જયપુરમાં રામગંજ હિંસા પછી અનેક વિસ્તારોમાં લાગ્યો કર્ફ્યૂ
જયપુરમાં રામગંજમાં પોલીસ ચેકિંગ વખતે વિવાદ થતા સ્થાનિક લોકો અને પોલીસ આમને સામને. તે પછી આ વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. જાણો વધુ અહીં
જયપુરમાં બાઇક ચેકિંગ દરમિયાન પોલીસ સાથે વાદવિવાદ થતા જયપુરના રામગંજ વિસ્તારના પોલીસ સ્ટેશન પર હિંસક અથડામણ થઇ હતી. જે પછી ત્યાંની સ્થિતિ ખૂબ જ તનાવપૂર્ણ છે. આ સમગ્ર વિસ્તારમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. અને રામગંજની મોબાઇલ ઇન્ટરનેટ સુવિધા પણ બંધ કરવામાં આવી છે. કમિશ્નર સંજય અગ્રવાલ જણાવ્યું છે કે માનક ચોક, સુભાષ ચોક, ગાલ્ટા ગેટ અને રાજગંજમાં જ્યાં સુધી બીજો કોઇ નવો આદેશ નથી આવતો ત્યાં સુધી કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. આ કર્ફ્યૂ રામગંજ પોલીસ સ્ટેશન પર થયેલી હિંસા અને ગાડીઓની આગજની પછી લગાવવામાં આવ્યો છે.
તમને જણાવી દઇએ કે રૂટીન ચેકિંગ દરમિયાન પોલીસે જ્યારે બે ત્રણ વ્યક્તિઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો ત્યાયરે એક વ્યક્તિને પોલીસે લાઠીથી માર્યો હતો જે પછી વિવાદ થયો હતો અને ગુસ્સે ભરાયેલી ભીડે પોલીસ સ્ટેશન પર પથ્થરબાજી કરી હતી. જેમાં ત્રણ પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હતા. જે પછી અહીં ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા. અને ભીડે આગજની પણ કરી હતી. જે પછી પોલીસે ભારે મુશ્કેલીથી સ્થિતિને સંભાળી હતી અને તે બાદ અનેક વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે.