For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જય ભીમ: પોલીસ કસ્ટડીમાં મૃત્યુ કેટલાં અને આ અંગે શું કહે છે કાયદો?

ઘરેણાં ચોરી કરવાના આરોપસર કસ્ટડીમાં લેવાયેલા શકમંદને પોલીસ કસ્ટડીમાં માર મારવામાં આવતા મોત નીપજે છે. પોલીસ આ મોતને સંતાડવા પાછળ લાગી જાય છે અને પછી ન્યાય મેળવવા માટે એક લાંબી લડત શરૂ થાય છે.થોડા દિવસ પહેલા ઓટીટી પ્લૅટફ

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

ઘરેણાં ચોરી કરવાના આરોપસર કસ્ટડીમાં લેવાયેલા શકમંદને પોલીસ કસ્ટડીમાં માર મારવામાં આવતા મોત નીપજે છે. પોલીસ આ મોતને સંતાડવા પાછળ લાગી જાય છે અને પછી ન્યાય મેળવવા માટે એક લાંબી લડત શરૂ થાય છે.

થોડા દિવસ પહેલા ઓટીટી પ્લૅટફૉર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ આ કહાણી પર આધારિત છે અને તેના રિલીઝ થયા બાદ આ ફિલ્મને ખૂબ સરસ પ્રશંષા મળી છે.

ફિલ્મ એક સત્ય ઘટના આધારિત છે. ગત વર્ષે અમેરિકામાં જ્યૉર્જ ફ્લૉઇડના મોત બાદ સામાન્ય લોકો પણ 'પોલીસ બર્બરતા' અંગે જાણવા અને સમજવા લાગ્યા છે.

પોલીસના વધારે પડતા બળપ્રયોગને કારણે અશ્વેત અમેરિકન જ્યૉર્જ ફ્લૉઇડનું મોત નિપજ્યું હતું. પોલીસની કસ્ટડીમાં શકમંદો પર અત્યાચારના ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે. પરંતુ જે રીતે આ ફિલ્મમાં પોલીસ કસ્ટડી દરમિયાન શકમંદના મોતને દર્શાવવામાં આવ્યું છે, શું તે પ્રકારે જ હકીકતમાં ઘટનાઓ ઘટતી હશે?

જો તેમ હોય તો ગત કેટલાંક વર્ષોમાં આ પ્રકારે કુલ કેટલાં મોત નીપજ્યાં છે? કસ્ટડીમાં મોત થવાનો અર્થ શું છે અને આવા કિસ્સાઓમાં કાયદો શું કહે છે? આ પ્રકારનાં મોત પર પોલીસતંત્રનું કેવું વલણ હોય છે?

આ તમામ સવાલોના જવાબ છે આ અહેવાલમાં...


'કસ્ટોડિયલ ડેથ' નો અર્થ શો થાય?

સરળ શબ્દોમાં કહીએ તો પોલીસ કસ્ટડી દરમિયાન જો કોઈ શકમંદનું મોત થાય તો તેને 'કસ્ટોડિયલ ડેથ' કહેવામાં આવે છે.

અહીં 'પોલીસ કસ્ટડી'નો અર્થ માત્ર ધરપકડ કરાયેલા દોષિતો પૂરતો નથી. શકમંદ રિમાન્ડ પર હોઈ શકે, તેની અટકાયત કરવામાં આવી હોય અથવા તો માત્ર પૂછપરછ માટે પણ બોલાવાયો હોઈ શકે છે. ટૂંકમાં પોલીસની કસ્ટડી દરમિયાન કોઈ પણ દોષિત કે શકમંદના થતા મોતને 'કસ્ટોડિયલ ડેથ' કહેવામાં આવે છે.

આ પ્રકારનાં મૃત્યુના કિસ્સામાં પોલીસ કસ્ટડી દરમિયાન આત્મહત્યા, બીમારીના કારણે થતાં મોત, કસ્ટડીમાં લેતી વખતે ઇજાગ્રસ્ત થયા બાદ સારવાર દરમિયાન મોત કે પછી ગુનો કબૂલ કરાવવા પૂછપરછ દરમિયાન માર મારતાં થતાં મોતનો પણ સમાવેશ થાય છે.

પોલીસ કસ્ટડીમાં ટૉર્ચર અને મોતના કેસનો ઉલ્લેખ ભારતના ચીફ જસ્ટીસ એન. વી. રમન્નાએ પણ કર્યો છે.

ઑગષ્ટ, 2021માં તેમણે એક સંબોધનમાં કહ્યું હતું કે, "સંવિધાનનું રક્ષાકવચ હોવા છતાં પણ પોલીસ કસ્ટડીમાં શોષણ, ટૉર્ચર તેમજ મોત થાય છે. જેના પગલે પોલીસ સ્ટેશનોમાં માનવાધિકાર ઉલ્લંઘનની આશંકા વધી જાય છે."

તેમણે એમ પણ કહ્યું હતું, "પોલીસ જ્યારે કોઈને કસ્ટડીમાં લે ત્યારે તે વ્યક્તિને તાત્કાલિક કાયદાકીય મદદ નથી મળતી. ધરપકડ બાદ પહેલા કલાકમાં જ દોષિતોને લાગવા લાગે છે કે આગળ શું થશે?"

સુપ્રીમ કોર્ટે વર્ષ 1996માં ડીકે બસુ વિરુદ્ધ બંગાળ અને અશોક જોહરી વિરૂદ્ધ ઉત્તર પ્રદેશ મામલે ચુકાદો આપતા કહ્યું હતું, 'કસ્ટોડિયલ ડૅથ અથવા પોલીસ બર્બરતા 'કાયદાશાસિત સરકારોમાં સૌથી ખરાબ અપરાધ છે.'

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કસ્ટોડિયલ ડેથની વિગતો નોંધવાની સાથે, સંબંધિત લોકોને જાણ કરવી ફરજિયાત કરવામાં આવી હતી.

સર્વોચ્ચ અદાલતે મોતના આ મામલાઓમાં નિયમોનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો હતો.

પોલીસની બર્બરતાને લઈને એક એનજીઓએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને પત્ર પણ લખ્યો હતો અને પોલીસની બર્બરતા અને કસ્ટોડિયલ ડેથના મુદ્દાને ગંભીરતાથી લઈને સુપ્રીમ કોર્ટે સુઓમોટો પણ દાખલ કરી હતી.

તે સમયે સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને નોટિસ મોકલીને પૂછ્યું હતું કે આ પ્રકારના મામલાઓ અંગે રાજ્ય સરકારો શું કરી રહી છે ?

આ સુઓમોટોના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કોઈ પણ વ્યક્તિની ધરપકડ દરમિયાન પોલીસના વ્યવહારને લઈને નિયમો નિર્ધારિત કર્યા હતા.

આ નિયમો માત્ર પોલીસ પર જ નહીં, પરંતુ રેલવે, સીઆરપીએફ, મહેસૂલ વિભાગ સહિતની તમામ સુરક્ષા એજન્સીઓ પર લાગૂ પડે છે, જે પૂછપરછ માટે શકમંદોની અટકાયત કરી શકે છે.


શું છે નિયમો?

સુપ્રીમ કોર્ટે કહ્યું, 'વૉરન્ટ વગર કોઈ પણ વ્યક્તિની ધરપકડ અને ચોરીના કિસ્સાઓમાં પૂછપરછ દરમિયાન ટૉર્ચરના ઘણા મામલાઓ ધ્યાને આવ્યા છે. મોટા ભાગે આ ટૉર્ચરના કારણે જ શકમંદોનું મોત નીપજતું હોય છે. જો કોઈ વ્યક્તિનું પોલીસ કસ્ટડીમાં મોત થાય છે, તો મોટા ભાગે તેને સંતાડવામાં આવે છે અથવા તો કસ્ટડીમાંથી છૂટ્યા બાદ મોત થયા હોવાનું દર્શાવવામાં આવે છે.'

'જો પીડિત પરિવાર ફરિયાદ દાખલ કરાવવાનો પ્રયત્ન કરે તો પોલીસ ખુદને બચાવવા માટે ફરિયાદ દાખલ નથી કરતી. આવા મોટા ભાગના કેસમાં એફઆઈઆર પણ દાખલ થતી નથી.'

'જો મામલો કોર્ટ સુધી પહોંચી પણ જાય તો પોલીસના વિરૂદ્ધમાં કોઈ પુરાવા નથી હોતા, કારણ કે ગુનો પોલીસ કસ્ટડીમાં થયો હતો. એવામાં સાક્ષીઓ પોલીસકર્મી અથવા તો અન્ય દોષિતો જ હોય છે.'

'આવા કિસ્સામાં પોલીસ એકબીજાના વિરૂદ્ધમાં નિવેદન નથી આપતી અને અન્ય દોષિતો ડરના કારણે પોતાનું મોં નથી ખોલતા. આ કારણથી જ આ પ્રકારના ગુનાઓમાં પોલીસ બચી જાય છે.'

આ કારણથી જ સુપ્રીમ કોર્ટે આવી ઘટનાઓને રોકવા માટે આવા નિર્દેશો આપ્યા છે -

1. જે પોલીસકર્મીઓ આરોપીને પકડવા ગયા છે. તેમના યુનિફોર્મ પર તેમનો બૅજ, નામનો ટૅગ સ્પષ્ટ રીતે દેખાતો હોવો જોઈએ. રજિસ્ટરમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવો જોઈએ કે કયા અધિકારી અથવા પોલીસકર્મી આરોપીની પૂછપરછ કરશે.

2. આરોપીની ધરપકડ બાદ મૅમો તૈયાર હોવો જોઈએ. તેના પર આરોપી દ્વારા તેમજ આરોપીના પરિવારના કોઈ પણ સભ્ય અથવા પ્રતિષ્ઠિત વ્યક્તિ દ્વારા સહી કરવી આવશ્યક છે. મૅમોમાં ધરપકડની તારીખ અને સમયનો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ.

3. આરોપીની ધરપકડ કર્યા પછી, આરોપીને તેના પરિવારના સભ્ય, મિત્ર અથવા અન્ય કોઈ હિતેચ્છુને શક્ય તેટલી વહેલી તકે તેના વિશે જાણ કરવાનો અધિકાર છે.

4. આરોપી અન્ય કોઈ શહેરમાં પકડાયો હોય તો 8થી 10 કલાકમાં ધરપકડ અંગે પરિવારને જાણ કરવી ફરજિયાત છે.

5. ધરપકડ સમયે આરોપીને તેના અધિકારો વિશે જાણ કરવી જોઈએ.

6. ધરપકડ કરાયેલા આરોપીના સંબંધીઓ અથવા મિત્રોનાં નામ, જેમને ધરપકડની માહિતી આપવામાં આવી છે અને આરોપી જેની કસ્ટડીમાં છે તે અધિકારીનું નામ પોલીસ સ્ટેશનની ડાયરીમાં નોંધાવા જોઈએ.

7. ધરપકડના સમયે આરોપીના શરીર પરની તમામ ઈજાઓ તપાસવામાં આવે અને આરોપીની વિનંતી પર રૅકૉર્ડ કરવામાં આવે. આવાં નિરીક્ષણના રૅકૉર્ડ પર આરોપી અને ધરપકડ કરનારા અધિકારી બંનેની સહી હોવી જોઈએ અને તેની નકલ આરોપીને ઉપલબ્ધ હોવી જોઈએ.

8. કસ્ટડી પછી દર 48 કલાકે આરોપીની મેડિકલ તપાસ થવી જોઈએ. આ તપાસનો અહેવાલ તેમજ અન્ય તમામ માહિતી મૅજિસ્ટ્રેટના રૅકૉર્ડ માટે મોકલવા જોઈએ.

9. પૂછપરછ દરમિયાન આરોપીને સમયાંતરે તેના વકીલને મળવાની છૂટ આપવી જોઈએ.

આ નિયમોનું પાલન ન કરનારા પોલીસ-અધિકારીઓ અને પોલીસકર્મીઓને સજા કરવાની જોગવાઈ છે, તેમજ કોર્ટની અવમાનના માટે પણ સજા થઈ શકે છે.

સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે, 'જો કોઈ વ્યક્તિનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થાય તો વ્યક્તિના પરિવારને વળતર આપવામાં આવી શકે છે.'

ફોજદારીસંહિતા આ પ્રકારના કેસની કાર્યવાહી સંબંધિત નિયમો અને સૂચનાઓ પ્રદાન કરે છે. 2005માં તેમાં સુધારો કરવામાં આવ્યો છે અને નવા નિયમો ઉમેરવામાં આવ્યા છે.

જો કોઈ પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામે તો તરત જ ઍફઆઈઆર દાખલ થવી જોઈએ.

આ ઉપરાંત, સીઆરપીસીની કલમ 176 હેઠળ એક મૅજિસ્ટ્રેટને કસ્ટોડિયલ ડેથની પોલીસતપાસથી અલગ સ્વતંત્ર તપાસ કરવાની ફરજ પાડવામાં આવે છે.

તપાસ કરી રહેલા મૅજિસ્ટ્રેટે મૃત્યુના 24 કલાકમાં મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલવાનો રહે છે.

રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ મુજબ, મૃતકના પોસ્ટમૉર્ટમનો વીડિયો પણ ઉતારવામાં આવે છે.


પોલીસ કસ્ટડીમાં કેટલા લોકોનાં મોત?

https://www.youtube.com/watch?v=bVFjw5UYkgY

નેશનલ ક્રાઇમ રૅકોર્ડ બ્યૂરો (એનસીઆરબી) ભારતમાં વિભિન્ન પ્રકારના અપરાધો સંબંધિત આંકડા જાહેર કરે છે.

તેના રિપોર્ટ પ્રમાણે, પોલીસ કસ્ટડીમાં તમામ મોત પોલીસના માર કે ટૉર્ચરના કારણે નથી થતાં. કેટલાંક મોત બીમારી કે અન્ય કારણોથી પણ થાય છે.

બીબીસીએ વીતેલાં 10 વર્ષના એનસીઆરબીના આંકડાઓનું અધ્યયન કર્યું છે. તેના આંકડાઓ કંઈક આ પ્રકારે છે -

- 2011માં પોલીસ કસ્ટડીમાં કુલ 123 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જેમાંથીી 29 લોકોના રિમાન્ડ દરમિયાન મોત થયાં હતાં. જ્યારે, 19નાં મોત કોર્ટપરિસરમાં અથવા તો ત્યાં લઈ જતી વખતે થયાં હતાં.

- રિમાન્ડ વગર મોતને ભેટનારાઓની સંખ્યા 75 હતી, જેમાં સૌથી વધારે 32 મોત મહારાષ્ટ્રમાં નોંધાયાં હતાં.

- આ મામલાઓમાં 9 લોકો વિરૂદ્ધ ચાર્જશિટ દાખલ કરવામાં આવી હતી, પરંતુ એકને પણ દોષિત જાહેર કરવામાં આવ્યો ન હતો.

- 2012માં કુલ 133 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જે પૈકી રિમાન્ડ દરમિયાન 21, રિમાન્ડ વગરનાં 97 અને 15 લોકોનાં કોર્ટના પરિસરમાં અથવા તો ત્યાં લઈ જતી વખતે મોત નીપજ્યાં હતાં.

- આ વર્ષે એક પોલીસકર્મી વિરુદ્ધ ચાર્જશિટ દાખલ કરવામાં આવી હતી અને તેને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો.

- 2013માં રિમાન્ડ વગર પોલીસ કસ્ટડીમાં મૃત્યુનાં સૌથી વધારે 34 કિસ્સા મહારાષ્ટ્રમાં નોંધાયા હતા. આ વર્ષે ન તો કોઈ ચાર્જશિટ દાખલ કરવામાં આવી હતી કે ન તો કોઈ દોષિત સાબિત થયું હતું.

- 2014માં પોલીસ કસ્ટડીમાં 93 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ વર્ષે 11 પોલીસકર્મીઓ વિરુદ્ધ ચાર્જશિટ દાખલ કરવામાં આવી હતી, પરંતુ એક પણ દોષિત જાહેર કરાયા ન હતા.

- 2015માં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામનારાઓનો આંકડો 97 હતો. જેમાં 24 પોલીસકર્મીઓ પર આરોપ લગાવવામાં આવ્યો હતો, પરંતુ કોઈને દોષિત ઠેરવવામાં આવ્યા ન હતા.

- વર્ષ 2016ના આંકડા વેબસાઇટ પર ઉપલબ્ધ નથી.

- 2017માં કસ્ટડીમાં 100 મૃત્યુ નોંધાયાં હતાં. જેમાં 22 પોલીસકર્મીઓ વિરુદ્ધ ચાર્જશિટ દાખલ કરવામાં આવી હતી, પરંતુ કોઈને પણ દોષિત ઠેરવવામાં આવ્યા ન હતા.


માનવાધિકાર ઉલ્લંઘનના કિસ્સાઓ

https://www.youtube.com/watch?v=_uXj26elTD8

2017ના અલગ-અલગ આંકડા આપવામાં આવ્યા છે. તેમાં પોલીસ કસ્ટડીમાં આરોપીના માનવાધિકારનું ઉલ્લંઘન પણ સામેલ છે. આમાં એન્કાઉન્ટર, મારપીટ, ત્રાસ, ઇજા પહોંચાડવી અને ખંડણીની માગ વગેરેનો સમાવેશ થાય છે.

- 2017માં માનવાધિકાર ઉલ્લંઘનના 57 કિસ્સાઓ સામે આવ્યા હતા. જેમાં 48 લોકો વિરૂદ્ધ ચાર્જશિટ દાખલ કરવામાં આવી હતી અને 3 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

- 2018માં 70 લોકો માર્યા ગયા હતા. જેમાં 13ને આરોપી બનાવવામાં આવ્યા હતા, પરંતુ કોઈને સજા મળી નહોતી.

