન અને અંતમાં મોદી દ્વારા મોકલવામાં આવેલી સાલ અંગે નવાઝ શરીફની દિકરી દ્વારા જે પ્રકારની ટ્વીટ કરવામાં આવી છે, તેને જોતા લાગી રહ્યું છેકે છેલ્લા કેટલાક વર્ષોથી ભારત-પાકિસ્તાન લડાઇ માર્ગે આગળ વધી રહ્યાં હતા તે હવે લાગણીના તાતણે બંધાઇને વિકાસની દિશામાં ડગ માંડવાનું વિચારી રહ્યાં છે.
લાગણી બની શકે છે લડાઇનો વિકલ્પ
જો બન્ને દેશો વચ્ચે લાગણીસભર સંબંધો પ્રસ્થાપિત થાય તો ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિપૂર્ણ માહોલ ઉભો થઇ શકે છે. જ્યારથી પાકિસ્તાન ભારતથી વિખૂટુ થઇ અલગ રાષ્ટ્ર બન્યુ ત્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશા યુદ્ધભરી સ્થિતિ સર્જાતી રહી છે. બહુ દુરની વાત ના કરીએ અને છેલ્લા અમુક વર્ષો પર નજર ફેરવીએ તો પણ આપણને કા તો આતંકવાદ થકી અથવા તો બોર્ડર પર સિમા ઉલ્લંઘન થકી પાકિસ્તાન, ભારત સામે લડાઇનો માર્ગ અપનાવતું આવ્યું છે, પરંતુ છેલ્લા બે દિવસના ઘટનાક્રમ દર્શાવે છેકે હવે પાકિસ્તાન પણ લડાઇનો વિકલ્પ શોધી રહ્યું છે અને શાંતિપૂર્ણ માહોલ બનાવી રાખવા માગે છે, જો પાકિસ્તાન ખરા અર્થમાં એ દિશામાં જવા માગે છે તો મોદી અને નવાઝે જે લાગણીઓની આપલે કરી છે, તે એક વિકલ્પના રૂપમાં ઉભી થઇ શકે છે.
નવાઝ શરીફ પણ મૈત્રીપૂર્ણ સંબંધોની તરફેણમાં
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી નવાઝ શરીફ મૈત્રીપૂર્ણ સંબંધોની તરફેણ કરી રહ્યાં છે. નવાઝ શરીફને અંદાજો આવી ગયો છેકે જો ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો પ્રસ્થાપિત કરવામાં આવશે તો તેનો સીધો ફાયદો ક્યાંકને ક્યાંક પાકિસ્તાનને થવાનો છે, પાકિસ્તાનની હાલની સ્થિતિ કફોળી છે, તેની અર્થવ્યસ્થા ના બરાબર છે, જીડીપી નીચે જતો રહ્યો છે, તેવામાં જો ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો બનાવીને નવાઝ શરીફ પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને ફરીથી બેઠી કરી શકે છે અને જીડીપીને પાછું પાટા પર લાવી શકે છે.
તો આતંકવાદીઓ પડી શકે છે નબળા
જો ભારત અને પાકિસ્તાન વચ્ચે લાગણીભર્યા સંબંધો કેળવાય તો તેનાથી આતંકવાદ નબળું પડી શકે છે. આતંકવાદથી જેટલું ભારત ત્રાહિત છે, તેના કરતા ક્યાંય ગણું ત્રાસવાદ પાકિસ્તાન સહી રહ્યું છે, પાકિસ્તાનમાં સરકાર હોવા છતાં પણ ક્યાંકને ક્યાંક પાકિસ્તાને ઉછરેલો આતંકવાદનો સાપ તેને જ ડંશ મારી રહ્યો છે, જો ભારત અને પાકિસ્તાન એક થઇને આતંકવાદ સામે લડવા માટે મજબૂત પગલાં ભરવાની શરૂઆત કરે તો ચોક્કસપણે પાકિસ્તાન પણ મહદ અંશે આતંકવાદથી છૂટકારો મેળવી શકવામાં અથવા તો પોતાના રાષ્ટ્રમાં તેને નબળું પાડવામાં સફળ નીવડી શકે છે.
કાશ્મીર મુદ્દે નીકળી શકે છે યોગ્ય માર્ગ
ભારત અને પાકિસ્તાન માટે જો કોઇ સળગતો મુદ્દો હોય તો એ છે કાશ્મીર. નરેન્દ્ર મોદી, નવાઝ શરીફ સાથે લાગણીભર્યા સંબંધો પ્રસ્થાપિત કરીને તથા પાકિસ્તાનને વિકાસના પથ પર પરત ફરવા મદદરૂપ થઇને કાશ્મીર મુદ્દે કોઇ યોગ્ય માર્ગ શોધવામાં સફળ થઇ શકે છે.
|
નવાઝ શરીફની દિકરીનું ટ્વીટ
નવાઝ શરીફના દિકરી મરયમ નવાઝ શરીફે ટ્વીટ કરીને નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. મરયમે ટ્વીટ કર્યુ છેકે મારા દાદીને શાલ આપવા બદલ નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરુ છું. મારા પિતા પોતાના હસ્તે જ એ શાલ મારા દાદીને આપશે.
|
નરેન્દ્ર મોદીનું ટ્વીટ
નરેન્દ્ર મોદીએ પોતાની એક ટ્વીટમાં કહ્યું હતું કે નવાઝ શરીફ જ્યારે પોતાની માતા સાથે ભોજન લઇ રહ્યાં હતા ત્યારે તેમણે ટીવીમાં મારા અને મારી માતાના વિઝ્યુઅલ જોયા હતા. આ જોઇને નવાઝ શરીફ અને તેમની માતા ભાવૂક થઇ ગયા હતા.