- માનવાધિકાર ઉલ્લંઘનના કુલ 89 કિસ્સાઓ નોંધવામાં આવ્યા હતા. જેમાં 26 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા અને માત્ર એકને દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

- આ શ્રેણીમાં 2019માં 49 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા અને 8 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. જેમાંથી માત્ર એકને જ સજા મળી હતી.

-2019માં કસ્ટડીમાં 75 મોત નીપજ્યાં હતાં. જેમાં 16 પોલીસકર્મીઓ વિરૂદ્ધ ચાર્જશિટ દાખલ કરવામાં આવી હતી અને એક પોલીસકર્મીને દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

- વર્ષ 2020માં પોલીસ કસ્ટડીમાં કુલ 76 મોત નીપજ્યા હતા. 7 પોલીસ કર્મી વિરુદ્ધ ચાર્જશિટ દાખલ કરવામાં આવી હતી, પરંતુ કોઇને પણ સજા મળી નહોતી.

પાછલા કેટલાક મહિનાઓમાં લૉકડાઉન દરમિયાન પોલીસ વિરૂદ્ધ માનવાધિકાર ઉલ્લંઘનના 20 કેસ નોંધાયા હતા. જેમાં ચારને આરોપી બનાવવામાં આવ્યા હતા અને એકને પણ દોષિત જાહેર કરવામાં આવ્યા નહોતા.

ડીકે બસુ કેસમાં પણ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, કસ્ટોડિયલ ડૅથના કેસમાં પોલીસને દંડિત કરવા મુશ્કેલ રહેશે. જે આ આંકડાઓ પરથી પણ સ્પષ્ટ થાય છે.


કસ્ટોડિયલ ડેથનાં કારણો

https://www.youtube.com/watch?v=wCqEOGCS17w

પોલીસ કસ્ટડીમાં હોય કે ધરપકડ પછી, પોલીસસ્ટેશનમાં, પૂછપરછ દરમિયાન, વધુ તપાસ માટે કોર્ટ દ્વારા આપવામાં આવેલા પોલીસ રિમાન્ડમાં કે જેલમાં, દરેક પ્રકારનાં મૃત્યુનું કારણ સત્તાવાર દસ્તાવેજોમાં નોંધાયેલું છે.

એનસીઆરબીના પ્રમાણે, મોત હૉસ્પિટલમાં દાખલ થયા બાદ સારવાર દરમિયાન, જેલમાં મારપીટ, અન્ય અપરાધીઓ દ્વારા હત્યા, આત્મહત્યા, બીમારી અથવા તો કુદરતી રીતે થાય છે.

2020માં દર અઠવાડિયે એક આત્મહત્યા

નૅશનલ કૅમ્પેઇન અગેઇન્સ્ટ ટૉર્ચર દ્વારા માર્ચ મહિનામાં ભારતમાં પોલીસ કસ્ટડી દરમિયાન કરાયેલી આત્મહત્યા અંગે એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, 2020માં લૉકડાઉન હોવા છતાં ભારતમાં કસ્ટોડિયલ ડેથના કિસ્સા વધ્યા છે. આ રિપોર્ટ પ્રમાણે દરમિયાન દર અઠવાડિયે એક વ્યક્તિએ પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી છે.


ગરીબો પર સૌથી વધુ અસર

'નૅશનલ કૅમ્પેઇન અગેઇન્સ્ટ ટૉર્ચર'ના અન્ય એક સર્વેક્ષણ મુજબ પોલીસ કસ્ટડીમાં સૌથી વધુ ગરીબ અને ઉપેક્ષિત સમુદાયના લોકોનાં જ મોત થાય છે.

રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે 1996 થી 2018 સુધીના ડેટાનું સંકલન કર્યા બાદ જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલા 71.58 ટકા લોકો ગરીબ હતા.

આયોગના કન્વીનર સુહાસ ચકમાએ જણાવ્યું હતું કે, "જો કોઈ ગરીબ માણસ કોઈ વસ્તુ ઉપાડે છે તો તેને તરત જ ચોર જાહેર કરવામાં આવે છે અને લોકો તેને ઘણીવાર માર મારતા હોય છે. માર મારવાથી મૃત્યુ પણ થાય છે."


કોરોના વાઇરસ

https://www.youtube.com/watch?v=ZegpwxvRQ30

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Jai Bhim: How many deaths in police custody and what does the law say about this?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X